સની દેઓલ ફરી તારાસિંહની ભૂમિકા ભજવશે
ગદ્દર એક પ્રેમ કથાને પચ્ચીસ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે ગદ્દર-થ્રી કન્ફર્મ કરી
Mumbai,તા.16
‘ગદ્દરઃ એક પ્રેમકથા’ ફિલ્મ રજૂ થઇ એ વાતને પચ્ચીસ વર્ષ થયા તે નિમિત્તે તેના દિગ્દર્શક અનિલ શર્માએ જાહેરાત કરી હતી કે ‘ગદ્દર થ્રી’ ચોક્કસ બનાવવામાં આવશે અને તે અગાઉની બંને ગદ્દર કરતાં વધારે ભવ્ય અને જબરદસ્ત હશે. તેમણે ઉમેર્યું હતું કે આ ફિલ્મની સફળતાને જોતાં લોકોને તેના નવા ભાગ પાસે મોટી અપેક્ષાઓ હશે. જેના કારણે આ ફિલ્મ બનાવવાનું કામ ભારે જવાબદારીભર્યું બની રહેશે.
સની દેઓલને સરદાર તારાસિંહની ભૂમિકામાં ચમકાવતી ગદ્દર ફિલ્મમાં દેશભક્તિ અને રોમાન્સનું અજબ મિશ્રણ કરવામાં આવ્યું હતું જે દર્શકોને ખૂબ ગમ્યું છે. ૨૦૨૩માં જ ફરી એકવાર ‘ગદ્દર ટુ’ બનાવવામાં આવી ત્યારે પણ તેમાં સની દેઓલ અને અમીષા પટેલની કાસ્ટ રિપિટ કરવામાં આવી હતી.આ ફિલ્મ પણ જબરદસ્ત સફળતાને વરી હતી.
૨૦૦૧માં રજૂ થયેલી ફિલ્મ’ગદ્દરઃ એક પ્રેમકથા’ માં ભારતના વિભાજનની પશ્ચાદભૂમાં સની દેઓલ અને અમીષા પટેલની પ્રેમકથા આકાર લેતી બતાવવામાં આવી હતી. ૨૦૨૩માં બાવીસ વર્ષ પછી આવેલી સિક્વલમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધની કથાને વણી લઇ પરિવારની કથાને દર્શાવવામાં આવી હતી. હવે અનિલ શર્માએ ‘ગદ્દર થ્રી’બનાવવાની જાહેરાત કરી સની દેઓલના ચાહકોને ખુશ કરી દીધાં છે. છેલ્લા ચાર વર્ષથી એક પછી એક હીટ આપી રહેલાં સની દેઓલની કારકિર્દી પૂરપાટ દોડી રહી છે. સની દેઓલ તેની આગામી ફિલ્મ ‘રામાયણ પાર્ટ વન’માં હનુમાનની ભૂમિકા ભજવી રહ્યો છે.

