Gujarat,તા.27
ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધાર્યા પ્રમાણે વધતી નથી તેનું મુખ્ય કારણ દારૂબંધી અને છેવાડાના ટુરિસ્ટ પ્લેસમાં સુવિધાઓનો અભાવ છે. અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશમાંથી આવતા બહુધા એનઆરઆઇ આરોગ્યની સારવાર કે પરિવારને મળવા આવતા હોય છે.
એનઆરઆઇ માત્ર સારવાર માટે કે પરિવારને મળવા આવે છે
કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 2021માં માત્ર 11 હજાર, 2022માં 17.77 લાખ અને 2023માં 28.06 લાખ વિદેશી ટુરિસ્ટ બતાવવામાં આવે છે, આમ છતાં દેશના બીજા રાજ્યોની સરખામણીએ વિદેશી પ્રવાસીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. છેલ્લા વર્ષમાં જે પ્રવાસીઓ આવ્યા છે તે પૈકી મોટાભાગના જી-20 અને સરકારી કાર્યક્રમોમાં આવેલા ડિપ્લોમેટ્સ છે.
ટુરિઝમ સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટમાં ગુજરાતનો ક્રમ પાંચમો
કેન્દ્ર સરકારના ટુરિઝમ સ્ટેટેસ્ટિક્સ રિપોર્ટમાં દેશના ટોચના આઠ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ આવ્યા હોવાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રથમક્રમે દિલ્હી અને બીજાક્રમે મુંબઇ છે. દેશના ટોચના આઠ એરપોર્ટમાં અમદાવાદનો નંબર આવતો નથી. ડોમેસ્ટિક ટુરિઝમના આંકડામાં પણ ગુજરાતનો ક્રમ પાંચમો આવે છે. ગુજરાત કરતાં ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આગળ છે.
બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા છતાં પણ પ્રવાસીઓને આકર્ષી શકાય નહિ
ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ટુરિઝમે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ તેનાથી વિદેશી કે અન્ય રાજ્યના પ્રવાસીઓને આકર્ષિત કરી શકાયા નથી. વિદેશી પ્રવાસીઓની થોડી ઘણી સંખ્યા અમદાવાદ, વડોદરા, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર અને કચ્છના રણોત્સવમાં જોવા મળી છે. રાજ્યના એકપણ બીચ પર વિદેશી ટુરિસ્ટ ફરક્યા નથી.