New Delhi,તા.11
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતના વલણ વિશે દુનિયાને જણાવીને દેશ પરત ફરેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. તેમણે તેમની સાથે રાત્રિભોજન કર્યું હતું.
પ્રતિનિધિમંડળના સભ્યોએ પીએમ સાથે તેમના પ્રવાસના અનુભવો શેર કર્યા. 7 પ્રતિનિધિમંડળના 59 સભ્યોએ 33 દેશોની મુલાકાત લીધી. જેમાં 51 નેતાઓ અને 8 રાજદૂતોનો સમાવેશ થાય છે.
આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 7 સાંસદોએ કર્યું હતું. તેમાં BJP તરફથી રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, JDU તરફથી સંજય કુમાર ઝા, DMKમાંથી કનિમોઝી કરૂણાનિધિ, NCP (SP) તરફથી સુપ્રિયા સુલે, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને શિવસેના (શિંદે જૂથ) તરફથી શ્રીકાંત એકનાથ શિંદેનો સમાવેશ થાય છે.
પીએમને મળ્યા પછી થરૂરે કહ્યું, ’પીએમે અમારા બધા સાથે એક કલાકથી વધુ સમય વિતાવ્યો. તેઓ અલગ અલગ ટેબલ પર ગયા, બધા પ્રતિનિધિમંડળ જૂથો સાથે વાત કરી. તે બિલકુલ ઔપચારિક મુલાકાત નહોતી.
અમારામાંથી ઘણાએ તેમને વિદેશ પ્રવાસ અંગેનો અમારો અહેવાલ આપ્યો હતો. જોકે, તેના પર પણ કોઈ ચર્ચા થઈ ન હતી. અમે બધાએ તેમની સાથે ઘણી બાબતો પર વાત કરી, સમય જતાં બધું ખબર પડશે.’
પીએમ મોદીની બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી હાજર રહ્યા ન હતા
AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી સાથેની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની બેઠકમાં હાજરી આપી ન હતી. તેમણે કહ્યું, ’હું દેશની બહાર છું. મેડિકલ ઇમરજન્સીને કારણે મારે દુબઈ જવું પડ્યું. મારા સંબંધી અને બાળપણના મિત્રની તબિયત ખરાબ છે. મેં મારા પ્રતિનિધિમંડળના નેતા બૈજયંત પાંડાને આ અંગે જાણ કરી હતી.’