New Delhi,તા.01
દેશનું સામાન્ય બજેટ આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને સામાન્ય માણસનું બજેટ ગણાવ્યું છે. વડા પ્રધાને નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ બજેટ મધ્યમ વર્ગનાં ખિસ્સાને ફાયદો કરશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને ઝડપી બનાવશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો છે. આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, તે દરેક ભારતીયના સપનાને પરિપૂર્ણ કરવા માટેનું બજેટ છે.
અમે ઘણાં ક્ષેત્રનાં દરવાજા યુવાનો માટે ખોલ્યાં છે. તે વિકસિત ભારતનું મિશન ચલાવશે. આ આપણાં સપનાને પરિપૂર્ણ કરવા માટેનું બજેટ છે. વિકસિત ભારતનું ધ્યેય સામાન્ય નાગરિકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ બજેટ શક્તિ વધારશે. આ બજેટ બચત, રોકાણ, વપરાશ અને વિકાસમાં વધારો કરશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું નિર્મલા સીતારામણ અને તેની આખી ટીમને જનતા કેન્દ્રિત બજેટ લાવવા બદલ અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારની તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેનાં પર રહે છે, પરંતુ આ બજેટ તેની વિરુદ્ધ છે.
આ બજેટ દેશનાં નાગરિકોનાં ખિસ્સા કેવી રીતે ભરશે તેનાં પર કેન્દ્રિત છે, દેશનાં નાગરિકોની બચત કેવી રીતે વધશે અને દેશનો નાગરિક કેવી રીતે દેશનાં વિકાસમાં ભાગીદાર બનશે તેનાં પર કેન્દ્રિત છે. આ બજેટ દેશનાં વિકાસ માટેનો ખૂબ જ મજબૂત પાયો છે.