Gandhinagar,તા.27
પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે. આ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ગાંધીનગરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો બાદ તેમણે મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારંભમાં જનમેદનીને સંબોધન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહ્યો છે. હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહ્યું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવો દ્રશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે. શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.’
વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરતા કહ્યું કે, ‘વર્ષ 1947માં મા ભારતીના ટુકડા થયા, ત્યારે સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી. દેશના 3 ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત કોઈએ માની નહીં. આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો 75 વર્ષથી ચાલ્યો આવે છે. પહલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. 75 વર્ષ સુધી આપણે સહન કરતા રહ્યા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.
‘6 મેની રાત્રે જે લોકો મૃત્યું પામ્યા, પાકિસ્તાનમાં તેમના જનાજાઓને સ્ટેટ ઑનર આપવામાં આવ્યું. તેમના તાબૂતો પર પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા, ત્યાંની સેનાએ તેમને સૅલ્યુટ કર્યું. આ સાબિત કરે છે કે આતંકવાદી પ્રવૃત્તિ પ્રોક્સી વૉર નથી, આ તમારી (પાકિસ્તાન) વિચારપૂર્વકની યુદ્ધની રણનીતિ છે, તમે વૉર જ કરી રહ્યા છો, તો તેનો જવાબ પણ તેવો જ મળશે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘જેને આપણે આજ સુધી પ્રોક્સી યુદ્ધ કહેતા હતા, 6 મે પછી જે દ્રશ્યો જોવા મળ્યા, તેના પછી આપણે હવે તેને પ્રોક્સી યુદ્ધ કહેવાની ભૂલ કરી શકીએ નહીં. કારણ કે જ્યારે માત્ર 22 મિનિટની અંદર 9 આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરીને તેમને નષ્ટ કરી દેવામાં આવ્યા, તો આ એક નિર્ણાયક કાર્યવાહી હતી. આ વખતે, બધું જ કેમેરા સામે કરવામાં આવ્યું,
PM મોદીએ કહ્યું, કે ‘અમે અમારા કામમાં લાગેલા હતા, પ્રગતિના માર્ગે ચાલે રહ્યા હતા, અમે સૌનું ભલું ઇચ્છીએ છીએ અને મુસીબતમાં મદદ પણ કરીએ છીએ પરંતુ બદલામાં લોહીની નદીઓ વહે છે. 1960માં જે સિંધુ જળ સમજૂતી થઈ છે, જો તેની બારીકાઈમાં જશો તો તમે ચોંકી જશો. તેમાં ત્યાં સુધી નક્કી થયું કે જે જમ્મુ-કાશ્મીરની અન્ય નદીઓ પર બંધ બન્યા છે, તેમની સફાઈનું કામ કરવામાં આવશે નહીં. તેના માટે ગેટ ખોલવામાં આવશે નહીં. 60 વર્ષ સુધી ગેટ ખોલવામાં આવ્યા નહીં. જેમાં સો ટકા પાણી ભરાવું જોઈતું હતું ધીમે ધીમે તેની ક્ષમતા ઓછી થઈ ગઈ. શું મારા દેશવાસીઓને પાણી પર અધિકાર નથી? અમે હજી કંઈ ખાસ કર્યું નથી અને ત્યાં પરસેવો છૂટી રહ્યો છે. અમે સફાઈ શરૂ કરી છે, એટલામાં ત્યાં પૂર આવી જાય છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, “ગઈકાલે 26 મે હતી… 2014માં 26 મેના રોજ મને પહેલીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાનો અવસર મળ્યો. તે સમયે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 11મા સ્થાને હતી. અમે કોરોના સામે લડાઈ લડી, પડોશીઓથી પણ મુસીબતો વેઠી, કુદરતી આફતો પણ વેઠી, તેમ છતાં આટલા ઓછા સમયમાં આપણે 11મા નંબરની અર્થવ્યવસ્થામાંથી ચોથા નંબરની અર્થવ્યવસ્થા બન્યા. કારણ કે અમે વિકાસ ઇચ્છીએ છીએ, પ્રગતિ ઇચ્છીએ છીએ.”
ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ અને અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
આ દરમિયાન મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સ,જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે 50 હજારથી પણ વધુ લોકો રોડ શોમાં જોડાયા હતા. અહીં 50 જેટલા બ્લોક રાખવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ ઉભા રહીને વડાપ્રધાનને આવકાર્યા હતા. પીએમ મોદીએ ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પર તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવી હતી. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શો યોજ્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદીર પહોંચ્યા હતા.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાક એકમોનું લોકાર્પણ કર્યું હતું. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.