Pune,તા.29
પુણેના ચર્ચાસ્પદ કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી પોલીસે ઘટનાનું સત્ય જાણવા અને ઘટનાક્રમથી વાકેફ થવા માટે મહત્ત્વની કાર્યવાહી કરી છે. આ માટે પોલીસ મંગેતર કેતનની હત્યારી રિયા ગોયલને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી હતી, જ્યાં ક્રાઈમ સીન રીક્રિએશન કરવામાં આવ્યું હતું.લોણાવાલા પોલીસ લોહગઢમાં એક ડમી બૉડી લઈને પણ ગઈ હતી અને અહીં આખા ઘટનાક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. કેતનની હત્યા કેવી રીતે કરી, તેની રિયા ગોયલ પાસેથી પોલીસ અધિકારીઓએ માહિતી લીધી હતી અને તે મુજબ સ્થળ પર ઘટનાઓને ક્રમ મુજબ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ સીનના પુનરાવર્તનનો હેતુ અત્યાર સુધી એકઠા કરાયેલા પુરાવાઓને ચકાસવાનો અને તપાસને મજબૂત કરવાનો હતો.
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી અને પોલીસ અધિક્ષક (DSP) ગજાનન ટોંપેએ કહ્યું કે, સિયા ગોયલે પૂછપરછમાં આપેલી માહિતીના આધારે ઘટનાસ્થળ પર હત્યાની ઘટનાને રી-ક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ અધિક્ષક પણ હાજર હતા. સિયાએ કેતનની હત્યા કેવી રીતે કરી, તે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા ડમી બૉડીનો ઉપયોગ કરાયો હતો. હાલ ઘટનાની ઊંડાણપૂર્વ તપાસ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે, 20 વર્ષિય સિયા ગોયલની પુણેના રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલ સાથે સગાઈ થઈ હતી, જોકે તેણીને લગ્ન કરવા ન હતા, કારણ કે તે 22 વર્ષિય ચેતન ચૌધરીને પ્રેમ કરતી હતી. આરોપ છે કે, સિયા અને ચેતને મળીને કેતનની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન સિયાએ કહ્યું હતું કે, જો તેણે એરેન્જ મેરેજથી ઈન્કાર કરી દીધો હોત તો તેનો પરિવાર બદનામ થાત. આ કારણે તેણે અને ચેતને કથિતરીતે કેતનને મારવાનો પ્લાન બનાવ્યો હતો. 18 જૂને કેતનને લોહગઢ કિલ્લા પર બોલાવાયો હતો. આ દરમિયાન સિયાએ સુમસામ જગ્યાનો લાભ ઉઠાવીને કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેમાં તેનું મોત થઈ ગયું હતું. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ ક્રાઈમ સીન રીક્રિએશન અને ફોરેન્સિક પુરાવાના આધારે હત્યાની ઘટનાની કડીઓ જોડી રહી છે.

