ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્લે ક્રેશની આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે
New Delhi, તા.૧૨
ગુજરાતના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે. એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર એરપોર્ટ પરથી ટેકઓફ થતાની સાથે જ થોડીક જ સેકન્ડ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં કુલ ૨૪૨ લોકોમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિમાન મેઘાણીનગર સ્થિત ધડાકાભેર એક બિલ્ડિંગને અથડાયા બાદ ફ્લાઈટમાં ભયાનક આગ લાગી હતી. હાલ એનડીઆરએફ સહિત તમામ ટીમો રેસ્ક્યુ-ઓપરેશન કરી રહ્યા છે.
પ્રાથમિક તપાસમાં ફ્લાઈટના એન્જીનમાં ટેકનીકલ ખામી હોવાનું અને ફ્લાઈટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો સામે આવી છે. ઘટનામાં મૃત્યુઆંકની હાલ કોઈ પુષ્ટી થઈ નથી. ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે, જો કે તે અંગે પુષ્ટી થઈ નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં બનેલી આ ઘટનાએ ફરી ભારતમાં વિમાનોની સુરક્ષા પર સવાલ ઉભી કરી દીધા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સૌથી વધુ ઘટના ટેકઓફ અને લેન્ડિંગ વખતે બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ ૧૦૯ ઘટના બની છે, જેમાં ૩૭ ઘટના ટેકઓફ વખતે થઈ છે.
ભારતમાં વિમાન દુર્ઘટનાઓનો લાંબો ઈતિહાસ છે. આવી ઘટનાઓ હંમેશા ટેકનીકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ ૧૯૭૨થી લઈને વર્ષ ૨૦૨૫ સુધીમાં આવી કુલ ૧૦ ઘટનાઓ બની છે.
૧૪/૦૬/૧૯૭૨ – દિલ્હી એરપોર્ટ પાસે વિમાન ક્રેશ, ૮૨ના મોત : વર્ષ ૧૯૭૨માં જાપાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૧૭ નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, જોકે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ હતી, જેમાં ૮૨ લોકોના મોત થયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું, ત્યાં ઉભેલા ત્રણ નાગરિકોના પણ મોત થયા હતા. જાપાને ઘટનાનું કારણ ‘ફૉલ્સ ગ્લાઈડ પાથ સિગ્નલ’ હોવાનું કહ્યું હતું. જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું.
૩૧/૦૫/૧૯૭૩ – દિલ્હીના પાલમ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ, ૬૫ના મોત : વર્ષ ૧૯૭૩માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૪૪૦ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતા મોટી દુર્ઘટના બની હતી અને પ્લેન પાલન એરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ૬૫ મુસાફરો સવાર હતા, જેમાંથી ૪૮ મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો.
૧૨/૧૦/૧૯૭૬ – મુંબઈમાં વિમાનનું એન્જીન ફેલ, ૯૫ના મોત : વર્ષ ૧૯૭૬માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૭૧નું એન્જીન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ ૯૫ મુસાફરોના મોત થયા હતા.
૦૧/૦૧/૧૯૭૮ – મુંબઈની અરબી સમુદ્રમાં પ્લેન ક્રેશ, ૨૧૩ના મોત : મુંબઈના એરપોર્ટ પરથી એર ઈન્ડિયાનું બોઈંગ ૭૪૭ એટલે કે ફ્લાઈટ નંબર-૮૫૫ ટેકઓફ થયું હતું, તેની થોડી ક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થયું હતું. આ ઘટનામાં કુલ ૨૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી.
૧૯/૧૦/૧૯૮૮ – અમદાવાદના એરપોર્ટથી બે કિમી દૂર પ્લેન ક્રેશ, ૧૩૫ના મોત : અમદાવાદમાં અગાઉ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-૧૧૩ ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી બે કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં ૧૩૫ લોકો સવાર હતા, જેમાંથી ૧૩૩ના મોત થયા હતા. માત્ર બે લોકોનો જીવ બચ્યો હતો.
૧૨/૧૧/૧૯૯૬ – બે વિમાનો સામસામે અથડાતા ૩૪૯ લોકોના મોત : વર્ષ ૧૯૯૬માં ભારતના ઈતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઈટો આકાશમાં જ સામ-સામે અથડાઈ હતી. આ ઘટનામાં ૩૪૯ લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વના સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
૧૭/૦૭/૨૦૦૦ – પટણા એરપોર્ટ, ૬૦ લોકોના મોત : વર્ષ ૨૦૦૦માં એલાઈન્સ એરની ફ્લાઈટ નંબર-૭૪૧૨ લેન્ડિંગ વખતે પટણાના એરપોર્ટ પર ક્રેશ થઈ ઘઈ હતી. પાઇલટે ફ્લાઈટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના બની હતી, જેમાં ૬૦ લોકોના મોત થયા હતા.
૨૨/૦૫/૨૦૧૦ – કર્ણાટક એરપોર્ટ પર ફ્લાઈટ રન-વે પર લપસી જતા ક્રેશ, ૧૫૮ના મોત : એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટ નંબર-ૈંઠ-૮૧૨ કર્ણાટકના મંગલૌર એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે તે રન-વે પર લપસી જતા મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ૧૫૮ લોકોના મોત થયા હતા. આ અકસ્માત ભારે વરસાદ અને રન-વેની સ્થિતિના કારણે થયો હોવાનું મનાય છે.
૦૭/૦૮/૨૦૨૦ – કોઝીકોડમાં પ્લેન દુર્ઘટના, ૧૮ના મોત : એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર ૈંઠ-૧૩૪૪ વંદે ભારત મિશનનો એક ભાગ હતી. ફ્લાઈટના પાયલોટે કેરળના કોઝીકોડમાં ભારે વરસાદ વચ્ચે એરપોર્ટના રન-વે પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફ્લાઈટ લપસી ગઈ હતી, જેના કારણે બે પાયલોટ સહિત ૧૮ લોકોના મોત થયા હતા.
૨૮/૦૧/૨૦૨૩ – મધ્યપ્રદેશમાં બે વિમાનો અથડાયા હતા : વર્ષ ૨૦૨૩માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બે ફાઈટર જેટ્સ સુખોઈ અને મિરાજ-૨૦૦૦ આકાશમાં જ સામસામે અથડાયા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું હતું.