New Delhi,તા.28
દેશમાં કૂતરા કરડવાની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે તાજેતરમાં જ યુપીના એક કબડ્ડી ખેલાડીનું કુતરું કરડતા હડકવાના ચેપના કારણે મોત થયું હતું. એવામાં હવે દિલ્હીમાં છ વર્ષની એક બાળકીને કૂતરું કરડવાથી હડકવા થતા મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. આથી સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા કૂતરાઓ દ્વારા કરવામાં આવતા હુમલા અને તેના પરિણામે થતા મૃત્યુને ચિંતાજનક ગણાવીને તેના પર સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કૂતરા કરડવાને લઈને હડકવા થયો હોવાના સમાચારને ખૂબ જ પરેશાન કરનારા અને ચિંતાજનક ગણાવતા કહ્યું કે, ‘સમાચારમાં કેટલાક ચિંતાજનક અને પરેશાન કરનારા આંકડા છે. જેમાં દરરોજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૂતરા કરડવાની સેંકડો ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી હડકવા પણ ફેલાઈ રહ્યો છે અને અંતે બાળકો અને વૃદ્ધો આ ભયંકર બીમારીનો શિકાર બની રહ્યા છે.’
આ અંગે કોર્ટે કહ્યું, ‘અમે આ સમાચાર પર સુઓ મોટો કાર્યવાહી કરી રહ્યા છીએ. યોગ્ય આદેશ માટે આ નિર્ણયને સમાચાર રિપોર્ટ સાથે ભારતના ચીફ જસ્ટિસ સામે રજૂ કરવામાં આવશે.’
દિલ્હીમાં કૂતરું કરડવાના કારણે છ વર્ષની બાળકીના મોત પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરી છે. દિલ્હીના સુલતાનપુરના પુઠ ખુર્દ ગામમાં રખડતું કૂતરું કરડ્યાના 24 દિવસમાં એક છ વર્ષીય બાળકીનું મોત થયું હતું. આ ઘટના પછી પરિવારજનોએ બાળકીને આંબેડકર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી. ત્યાં તેની ઈન્જેક્શન આપીને સારવાર પણ કરાઈ. આ દરમિયાન બાળકીને સરકારી હોસ્પિટલમાં રેફર કરાઈ, પરંતુ 20 દિવસ પછી ત્યાં પણ તેની તબિયત ખૂબ જ લથડી ગઈ. છેવટે 23 જુલાઈના રોજ, કૂતરું કરડ્યાના 24 દિવસ પછી, બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું.
હાલમાં જ મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી એસ. પી. સિંહ બઘેલે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024માં દેશમાં કૂતરા કરડવાના 37,17,336 કેસ નોંધાયા હતા, જ્યારે હડકવાના કારણે 54 લોકોના મોત થયા હતા.