બે સંતાનોએ માતાની મમતા ગુમાવ્યા બાદ પિતાની છત્રછાયા ગુમાવી દેતા કરુણાંતિકા
RAJKOT,તા,02
શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂનિતનગરના ટાંકા નજીક હિટ એન્ડ રનના બનાવમાં રોડ ક્રોસ કરી રહેલા જગદીશભાઈ ચાવડાને અજાણ્યા વાહને હડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કરુણાંતિકા ત્યાં સર્જાઈ છે કે, બે સંતાનોએ હજુ થોડો સમય પૂર્વે જ માતાને ગુમાવ્યા બાદ અકસ્માતમાં પિતાની પણ છત્રછાયા ગુમાવી દેતા નિરાધાર થયાં છે.
મામલામાં મૃતકના ભાઈ સંદીપભાઈ હરિભાઈ ચાવડાએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે મજૂરીકામ કરે છે. તેમના મોટોભાઇ જગદિશભાઇ પણ તેમની સાથે રહેતા હતા અને તે પણ મજુરીકામ કરતો હતો. તેમના પત્નીનું અવસાન થઈ ગયેલ છે અને સંતાનમાં બે બાળકો છે.
ગત રાત્રીના અંદાજિત દશેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે તેમના કાકા કેશુભાઈનો ફોન આવેલ અને જાણ કરેલ કે, તારા ભાઈ જગદિશનું એકસીડન્ટ મારા ઘર સામે 150 ફુટ રીંગ રોડ પૂનિત નગરના ટાંકા નજીક સેફટી મોલની સામે થયેલ છે, તેમ વાત કરતા તે તુરંત જ તેના કાકાના ઘરની સામે રોડ ઉપર દોડી જઈ જોતા તેમના ભાઇ જગદિશ બેભાન હાલતમા પડેલ હતા અને તેના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. નાક-કાનમાંથી લોહી નિકળતુ હતું. ઘટના સ્થળે હાજર માણસો પાસેથી જાણવા મળેલ કે, રાતના સાડા નવેક વાગ્યેની આસપાસ કોઈ અજાણ્યો વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે ચલાવી જગદિશભાઈ રોડ ક્રોસ કરતા હતા તેને હડફેટે લઈ પછાડી દઇ માથાના ભાગે તથા શરીરે ગંભી ઇજા પહોંચાડી ભાગી ગયેલ છે. દરમિયાન 108 દોડી આવતાં 108 ના સ્ટાફે તપાસી તેમના ભાઈને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવેલ અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. યુવાનના મોતથી બે સંતાનોએ થોડાં સમય પહેલાં માતાને ગુમાવ્યા બાદ પિતાનું પણ મોત થતાં અરેરાટી સાથે આક્રંદ છવાયો હતો.