Anand,તા.૨૪
આણંદમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરવાની ઘટનાનાં વિરોધમાં ગઈકાલ રાત્રે આણંદ શહેરમાં શ્રી રામજન્મોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા પાકિસ્તાની ધ્વજને કચડી મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.
રામજન્મોત્સવ સમિતિનાં કાર્યકરોએ ભવનાથ મહાદેવ મંદિર, ભાલેજ બ્રિજ, ટાઉનહોલ પાસે પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી રોષની લાગણી વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછી ગોળીઓથી ઠાર કરતા આણંદ શહેરનાં લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.
જયારે સુરેન્દ્રનગરના પાટડી ખાતે પાકિસ્તાનનું પૂતળા દહન કરાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલાને લઈ ભાજપ વિહિુપ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી રોષ ઠાલવ્યો હતો. સુરજમલજી હાઇસ્કુલ ખાતે પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો. પાકિસ્તાનના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરાયા હતા, હિંદુ સંગઠનનાં કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.ભાજપ વિહિપ અને બજરંગ દળે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.૨૨ એપ્રિલનાં રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ૩ ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યો હતો.