New Delhi,તા.૧૯
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને એક પ્રશ્ન પૂછ્યો છે. પાકિસ્તાનને હુમલાની આગોતરી માહિતી આપવા અંગે તેમણે કહ્યું કે તે ભૂલ નહીં પણ ગુનો હતો. અને દેશને સત્ય જાણવાનો અધિકાર છે. આ પ્રશ્ન પર ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધીની હોશિયારી માત્ર સંયોગ નથી પણ ભયાનક છે. તેમણે રાહુલ પર પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો છે.
માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (પહેલાં ટિ્વટર) પર લખ્યું, “ભારતના હિત માટે અને વિપક્ષી નેતાના ઇરાદાઓને ઉજાગર કરવા માટે, હું ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈના ૧૧ મેના રોજ આપેલા નિવેદનને ફરીથી પોસ્ટ કરી રહ્યો છું.
તેમણે લખ્યું, “જોકે અમે ઓપરેશન સિંદૂર પછી તરત જ અમારા સમકક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી આતંકવાદી કેન્દ્રો પર હુમલો કરવાની અમારી મજબૂરી સમજાવી શકાય, પરંતુ અમારી વિનંતીને એ આધાર પર નકારી કાઢવામાં આવી હતી કે ટૂંક સમયમાં અનિવાર્ય કઠોર પ્રતિક્રિયા આવશે. અમે ચોક્કસપણે તૈયાર હતા…”
તેમણે લખ્યું, “હું પુનરાવર્તન કરું છું, આ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના નિવેદન સાથે બરાબર સુસંગત છે કે ભારતે ઓપરેશન સિંદૂરના પ્રારંભિક તબક્કા દરમિયાન પાકિસ્તાનને ચેતવણી આપી હતી. હવે તેને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે જાણે કે ઓપરેશન શરૂ થાય તે પહેલાં ચેતવણી આપવામાં આવી હોય.”
ભાજપ આઈટી સેલના વડાએ લખ્યું, “રાહુલ ગાંધીએ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનું ટાળવું જોઈએ. ભારત જાણે છે કે કોણ સાચું બોલી રહ્યું છે.”