RAJKOT, તા. 28
દિવાળીને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે હવે આ વર્ષે હજુ ભાદરવા જેવો તડકો પડી રહ્યો છે. ડબલ ઋતુથી હજુ લોકો સીઝનલ રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે ત્યારે અઠવાડિયામાં ફરી ડેંગ્યુના નવા 20 અને મેલેરીયાના બે કેસ ચોપડે ચડયા છે. જયારે સીઝનલ રોગચાળાના 1883 જેટલા કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડાદોડી રજામાં પણ ચાલુ રહી છે.
આજે મેલેરીયા શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ તા.21થી તા.27-10 સુધીમાં મેલેરીયાના બે નવા અને ડેંગ્યુના 20 નવા દર્દી નોંધાયા છે. ડેંગ્યુના દર્દીઓ 2024ના વર્ષમાં ત્રેવડી સદી વટાવીને 312 પર પહોંચી ગયા છે. તો અઠવાડિયામાં શરદી-ઉધરસના વધુ 1109, સામાન્ય તાવના 616, ઝાડા-ઉલ્ટી 155 અને ટાઇફોઇડના 3 દર્દીની નોંધ થઇ છે. તો આરોગ્ય અને મેલેરીયા શાખાએ મચ્છર ઉત્પતિમાં બેદરકારી બદલ 634 લોકોને નોટીસ ફટકારી છે.
રોગચાળાના આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 93,338 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 5637 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
તંત્ર દ્વારા રહેણાક સિવાય અન્ય 452 પ્રીમાઇસીસમાં તપાસ કરાઇ હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 478 અને કોર્મશીયલ 156 આસામીને નોટીસ આપી રૂા.71,950નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.