ખોડલધામ અને પોલીસને ગાળો ભાંડી સરધારાએ મારો કાંઠલો પકડી લાત માર્યાનો આક્ષેપ
Rajkot,તા.05
પીઆઈ સંજય પાદરીયાએ તાલુકા પોલીસ મથકમાં જયંતિ સરધારા વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. જયંતિ સરધારાએ ખોડલધામ ટ્રસ્ટ, પોલીસને બેફામ ગાળો ભાંડી મારો કાંઠલો પકડી લાત મારી હતી અને ત્યારબાદ મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેવો આક્ષેપ પીઆઈ પાદરીયાએ કર્યો છે.
પીઆઇ સંજય પાદરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવું છું. ગઈ તા.25/11/2024ના રોજ લગ્ન પ્રસંગે કણકોટ રોડ ઉપર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો. ત્યારે રાત્રિના 8:30 વાગ્યા આસપાસ જયંતિભાઈ સરધારા મને મળ્યા હતા અને મારી સાથે ઉભા હતા, ત્યારે જયંતિભાઈ સરધારાએ સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ ગયા અને ખોડલધામ વિશે ખરાબ બોલવાનું ચાલુ કર્યું અને ખોડલધામમાં બધા ચોર જ છે અને ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગ્યા તેથી મેં તેઓને કોઈ ધાર્મિક લાગણી ન દુભાય તેવુ સમજાવતા તે વધુ ઉશ્કેરાય ગયા અને પોલીસવાળા બધા ચોર છે, પૈસા ખાય છે અને માલદાર થઈ ગયા છે તેવું પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે બોલવા લાગ્યા અને મેં તેઓને આવું ન બોલવાનું સમજાવતા અને મારી સાથે હતા ત્રણેય વ્યક્તિઓએ આવું ન બોલવાનું સમજાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને મારો કાઠલો પકડી મને ધક્કો મારી અને પાટા પણ માર્યા હતા જેથી હું તરત જ ત્યાંથી ચાલ્યો ગયો હતો.બાદમાં જયંતિભાઈએ મારા વિરૂધ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી અને ત્યાર બાદ મેં મારી સાચી તપાસ કરવાની લેખિત રજુઆતો જે તે અધિકારીઓને પણ આપી છે. તેમજ મારી સામે ખોટી ફરિયાદ કરવા સબંધે સરધારાએ અન્યો સાથે મળી ગુનાહીત કાવતરૂ કર્યું હોવાનું મારૂ માનવું છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે જયંતિ સરધારા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જયંતિ સરધારાની પોલીસ રક્ષણની માંગ
પીઆઈ પાદરીયાએ ફરિયાદ નોંધાવ્યા બાદ જયંતિ સરધારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. જયંતિ સરધારાએ આ તકે પોલીસ કમિશ્નરને લેખિત રજુઆત કરી પીઆઈ પાદરીયા ખુલ્લેઆમ ફરતા હોય અને પોતાના હોદાનો ગેરઉપયોગ કરતા હોય ત્યારે પોતાને અને તેમના પરિવારને પીઆઈ પાદરીયાથી જીવનું જોખમ ઉભું થયું હોય ત્યારે તેમને તાત્કાલિક પોલીસનું રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. સરધારાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ હુમલો કરતી વેળાએ પણ પાદરીયાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગે જયંતિ સરધારાએ કહ્યું હતું કે, હું હંમેશા સાચો જ હતો એટલે હું પાદરીયાની જેમ ક્યાંય ભાગ્યો નથી. પાદરીયા ફક્ત સ્વબચાવ માટે આક્ષેપો કરી રહ્યા છે અને તેમની વાતમાં કોઈ જ તથ્ય નથી.