રાજકોટ
શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. મવડીગામ વિસ્તારમાં કૌટુંબિક ભાઈની ઘરે મહેમાનગતિ માણવા આવેલા દિયરે ભાભી પર નજર બગાડી, માર મારી છરીની અણીએ વારંવાર દેહ ચૂંથી નાખ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે ભુજ રહેતા શંકર પરમાર વિરુદ્ધ દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
તાલુકા પોલીસમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તે તેના પતિ અને ચાર સંતાનો સાથે રહે છે. તેમના પતિ મજુરીકામ કરે છે. ગઈ તા. 05-09 ના ભુજ રહેતા તેમના કાકાજી સસરાનો પુત્ર શંકર પરમાર તેણીના ઘરે મહેમાનગતિ કરવાં માટે આવ્યો હતો. ત્યારે તેણી એકલી હતી ત્યારે આરોપીએ નજર બગાડી ધરારથી છરી બતાવી તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણીએ પ્રતિકાર કરતાં તે ભાગી ગયો હતો અને સાથે સાથે જો આ વાત કોઈને કહીશ તો તારા બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો. જેથી તેણીએ કોઈને વાત કરી ન હતી.
થોડાં દિવસ બાદ આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરી ભુજ તેમના ઘરે મહેમાનગતિ કરવાં માટે બોલાવ્યાં હતાં. જેથી તેણી તેના પતિ અને સસરા સાથે ગઈ તા.31-10 ના ભુજ આરોપીના ઘરે ગયાં હતાં. ત્યાં આરોપીએ મોડી રાતે તેમના પતિ અને સસરાને બેફામ મારમાર્યો હતો. તેણીએ પતિ અને સસરાને બચાવવા જતાં તેને પણ માર મારતાં બેભાન થઈ ઢળી પડી હતી. તેણી ભાનમાં આવતાં આરોપીને પતિ અને સસરા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, તેઓને તેમના મૂળ વતન મહુવા પંથકમાં મોકલી દિધા છે.
જે બાદ બીજા દિવસે આરોપીએ ફરીવાર છરી બતાવી મારકૂટ કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગીને પોતાના સાસરિયે પહોંચી ગઈ હતી.વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, તેમના પતિને અવારનવાર આરોપી ફોન કરી તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને લઈ જઈશ તેવી ધમકી આપતો હતો. જે બાદ કંટાળીને ફરીયાદ નોંધાવી હતી. આરોપીને પણ ત્રણ સંતાન હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એલ.બી.ડીંડોર અને ટીમે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
નરાધમની ધમકીથી કાંટાળી પીડિતાના પતિનો આપઘાત
પ્રાપ્ત વિગત અનુસાર નરાધમ શંકર પરમારે વારંવાર દેહ ચૂંથી નાખ્યા બાદ અંતે પરિણીતા ભુજથી ભાગી પોતાના સાસરિયે મહુવા પહોંચી ગઈ હતી. જ્યાં પરિણીતા પોતાના પતિ અને પરિવાર સાથે રહેતી હતી. પણ શંકરે તેમનો પીછો ન છોડી તેણીના પતિને ધમકી આપતો કે, તું તારી પત્નીને ગમે ત્યાં છુપાવી દે પરંતુ હું તેને ગમે ત્યાંથી ભગાડી જઈશ તેવી ફોનમાં અવારનવાર ધમકી આપતાં તેના પતિએ ધમકીથી કંટાળી પાંચ દિવસ પહેલાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવતથી ચાર સંતાનો નોધારા બનાવ હતાં.