New Delhi,તા.05
છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન સિંદૂર ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન સામે ભારતે આ નામ હેઠળ કાર્યવાહી કરી, જેમાં દુશ્મન દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ ઐતિહાસિક સફળતા બાદ સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી. આ જાહેરાતો પૈકી એક છે ગુજરાતમાં ‘સિંદૂર વન’ બનાવવાની પહેલ.
સિંદૂર એક વનસ્પતિનો ભાગ છે
પરંતુ, સિંદૂર વન કેવી રીતે બનશે? ઘણાં લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે સિંદૂર પણ એક વનસ્પતિનો જ ભાગ છે! બજારમાં આપણે જે સિંદૂર જોઈએ છીએ તે મોટાભાગે કેમિકલ પ્રક્રિયા દ્વારા બનાવેલા ગુલાલ જેવું હોય છે. ખરું સિંદૂર એક ખાસ પ્રકારના છોડમાંથી મળે છે, અને આ જ છોડના વાવેતર દ્વારા સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણની સાથે આપણા સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરશે.
કેવો હોય છે સિંદૂરનો છોડ?
ભારતમાં સિંદૂરના છોડ સામાન્ય રીતે કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જોવા મળે છે. આ એક એવો છોડ છે, જેના ફળમાંથી સિંદૂર જેવો લાલ રંગનો પાવડર અને પ્રવાહી બનાવવામાં આવે છે. ઘણાં લોકો તેને લિક્વિડ લિપસ્ટિક ટ્રી પણ કહે છે. સિંદૂર એક બારમાસી છોડ છે. જે વાવ્યા બાદ 3 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. સિંદૂરનો છોડ સરળતાથી જોવા નથી મળતો, તેના એક છોડમાંથી એક વારમાં દોઢ કિલો જેટલા સિંદૂરના ફળ કાઢી શકાય છે. તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોથી વધારે હોય છે.
સિંદૂરના છોડના ફળમાંથી જે બિજ નીકળે છે, તેને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે. આમ, સિંદૂર સંપૂર્ણપણે કુદરતી હોય છે. તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી. સિંદૂરના છોડ પર ફળ ઝુમખામાં આવે છે, જે શરૂઆતમાં લીલા રંગના હોય છે. બાદમાં આ ફળ લાલ રંગમાં બદલાઈ જાય છે, આ ફળની અંદર સિંદૂર હોય છે. સિંદૂર નાના નાના દાણાના આકારમાં હોય છે. જેને પીસીને કોઈ પણ મિલાવટ વિના તેને ઉપયોગમાં લઈ શકાય છે. આ છોડને બે પ્રકારે વાવી શકાય છે.
સિંદૂરના છોડને બિયારણની મદદથી લગાવી શકાય છે અને તૈયાર છોડની કલમ રોપીને પણ લગાવી શકાય છે. સિંદૂરના છોડ ઘરમાં સરળતાથી ઉગાડી શકાતા નથી, કારણ કે તેના માટે ખાસ પ્રકારનું હવામાન જરૂરી છે. જો આ છોડને વધારે પાણી કે ખાતર આપવામાં આવે, તો આ છોડ મરી જશે અને ઓછું આપ્યું તો ફળ નહીં આવે.
- બીજ સંગ્રહ: સૌપ્રથમ છોડના ફળોમાંથી બીજ કાઢવામાં આવે છે.
- તડકામાં સૂકવવા: આ બીજને થોડા દિવસો સુધી તડકામાં સૂકવવામાં આવે છે જેથી તેમાં રહેલો ભેજ દૂર થાય.
- બીજને પીસવા: સૂકા બીજને પીસીને લાલ રંગનો પાવડર બનાવવામાં આવે છે.
- ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ: અશુદ્ધિઓ દૂર કરવા માટે પાવડરને ફિલ્ટર કરવામાં આવે છે.