હવે ભગવાન આગળના ત્રણ શ્ર્લોકોમાં પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે..
ન મે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ
હે પાર્થ ! મારે ત્રણેય લોકોમાં ન તો કશું કર્તવ્ય છે અને ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્તવ્યકર્મમાં જ પ્રવૃત્ત રહું છું.(૩/૨૨)
ભગવાન કોઇ એક લોકમાં સીમિત નથી,એટલા માટે તે ત્રણેય લોકમાં પોતાનું કોઇ કર્તવ્ય ન હોવાની વાત કહી રહ્યા છે.ભગવાનને માટે ત્રિલોકમાં કોઇપણ કર્તવ્ય શેષ નથી કેમકે તેમને માટે કંઇ પણ મેળવવાનું શેષ નથી.કંઇને કંઇ મેળવવા માટે જ બધા મનુષ્ય,પશુ,પક્ષી વગેરે કર્મ કરે છે.ભગવાન આ શ્ર્લોકમાં ઘણી જ વિલક્ષણ વાત કહી રહ્યા છે કે કંઇ પણ કરવાનું અને મેળવવાનું શેષ ન હોવા છતાં પણ હું કર્મ કરૂં છું.પોતાના માટે કોઇ કર્તવ્ય ન હોવાછતાં પણ ભગવાન ફક્ત બીજાઓના હિતના માટે અવતાર લે છે અને સાધુ પુરૂષોનો ઉદ્ધાર,પાપી પુરૂષોનો વિનાશ તથા ધર્મની સંસ્થાપના કરવા માટે કર્મ કરે છે. (૪/૮) અવતાર સિવાય ભગવાનની સૃષ્ટિરચના પણ જીવમાત્રના ઉદ્ધારના માટે જ હોય છે.સ્વર્ગલોક પુણ્ય કર્મોનું ફળ ભોગવવા માટે છે અને ચૌરાશી લાખ યોનિઓ તથા નરક પાપકર્મોનું ફળ ભોગવવા માટે છે. મનુષ્ય યોનિ પુણ્ય અને પાપ-બંન્નેથી પર થઇને પોતાનું કલ્યાણ કરવા માટે છે.એવું ત્યારે જ સંભવિત બને છે જ્યારે મનુષ્ય પોતાને માટે કંઇ ના કરે.તે તમામ કર્મો,સ્થૂળશરીરથી થવાવાળી ક્રિયા,સૂક્ષ્મશરીરથી થવાવાળું ચિંતન અને કારણશરીરથી થવાવાળી સ્થિરતા પોતાના માટે નહી પરંતુ ફક્ત બીજાઓના હિતના માટે જ કરે,કારણ કે જેમનાથી સર્વે કર્મો કરવામાં આવે છે તે સ્થૂળ-સુક્ષ્મ અને કારણ-ત્રણેય શરીરો પોતાનાં નહી પરંતુ સંસારનાં છે,એટલા માટે કર્મયોગી શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,પદાર્થ વગેરે તમામ સામગ્રી કે જે વાસ્તવમાં સંસારની જ છે તેને સંસારની સેવામાં લગાડે છે.જો મનુષ્ય સંસારની વસ્તુને સંસારની સેવામાં ન લગાડીને પોતાના સુખભોગમાં લગાડે તો તે ઘણી ભારે ભૂલ કરે છે.સંસારની વસ્તુને પોતાની માની લેવાથી જ ફળની ઇચ્છા થાય છે અને ફળપ્રાપ્તિ માટે કર્મ થાય છે.આ રીતે જ્યાં સુધી મનુષ્ય કંઇક મેળવવાની ઇચ્છાથી કર્મ કરે છે ત્યાં સુધી તેને માટે કર્તવ્ય એટલે કે કરવાનું શેષ રહે છે.
ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો જણાય છે કે મનુષ્યમાત્રનું પોતાને માટે કોઇ કર્તવ્ય છે જ નહી,કારણ કે પ્રાપ્ય વસ્તુ પરમાત્માતત્વ નિત્યપ્રાપ્ત છે અને પોતે સ્વરૂપથી પણ નિત્ય છે,જ્યારે કર્મ અને કર્મફળ અનિત્ય એટલે કે ઉત્પન્ન અને નષ્ટ થવાવાળું છે.અનિત્ય કર્મ અને ફળનો સબંધ નિત્ય એટલે સ્વયંની સાથે હોઇ જ કેવી રીતે શકે? કર્મનો સબંધ સ્વ સાથે નહી પરંતુ શરીર અને સંસાર સાથે છે.
કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરૂષને માટે ભગવાને ૩/૧૭-૧૮માં કહ્યું છે કે તે મહાપુરૂષના માટે કોઇ કર્તવ્ય નથી કેમકે તેની રતિ-તૃપ્તિ અને સંતુષ્ટિ પોતાની જાતમાં જ થાય છે એટલા માટે તેને સંસારમાં કરવા અથવા ન કરવા સાથે કોઇ પ્રયોજન રહેતું નથી તથા તેનો કોઇપણ પ્રાણી સાથે સહેજપણ સ્વાર્થનો સબંધ રહેતો નથી.એવું હોવા છતાં પણ તે મહાપુરૂષ લોકસંગ્રહના માટે કર્મ કરે છે.એ જ રીતે ભગવાન અહી પોતાના માટે કહે છે કે કોઇપણ કર્તવ્ય ન હોવા તથા કશું પણ મેળવવાનું બાકી ન હોવા છતાં પણ હું લોકસંગ્રહના માટે કર્મ કરૂં છું.અર્થ એ છે કે તત્વજ્ઞ મહાપુરૂષની ભગવાનની સાથે એકતા હોય છે.જેવી રીતે ભગવાન ત્રિલોકમાં આદર્શ પુરૂષ છે તેવી જ રીતે સંસારમાં તત્વજ્ઞ પુરૂષ પણ આદર્શ છે.
ભગવાન કહે છે કે હું ઉત્સાહ તથા તત્પરતાથી આળસરહિત થઇને સાવધાનીપૂર્વક,સાંગોપાંગ રીતે કર્તવ્યકર્મો કરૂં છું.કર્મોનો ત્યાગ કે ઉપેક્ષા કરતો નથી.જેવી રીતે એન્જીનના પૈડાઓના ચાલવાથી એન્જીન સાથે જોડાયેલા ડબ્બાઓ પણ ચાલતા રહે છે તેવી જ રીતે ભગવાન અને સંતો તથા મહાપુરૂષો જેમનામાં કરવાની અને મેળવવાની ઇચ્છા નથી તે એન્જીનની જેમ કર્તવ્યકર્મ કરે છે,જેથી અન્ય મનુષ્યો પણ તેમનું અનુસરણ કરે છે.અન્ય મનુષ્યોમાં કરવાની અને કર્મ કરવાની અને મેળવવાની ઇચ્છા રહે છે એ ઇચ્છાઓ નિષ્કામભાવપૂર્વક કર્તવ્યકર્મ કરવાથી જ દૂર થાય છે.જો ભગવાન અને સંતો તથા મહાપુરૂષો કર્તવ્યકર્મ ના કરે તો બીજા મનુષ્યો પણ કર્તવ્યકર્મો નહી કરે,તેથી તેઓમાં આળસ-પ્રમાદ આવી જશે અને તેઓ અકર્તવ્ય કરવા મંડી પડશે,એટલા માટે તમામ મનુષ્યોના હિત માટે ભગવાન અને સંતો તથા મહાપુરૂષો દ્વારા સ્વાભાવિક રીતે જ કર્તવ્યકર્મો થાય છે.
ભગવાન સદૈવ કર્તવ્યપરાયણ રહે છે,ક્યારેય કર્તવ્યચ્યૂત થતા નથી.આથી ભગવત્પરાયણ સાધકે ક્યારેય પણ કર્તવ્યચ્યૂત ના થવું જોઇએ.કર્તવ્યચ્યૂત થવાથી જ તે ભગવતત્વના અનુભવથી વંચિત રહે છે.નિત્ય કર્તવ્યપરાયણ રહેવાથી સાધકને ભગવત્તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઇ શકે છે.
ત્રણે લોકમાં સ્વર્ગ-નરક અને મૃત્યુ આ ત્રણ લોક છે.સ્વર્ગ અને નરકમાં મૃત્યુ નથી.સુખ કે દુઃખ લાંબા સમય સુધી ભોગવતા રહેવાનું હોય છે.મૃત્યુ હોય તો સુખ-દુઃખમાંથી છુટકારો થઇ જાય.મૃત્યુ નથી તેથી પુનઃજન્મ પણ નથી.સ્વર્ગ-નરકમાં પ્રસૂતિ નથી,બાળકો જન્મતાં નથી.નારકીય જીવોનાં બાળકો પણ નારકીય થાય અને સ્વર્ગના જીવોનાં બાળકો પણ દેવો જ થાય,પણ તેવું થતું નથી.જે જીવાત્મા સ્વર્ગ કે નરકમાં ગયો છે તે જ ત્યાં દૈવી કે નારકીય શરીર ધારણ કરીને કર્મોની સીમા સુધી સુખ-દુઃખ ભોગવતો રહે છે,પછી પાછો અહી મૃત્યુલોકમાં આવે છે.
આ લોકમાં મૃત્યુ છે તેથી જન્મ પણ છે જ.મૃત્યુ પછી જન્મ જ ના હોય તો જીવસૃષ્ટિ સમાપ્ત થઇ જાય.તે બે રીતે જ ચાલુ રહી શકે.એક કાં તો પુનર્જન્મ માનીએ અથવા અનાત્મવાદી જીવસૃષ્ટિ માનીએ એટલે કે પ્રકૃતિમાંથી જ ચેતન ઉત્પન્ન થાય છે અને વિલિન થઇ જાય છે,જેવું નાસ્તિકો માને છે પણ જો તમે જીવાત્મા માનો તો અબજો વર્ષોથી ચાલી આવતી આ સૃષ્ટિમાં નવા-નવા જીવો લાવવા ક્યાંથી? પ્રત્યેક જીવાત્મા જ એકવાર જન્મ લઇ અને એક જ વાર મરી જાય છે,તો નવા જન્મો માટેના જીવો લાવવા ક્યાંથી?
ભગવાન કહે છે કે આ ત્રણે લોકમાં મારે કશું જ કર્તવ્ય નથી તેમાં પણ બે લોક સ્વર્ગ અને નરક તો માત્ર ભોગભૂમિ છે.ત્યાં નવા કર્મો થતાં નથી એટલે તેમાં રહેનારા જીવોને પણ કશું કર્તવ્ય-અકર્તવ્ય હોતું નથી.માત્ર આ મૃત્યુલોકમાં જ કર્તવ્ય-અકર્તવ્ય હોય છે તો પણ ભગવાન કહે છે કે ત્રણે લોકમાં મારે કશું કર્તવ્ય નથી,આમ હોવા છતાં હું સતત કર્મો કરતો રહું છું કારણ કે જો હું કર્મો ના કરૂં તો લોકો પણ ના કરે, તો હું લોકોનો ઉચ્છેદક થઇ જાઉં.ભારતને દરિદ્ર બનાવવામાં કર્મત્યાગી પલાંઠીયા ભગવાનોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.તે કર્મત્યાગી થયા એટલે પ્રજા પણ કર્મત્યાગી થઇ.પુરૂષાર્થ ગૌણ બની ગયો.પુરૂષાર્થ, રળવું,કમાવવું,પરસેવો પાડવો વગેરેને જંજાળ માનવામાં આવ્યાં.બસ એક જ ઉપદેશ સંસારત્યાગી, કર્મત્યાગી થઇ જાઓ અને પલાંઠી વાળી ધ્યાન કરો.ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરો.શ્રીમદ ભગવદગીતા તેને સુધારીને વાસ્તવવાદી બતાવવા પ્રયત્ન કરે છે.
ભગવાન ઇશ્વરોનાય ઇશ્વર છે અને બધા દેવતાઓના પરમદેવ છે,બધા દેવો તેમના વશ છે. જીવમાત્રને તેમના પ્રતિનિધિ તરીકે ખાસ શક્તિ તેમના તરફથી પ્રાપ્ત છે.તે સૌના પૂજ્ય છે અને સર્વ કારણોનું તે સર્વોચ્ચ કારણ છે.પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનમાં સકલ ઐશ્વર્યોની રેલમછેલ છે,તેમનામાં બધું જ પૂર્ણતય સમૃદ્ધ છે અને સંપૂર્ણ સત્ય સ્વરૂપે રહેલ છે.જેને અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરવાની છે,કર્મના ફળ મેળવવાના છે,તેને નિમેલું કર્મ કરવાનું રહે છે પરંતુ ભગવાનને ત્રણે લોકમાં કંઇ મેળવવાનું નથી તેથી તેમને કંઇ જ કરવાપણું રહેતું નથી.ભગવાન વેદ-શાસ્ત્રોના બધા નિયમોથી પર છે છતાં પણ એ નિયમોનો ભંગ થાય એવું કંઇપણ તે કરતા નથી.ભગવાન કહે છે કે હું તો મુક્ત છું પરંતુ મારા યુગના લોકો પ્રમાદની ત્યાગ કરી ઓજસ્વી કર્મમાં પ્રવૃત્ત થાય એ માટે એક આદર્શ ઉભો કરવા હું નિષ્ઠાપૂર્વક આસક્તિરહિત કર્મમાં રત થયો છું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

