Dwarka,તા.૨૨
જામખંભાળિયામાં મિત્ર દ્વારા જ પોતાના મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરનાર ૧૫ વર્ષીય કેતન વાઘેલાની હત્યા તેના જ મિત્ર હર્ષ નાઘેરા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હર્ષ નાઘેરા દ્વારા કેતન વાઘેલાના ગળામાં પહેરેલ સોનાની ચેનની લૂંટ કરવાના ઇરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ લાશને ગટરના સંપમાં નાખી દઈ પુરાવાનો નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
જામખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પિતા અનિલ વાઘેલા દ્વારા હર્ષ નાઘેરા નામના વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ ની કલમ ૧૦૩ (૧), ૧૦૯(૬), ૨૩૮ સહિતની કલમ હેઠળ ૨૦ માર્ચ ૨૦૨૫ના રોજ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં અનિલ વાઘેલાએ જણાવ્યું છે કે, ૧૬ તારીખના રોજ દીકરો કેતન પોતાના મિત્ર હર્ષને મળવા જવું છે તેમ કહી મોટરસાયકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. રાત્રિના બે વાગ્યા સુધી પરત ન ફરતા તેને ફોન કરીને કહેતા તેણે કહ્યું હતું કે હું હમણાં ઘરે આવું છું. પરંતુ ત્યારબાદ પણ તે ઘરે પરત ન ફરતા તેને ફરી પાછો ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ તેના મિત્ર હર્ષના ઘરે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ તપાસ કરવામાં આવતા હર્ષે કહ્યું હતું કે, રાત્રિના ૧૨ઃ૩૦ વાગ્યા સુધી કેતન મારા ઘરે હતો. પરંતુ બાદમાં મોટરસાયકલ પર તેના બે મિત્રો આવ્યા હતા અને કેતનને મને કહ્યું હતું કે હું અમને ચા-પાણી પીવડાવવા જાઉં છું તેમ કહી મારા ઘરેથી જતો રહ્યો હતો.કેતનના પિતા દ્વારા હર્ષના ઘરે તપાસ કરતા કેતનના ચંપલ ત્યાં પડેલા હોવાનું સામે આવ્યું હતું. તેમજ હર્ષના ઘરની પાસે જ કેતન જે મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો તે મોટરસાયકલ પણ મળી આવ્યું હતું. રાત્રિ દરમિયાન કેતનના પરિવારજનો તપાસ કરતા હતા ત્યારે હર્ષ પણ તેમની સાથે જોડાયો હતો. તેમજ બીજા દિવસે પણ પરિવારજનોની સાથે હર્ષ તપાસમાં જોડાયો હતો. તેમજ પોતાને બહારગામ જવાનું છે તેવું કહીને હર્ષ ક્યાંક ચાલ્યો ગયો હતો.
દરમિયાન ૧૯ તારીખના રોજ રામનાથ સોસાયટીમાં કબ્રસ્તાન પાસે આવેલા ગટરના સંપ ખાતેથી એક લાશ મળી આવી હતી. જે લાશ કેતનની હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે પીએમ કરાવવામાં આવતા કેતનનું મોત ગળાના ભાગે જે કટ વાગેલ છે, તેના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. કેતનને તેના મિત્ર હર્ષ નાઘેરા દ્વારા સોનાના ૯૬,૦૦૦ની કિંમતની ચેન લૂંટવાના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ બી. એમ. દેવ મુરારીના જણાવ્યા અનુસાર, હત્યાનો ગુનો દાખલ થતાં બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કેતન છેલ્લે તેના મિત્ર હર્ષ સાથે હોવાની માહિતી મળી હતી. તેમજ ૧૭ તારીખના રોજથી હર્ષ બનાસકાંઠા રાજસ્થાન તરફ ગયો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે હર્ષને રાજસ્થાનના જેસલમેરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ તેની પૂછપરછમાં તેણે પોતાના મિત્ર કેતનની હત્યા કરી હોવાની કબુલાત આપી છે.
પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, પોતાની ભાવી પત્ની તથા નજીકના સગા સંબંધીઓ સાથે ફક્ત મોજશોખ કરવા માટે જવાનું હોવાથી તેની પાસે પૈસા નહોતા. ત્યારે પોતાના અંગત મિત્ર કેતનના ગળામાં રહેલ ચેન ઉપર તેની નજર પડી હતી. તેમજ કેતન પાસેથી તે સોનાનો ચેન મેળવવા માટે તે તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. તેમજ નશાની હાલતમાં મોડી રાત્રે છરી વડે તેનું ગળું કાપી તેની હત્યા કરી હતી.