New Delhi,તા.27
દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રની ગણના પામતા ભારતમાં કરોડ-અબજોપતિઓની સંખ્યા વર્ષોવર્ષ વધી રહી છે.પરંતુ તેમાંથી 22 ટકાને ભારત પ્રત્યે મોહ નથી અને ભારત છોડીને વિદેશમાં વસવાટ કરવા આતુર હોવાનો ચોંકાવનારો રિપોર્ટ જારી થયો છે.
કોટક પ્રાઈવેટના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, 25 કરોડ કે તેથી વધુની સંપતિ ધરાવતા દર પાંચમાંથી એક ધનવાન ભારતીય સારી લાઈફ સ્ટાઈલ તથા સરળ વ્યાપાર માહોલનાં ઈરાદા સાથે વિદેશમાં સેટલ થવાની ઈચ્છા રાખે છે.દેશના ધનવાનો પર હાથ ધરાયેલા સર્વેમાં આ તારણ નીકળ્યા હતા.
બે તૃતિયાંશ લોકોનો મુખ્યત્વે કારોબારની સરળતા માટે વિદેશમાં સ્થાયી થવા માંગે છે. જે ભારતીય ધનવાનો વિદેશમાં સ્થાયી થવા માંગે છે.તેઓના ટોપ-ફાઈવ પસંદગીનાં રાષ્ટ્રોમાં અમેરિકા,બ્રિટન, ઓસ્ટ્રેલીયા, કેનેડા, તથા સંયુકત આરબ અમીરાત યુએઈનો સમાવેશ થાય છે. યુએઈની ગોલ્ડન વિઝા સ્કીમનું આકર્ષણ છે. કારણ કે તેમાં ઘણા લાભો છે.
ભારતમાં 25 કરોડની અધિકની સંપતિ ધરાવતા ભારતીયોની સંખ્યા 2.83 લાખની છે.જે 2008 સુધીમાં 4.3 લાખ થવાનો અંદાજ મુકાય છે. સર્વેક્ષણમાં સામેલ પાંચમાંથી એક ભારતીય ધનવાને કહ્યું કે તેઓ બીજા દેશમાં સેટલ થવાની પ્રક્રિયા કરી રહ્યા છે અથવા તૈયારી પૂર્ણતાને આરે છે.મોટાભાગનાં આ લોકોએ ભારતની નાગરિકતા સાથે બીજા દેશમાં નિયમીત વસવાટ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
કોટક મહિન્દ્ર બેંકનાં અધ્યક્ષ ગૌતમી ગવાંકરના કહેવા પ્રમાણે ધનવાનોના વિદેશ સ્થાયી થવાથી તેઓનુ તમામ નાણુ વિદેશ ભેગુ થઈ જાય તેવી વાત નથી.ભારતીય કાયદા અને નિયમો હેઠળ તેઓ ઈચ્છે તો પણ આવુ કરી ન શકે. ભારતીય કાયદા મુજબ નાગરિક વર્ષે માત્ર 2.50 લાખ ડોલર લઈ શકે છે.બિનનિવાસી ભારતીયો માટે આ મર્યાદા 10 લાખ ડોલરની છે ધનિકો વિદેશ જાય તો પણ તેમનાં નાણાં ભારતમાં જ રહેશે.