સોમવારથી શરૂ થનાર ભોજનાલયમાં દાળ,ભાત,શાક,રોટલી-છાસ-અથાણા-ગોળ અપાશે
Rajkot,તા.19
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.૨૩ ના સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી રૂા.૨૦ ના રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ અપાશે. ભોજનની પેકીંગ ડીશ પણ રાહતદરે ભોજનાલયમાંથી અપાશે. ૨૦ ની થાળીમાં સ્વાદિષ્ટ શાક,રોટલી-દાળભાત,છાશ,અથાણું, ગોળ આપવામાં આવશે. ભુખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનુ પીરશાસે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામાન્ય હોટલ કે ઢાબામાં ૧૦૦ રૂપિયા સુધીમાં પણ થાળી મળતી નથી. ત્યારે આ ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરાશે.
ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ કોઈપણ સારૂ કાર્ય કરતા પહેલા ભગવાનની પૂજન-અર્ચન-ભકિત કરવાનુ મહાત્મ્ય દર્શાવ્યું છે. તેને અનુલક્ષીને તા.૨૨,જૂન રવિવારે, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ રાજકોટ ખાતે સાંજે ૭ કલાકેથી બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રૂા.૨૦ ટના ટોકનદરે સાત્વિક ભોજન-સદગુરૂ પ્રસાદ કરાવવાની આ પહેલ આશીર્વાદરૂપ સાબીત થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના ચીરાગભાઈ મહેતા, હિરેનભાઈ દવે, સાગર ગણાત્રા, મુકેશ અઢીયા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.