આપણે રોજ સવારે અને અમુક લોકો રાત્રે બ્રશ કરતાં હોય છે. આપણે બ્રશ કર્યા બાદ સામાન્ય રીતે કોગળા કરીએ છીએ. આ એક મૌખિક સ્વચ્છતાની કવાયત હોય છે જેને લોકો અનુસરે છે પરંતુ જો અમે તમને કહીએ કે તમે આ મૂળભૂત, રોજિંદું કાર્ય ખોટી રીતે કરી રહ્યાં છો તો ?
ઇન્ટરનેટ પર અનેક વાયરલ વીડિયો અનુસાર, તમારે દાંત સાફ કર્યા પછી કોગળા કરવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. કેમ ? ક્લિપ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂથપેસ્ટમાં રહેલાં ફ્લોરાઇડને તેનું કામ કરવા માટે પૂરતો સમય મળતો નથી. જે તમારા દાંતને મજબૂત બનાવે છે. શું આ દાવો સાચો છે, કે પછી ’વ્યૂઝ’ અને ’શેર’ માટે ઓનલાઇન ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે ?
દાંતનાં ડોક્ટરોને પૂછવા પર તેઓએ જણાવ્યું હતું કે, આ વાયરલ વિડિઓ જે સૂચવે છે તે સાચું છે. દાંતનાં ડોક્ટરો સંમત થાય છે કે કોઈએ દાંત સાફ કર્યા પછી પાણીથી તરત જ કોગળા કરવાનું ટાળવું જોઈએ.
દાંતનાં ડોક્ટરે કહ્યું કે, બ્રશ કર્યા પછી તમારાં મોઢાને પાણી અથવા માઉથવોશથી ધોવું જોઈએ નહીં. બ્રશ કર્યા પછી અને માઉથવોશનો ઉપયોગ કર્યા પછી જો તમે કોગળા કરો છો, તો તમે ફ્લોરાઇડને ધોઈ નાખો છો, અને તે સડો અટકાવી શકતું નથી.
જ્યારે ફ્લોરાઇડ તમારા દાંત પર લાંબા સમય સુધી રહે છે ત્યારે તે સૌથી વધુ અસરકારક કામ કરી શકે છે. ” દાંતનાં ડોક્ટરો સૂચવે છે કે વધારાની ટૂથપેસ્ટને થૂંકીને પાણી પીતાં પહેલાં 20-30 મિનિટ સુધી રાહ જોવી જોઈએ.
નોઇડાની ન્યુમેદ હોસ્પિટલના ડેન્ટલ વિભાગનાં વડા ડો.સુમન યાદવ કહે છે કે જો કોઈને દાંત સાફ કર્યા પછી તરત જ મોં ધોવાની જરૂર લાગે છે, તો ફ્લોરાઇડ વાળા પાણીનો કોગળા માટે ઉપયોગ કરવો જોઈએ. ફ્લોરાઇડ એક ખનિજ છે, જે દાંતને બેક્ટેરિયા અને મોઢામાં ઉત્પન્ન થતાં એસિડથી સુરક્ષિત રાખે છે જે દાંતનાં સડાને ઘટાડે છે.
જ્યારે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ દાંતના સંપર્કમાં આવે છે, ત્યારે તે સ્ફટિક માળખામાં સંકલિત થાય છે અને ફ્લોરાપેટાઇટ નામનું ખનિજ બનાવે છે, જે એસિડ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલું જ નહીં, પરંતુ તે કેલ્શિયમ અને ફોસ્ફેટ આયનોને પ્રોત્સાહિત કરીને દાંતનાં વિકાસમાં પણ ફાળો આપે છે, જે દાંત પર નવી સપાટી બનાવે છે.
દાંતનાં ડોક્ટરો ફ્લોરાઇડને એક મહત્વપૂર્ણ ટૂથપેસ્ટ ઘટક તરીકે ગણાવે છે. જો કે, બાળકો અને જેમને ડેન્ટલ ફ્લોરોસિસનું નિદાન થયું હોય તેઓને ફ્લોરાઇડ ધરાવતાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જે બાળકો દાંત સાફ કરતી વખતે આકસ્મિક રીતે ટૂથપેસ્ટ ગળી જાય છે, તેમને પણ ફ્લોરાઇડ-ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે
ફ્લોરાઇડ-ફ્રી ટૂથપેસ્ટનો ઉપયોગ કરતી વખતે તમારે કોગળા ન કરવાનાં નિયમને અનુસરવાની જરૂર નથી. દાંતનાં ડોક્ટરો આ ખનિજ ધરાવતાં ન હોય તેવાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપતાં નથી.
દાંતની તંદુરસ્તી વધારવા માટેની ટીપ્સ
:- નરમ બ્રશનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત બ્રશ કરો. ગોળાકાર ગતિમાં બ્રશ કરો જેથી દાંતની બધી સપાટીઓ સાફ થઈ શકે.
:- તમારી દિનચર્યામાં ફ્લોસિંગનો ઉમેરો કરો. ફ્લોસિંગ એ એક પ્લાસ્ટિકનો દોરો હોય છે જે દરેક દાંતની વચ્ચેથી પસાર કરીને દાંતોની સફાઇ કરે છે. ફ્લોસિંગનો ઉપયોગ કરીને ખોરાકનાં કણોને એવાં વિસ્તારોમાંથી દૂર કરી શકાય છે જ્યાં બ્રશ પહોંચી શકતું નથી.
:- તમારી જાતને હાઇડ્રેટેડ રાખો અને ખાંડ અને એસિડિક આહારના સેવનને મર્યાદિત કરો, કારણ કે તે દાંતનાં સડા તરફ દોરી શકે છે.
:- નિષ્ણાતો બેક્ટેરિયાને ઘટાડવા અને તમારાં શ્વાસને તાજો કરવા માટે એન્ટિબેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે. આલ્કોહોલથી મુક્ત હોય તે પસંદ કરવું જોઈએ.
:- ધૂમ્રપાન અથવા તમાકુનો ઉપયોગ સમગ્ર આરોગ્ય માટે હાનિકારક છે, જેમાં મૌખિક આરોગ્યનો પણ સમાવેશ થાય છે. તેનાથી દાંતમાં સડો, પેઢાના રોગ અને મોઢાનાં કેન્સરનું જોખમ વધી જાય છે. નિકોટિનથી દાંત પર ડાઘ પડી જાય છે.