હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સૌ પ્રથમ તો ભારતીય સંગીતની પદ્મ ભૂષણ અને કેટલાંય એવોર્ડ જીતનારા તથા 10,000 ઉપર ગીત ગાનાર આશા ભોંસલેની ચીર વિદાય થઈ, એટલે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરી,આગળ વધીએ. આજે મંગળવાર એટલે કે ગીતાના જ્ઞાનનો દિવસ. આપણી સંસ્કૃતિ જેને વિષ્ણુનાં આઠમાં અવતાર માને છે, એવાં યોગ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાનાં મોઢે મનુષ્ય એ કેવું જીવન જીવવું જોઈએ એ કૃષ્ણાર્જુન સંવાદ રૂપે ભગવત્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે! એટલે કે મનુષ્ય તારી માટે મારો આ આદેશ, ઉપદેશ કે સંદેશ જે નામ આપો તે છે, પણ આશ્ચર્ય આપણે એને અનુસરતાં નથી! અને એવું પણ નથી કે આપણે નાસ્તિક છીએ! ધર્મને નામે પ્રવર્તમાન સમયમાં જે થઈ રહ્યું છે, એ ભાગ્યે જ અન્ય યુગમાં થયું હશે! ક્યારેક સત્કર્મ ની આડ લઈને દુષ્કર્મ! તો ક્યારેક ગુન્હો કરે જ એટલાં માટે કે ગરીબોનો બેલી બની એની તકલીફો દૂર કરે! અને આપણી આસપાસ આ બધું જ આપણે જોઈ શકીએ એમ જ થાય છે, એ સાચું છે કે ખોટું એને આપણે ત્રાજવે તોળવું નથી! પણ આવું શું કામ થાય છે! એનું વિશ્લેષણ જરુર થઈ શકે, પરંતુ વાત મૂળમાં એ છે કે આપણી ધર્માંધતા તો જુવો! કે બની બેઠેલાં ધર્મગુરુઓ કે સ્વામીઓની વાત માનવી છે, પણ ખુદ ભગવાન કહે છે એ જ નથી માનવું. ખેર ભગવત્ ગીતાના છઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગનાં પાંચમાં શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે, જીવ ની પ્રગતિ કે અધોગતિ માટે એ બીજા કોઈને જવાબદાર ઠેરવી શકે નહીં.
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત,
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ.
મનુષ્ય પોતાનાં વડે પોતાનાં જ સંસાર સાગરનો ઉદ્ધાર કરે, અને પોતાનાં વડે જ પોતાને અધોગતિમાં નાખે! કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, અને પોતે જ પોતાનો શત્રુ છે.
ઉદ્ધરેદાત્મનાત્માનં શબ્દની સંધિ છૂટી પાડીએ તો આપણને ત્રણ શબ્દ મળે ઉદ્ધરેદ, આત્મના અને આત્મનામ્, હવે એનો અર્થ સમજવા આ ત્રણ શબ્દનો ક્રમ બદલવો પડશે.આત્માનમ્” પોતાને, અહીં અશરીરી અવસ્થા એટલે કે શરીર ન્હોય ત્યારે પણ જે શાશ્વત છે, એ પોતાનાની વાત કરી છે.“આત્મના” શબ્દનો “પોતાનાં દ્વારા” એવો સરળ અર્થ થાય છે, બુદ્ધિજીવીઓ એ સંસાર ને અસાર કહ્યો છે, કારણ કે સંસાર એક એવો સમુદ્ર છે જે ક્યારેય પૂર્ણ તૃપ્ત કરી શકે એવું મીઠું પાણી આપી શકતો નથી, અને છતાં આપણે જીંદગીભર સંસાર આપણને શાતા એટલે કે રાહત અથવા શાંતિ આપશે એવી આશા રાખી મથીએ છીએ. પણ સંસારમાં રહીને પણ એનાથી પરેની માનસિકતા કેળવવાની વાત, એટલે કે પોતાનાં દ્વારા જ પોતાનો ઉદ્ધાર છે. “ઉદ્ધરેદ” સાવ સીધાસાદો અર્થ છે કે, ઉદ્ધાર કરવો, ઉંચે ઉઠાવવું. પણ ગીતાનાં આત્મસંયમ યોગમાં કહ્યું છે, એટલે આધ્યાત્મિક અર્થ પણ જોવો રહ્યો! આમાં કોનો ઉદ્ધાર કરવાની વાત છે, અથવા તો કોને ઉપર ઉઠાવવાની વાત છે! કારણ કે આત્મ તત્વ તો ઈશ્વર જેમ જ નિર્ગુણ, નિષ્કામ, નિષ્ક્રિય, અને અસંગ હોય છે. મનુષ્યની જે બધી સારી ખરાબ વૃત્તિ છે, એ આત્માનું કંઈ બગાડી શકતી નથી, પરંતુ જેમ શ્રીફળની કાચલી કાઢ્યાં વગર ટોપરું પ્રાપ્ત થતું નથી, બસ એમ જ આપણાં માનસ અથવા તો આત્મા આસપાસ આ બધી જડ વૃત્તિ ડેરો જમાવી બેઠી છે, અને આ સાંસારિક વૃત્તિઓ જ આત્મ ઉદ્ધારની બાધક છે એનાથી ઉપર ઉઠવાનું છે, કે આત્માનો ઉદ્ધાર કરવાનો છે.
નાત્માનમવસાદયેત, આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો ન નહીં,આત્માનમ્ એટલે કે પોતાને
અવસાદયેત નિરાશ કરવો કે પતન તરફ દોરવો એવો થાય. અવસાદયેત જે અવ+ સાદયેત, એમ સાદયતે સાથે અવ ઉપસર્ગ જોડવાથી શબ્દ બન્યો છે. અવ એટલે નીચે, અવરોધિત કે અધોગતિ દર્શાવે છે, અને સાદયેત એટલે દોરે છે, અથવા લઈ જાય છે, એટલે કે આપણી વૃત્તિઓ જ એને અધોગતિ તરફ લઈ જાય છે!
આત્મૈવ હ્યાત્મનો, આત્મા + એવ + હિ + આત્મનઃ જેમાં આત્મા પોતે, એવ જ છે,
હિ નિશ્ચયે એટલે કે ખરેખર, આત્મનઃ પોતાના. આ સંધિમાં હિ શબ્દ નવો છે, અને હિ નિશ્ચયે, શું પોતે આત્મ જ્ઞાનનાં પ્રકાશથી ખરેખર એટલો દૂર છે! કે એને પોતાની અધોગતિ પણ દેખાતી નથી.
બન્ધુરાત્મૈવ રિપુરાત્મન, બન્ધુઃ + આત્મા + એવ + રિપુઃ + આત્મનઃ
બન્ધુઃ એટલે મિત્ર, આત્મા,પોતે, એવ, જ
રિપુઃ શત્રુ, આત્મનઃ પોતાનાં. બન્ધું એટલે કે મિત્ર, અને રિપુ એટલે શત્રુ.
શરીરનાં માધ્યમથી જન્મ લઈને આવેલ આત્મા પરમાત્માનું અનુસંધાન કંઈ રીતે કરવું! અથવા તો અંતે તો હું આ માધ્યમથી એને પ્રાપ્ત કરવા હેતુ જ જન્મ લઈને આવ્યો છું! એવું જો વિચારી શકે તો જીવ પોતે પોતાનો મિત્ર છે, અને તો એ સંસારમાં રહેવાં છતાં પરમાત્માનાં અંશ જેમ કે નિર્ગુણ, નિઃસ્વાર્થ, નિષ્પક્ષ, અને અસંગ રહી શકે છે! અને આ શરીર તો નિમિત્ત માત્ર છે, એવાં સહજ જ્ઞાન ને કારણે સ્થૂળ કાયાનું એને અભિમાન રહેતું નથી. બિલકુલ આનાથી વિપરીત વૃત્તિ એટલે કે શરીર ને જ મુખ્ય માની એનાં ભોગ વિલાસ અને વિષયોમાં આસક્ત ભોગી જીવ, પોતાનો જન્મ કેવળ ભોગ ભોગવવા જ થયો છે, માટે ઈન્દ્રિયોને ભોગ વિલાસમાં સતત રત રાખે, અને હું અને મારું આ બે જીદ્દી વૃત્તિ આસપાસ જ ભમે રાખે, તો એ ખુદ પોતાનો જ શત્રુ છે. આવું વિશ્લેષણાત્મક ચિંતન આ શ્લોકનું થાય.
હજી સુક્ષ્મ જઈએ તો આજનાં મનુષ્યની માનસિક્તામાં રામ અને રાવણ બંને સમાયેલાં છે, એટલે જીવનભર એક વૃત્તિ રાખી શકતો નથી! અને એને પોતાને પણ ખબર નથી કે, એ ક્યારે રામ માંથી રાવણ થઈ ગયો! રામ માંથી રાવણ બનાવનાર એક જ વૃત્તિ છે, અને એ છે અહમ્ એટલે કે અભિમાન! ગીતામાં ભગવાન ડીમડીમ ઘોષ કરીને કહે છે, કે હું જ કર્તા છું! છતાં જીવ નું આ હું પણું મૃત્યુ સુધી ભાગ્યે જ છૂટે છે! અને નરસિંહ કહે છે એમ હું કરું! હું કરું! એ જ અજ્ઞાનતા, જીવને ભારે પડી જાય છે, અને મનુષ્ય જન્મનો ફેરો નિષ્ફળ જાય છે! સાંસારિક વ્યવહારોમાં તો ઠીક પણ ભક્તિ મુક્તિ નો મર્મ સમજ્યા વગર એમાં પણ, હું કરું! હું કરું! વૃત્તિ અને ભાવ બંને આગળ સદ લાગે છે, પરંતુ છતાં વૃત્તિ એટલે પ્રવૃત કરનાર જ્યારે ભાવ એ પ્રવૃત્તિથી પણ ઉપર ઉઠાવનાર તત્વ છે. આપણું હું પણું જ સત્ય પ્રેમ અને કરુણા જેવા ભાવને જાણે અજાણે અવગણે છે, અને ભક્તિમાં મળતી જીવનની મસ્તી કે મુક્તિ રુપી શાંતિથી દૂર લઈ જાય છે. આપણે આપણા મિત્ર બનીને જીવનનો ઉદ્ધાર કરીએ,એવી પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

