Lucknow,તા.16
જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો કે, ગ્રાઉન્ડ સ્ટાફે તાત્કાલિક ધોરણે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ ટીમને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.
એરપોર્ટ ઓથોરિટીએ સુનિશ્ચિત કર્યું છે કે, તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના બનતા ટળી છે. અન્ય ફ્લાઈટનું સંચાલન ચાલુ છે. આ વિમાન હજયાત્રીઓને લઈને આવી રહ્યું હતું. જાણકારી અનુસાર, આ વિમાન 250 હજયાત્રીઓને લઈને રવિવારે સવારે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લેન્ડિંગ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ખામીના કારણે ધુમાડો નીકળ્યો હતો. વિમાનના પૈડાંમાંથી આગના તણખલા અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટે પણ સમય સૂચકતા વાપરી વિમાન અટકાવી એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરી હતી.સુત્રો અનુસાર, લેન્ડિંગ ગિયરમાં હાઈડ્રોલિક ઓઈલ લિકેજ થતાં પૈડાંમાંથી ધુમાડો નીકળ્યો હતો. હજી હાલમાં જ અમદાવાદમાં 12 જૂને બપોરે 1.40 વાગ્યે મોટી વિમાન દુર્ઘટના બની હતી. જેમાં 241 મુસાફરો મોતને ભેટ્યા હતાં. આ સિવાય વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું, ત્યાં ઉપસ્થિત 37 લોકો મૃત્યુ પામ્યા હતાં.