Dakor,તા.10
યાત્રાધામ ડાકોર ખાતે જેઠ માસની પૂનમ તા.૧૧મીને બુધવારે સવારે ૫.૧૫ કલાકે મંગળા આરતી બાદ ઠાકોરજીને એક કલાક સુધી જેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવશે. આરોગ્ય પ્રદાન ઔષધિઓથી સ્નાન કરતા ઠાકોરજીને નિહાળવા માનવ મહેરામણ ઉમટશે.
જેઠ માસની પૂનમના રોજ જેષ્ઠા સ્નાન ઠાકોરજીને કરવામાં આવે છે. જન્મ કુંડળીમાં દોષના નિવારણ માટે કરાવવામાં આવતું સ્નાન મનાય છે. ઠાકોરજીને ૧૨૫ ઘડાનું સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગુલાબજળ, ચંદન, કેસર અને કેટલીક ઔષધીઓ પણ ઉમેરવામાં આવે છે. સ્નાન કરવા માટે આગલા દિવસે ઠાકોરજીને સફેદ ધોતી ધારણ કરાવવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠાકોરજીને વસ્ત્ર સાથે સ્નાન કરાવવામાં આવે છે. લોકવાયકા મુજબ બાળકનો જન્મ આશ્લેષા કે જેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય તો તેની આ પ્રકારે વિધિ કરવી પડે છે. આમ ડાકોરમાં તા. ૧૧મીને બુધવારે જેષ્ઠા નક્ષત્રની વિધિ મુજબ ઠાકોરજીને મંગળા આરતી પછી એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવશે.પૂનમના દિવસે સવારના ૫.૧૫ કલાકથી બપોરના ૨.૩૦ સુધી ઠાકોરજી દર્શન આપશે. ત્યારે વિવિધ ભોગ દરમિયાન તેમજ બપોરે ૨.૩૦થી ૩.૪૫ કલાક દરમ્યાન દર્શન બંધ રહેશ. બપોરના ૩.૪૫ કલાકથી દર્શન ખૂલી રાત્રિના ૮.૦૦ વાગ્યાના અરસામાં બંધ કરવામાં આવશે.