New Delhi,તા.11
આબોહવા પરિવર્તન તથા આકરી ગરમીના પ્રવર્તમાન દોરમાં અનિવાર્ય થઈ પડેલા એરકન્ડીશન માટેની નીતિમાં સરકારે મોટો બદલાવ કર્યો છે. હવે તમામ નવા એરકન્ડીશન (એસી)માં ન્યુનતમ તાપમાન 16-18 ડીગ્રીને બદલે હવે 20 ડીગ્રી રહેશે જયારે મહતમ તાપમાન 30 ડીગ્રીને બદલ, 28 ડીગ્રી રહેશે.
સરકારનાં આ કદમથી ત્રણ વર્ષે 18000 થી 20000 કરોડની ઉર્જા બચત થવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ એક અનોખો પ્રયોગ છે. નવા નિયમથી એસીની કુલીંગ કાર્યક્ષમતામાં વધારો થશે. ઉર્જા માંગ નિયંત્રીત થશે અને વિજબીલમાં પણ રાહત થશે.
નવા નિયમો નોટીફાઈ થવાની સાથે જ તમામ ક્ષેત્રોમાં વપરાતા એરકન્ડીશન્ડમાં તે લાગુ પડી જશે. રહેણાંક મકાનોથી માંડીને ઓફીસ, મોલ, હોટેલ, થિયેટર સહીતનાં કોમર્સીયલ ક્ષેત્રમાં પણ અમલી બનશે.
જાપાન તથા ઈટાલીમાં સમાન પ્રકારનાં નિયમોથી પ્રેરાઈને આ કદમ ઉઠાવવામાં આવ્યુ છે. રોમમાં જાહેર ક્ષેત્રની ઈમારતોમાં ન્યુનતમ તાપમાનની માત્ર 23 ડીગ્રી રાખવામાં આવી છે. જાપાનમાં 27 ડીગ્રીનો નિયમ અમલમાં છે.
સરકારના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે કુલીંગ માટે એસીનાં તાપમાનમાં એક ડીગ્રીનો વધારો કરવામાં આવે તો ઉર્જા વપરાશમાં 6 ટકાનો ઘટાડો થાય છે. 6 કરોડ રહેણાંક એસીમાં તથા 52 લાખ કોમર્સીયલ ક્ષેત્રના એસી 22 થી 24 ડીગ્રીની રેન્જમાં રાખવામાં આવે તો વર્ષે 22 થી 15 અબજ યુનિટ વિજળીની બચત થઈ શકે છે અને 4 થી 5 કોલસા આધારીત પાવર પ્લાંટમાંથી ઉત્પાદીત વિજળી બની શકે છે. કાર્બન ઉત્સર્જનનાં પ્રદુષણમાં પણ મદદ મળી શકે છે