વર્ષાઋતુના આગમન સમયે લગભગ દરેક વ્યકિતને એ જાણવાની જિજ્ઞાસા હોય છે કે આ વરસે વરસાદ કેટલો આવશે? કયારે આવશે? આમ તો હવામાન ખાતું આગાહી કરતું હોય છે અને હવે તો ઉપગ્રહો મારફતે પૃથ્વીની તસવીરો ખેંચીને વાદળોની સ્થિતિના આધારે અનુમાન કરવાની પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે, પરંતુ આ હવામાન ખાતાની આગાહી હજી સચોટ પરિણામ આપતી થઈ નથી એવું લાગી રહ્યું છે ત્યારે વરસાદની આગાહી માટે હજી એ જાણવાનો પ્રયાસ થાય છે કે ટિટોડી ઈંડાં કયાં મૂકે છે? કોઈ ઊંચી ઈમારતની છત ઉપર જો ઈંડાં મૂકે તો ભારે વરસાદ થશે તેવી અને જમીન ઉપર મૂકે તો વરસાદ ખેંચાશે અથવા ઓછો પડશે એવી આગાહી જાણકારો કરતા હોય છે. તો વળી ભૂકંપ, વાવાઝોડું કે અન્ય કુદરતી આપત્તિની આગોતરી જાણકારી ચોક્કસ સ્વરૂપમાં મેળવવાનું વિજ્ઞાન માટે હજી દૂરની સંભાવના જણાય છે ત્યારે કુદરતે અબોલ પશુ-પંખીઓને એવી આંતરિક શકિત આપી છે. તેમને આવી દુર્ઘટનાઓની આગાહી કેવી રીતે મળી જાય છે તે વિજ્ઞાન માટે પણ હજી અચરજભર્યું જ બની રહ્યું છે. વિજ્ઞાનીઓ દ્વારા આ દિશામાં થયેલા પ્રયાસો દ્વારા પણ એ વાતને સમર્થન મળે છે કે અન્ય જીવો, પશુ-પંખીઓમાં કુદરતી શકિત પડેલી છે, જેના દ્વારા તેઓ આગોતરી જાણકારીના આધારે સલામત સ્થળે ખસી જઈને પોતાનો બચાવ જાતે જ કરી લે છે. સામાન્ય ભાષામાં જેને છઠ્ઠી ઈન્દ્રિય કહેવામાં આવે તે આવી ઘટનાઓની અગાઉથી જાણકારી આપતા સંકેતો અંગે કરવામાં આવેલાં સંશોધનો બતાવે છે કે એક પ્રકારની ચુંબકીય શકિત ધરાવતા તરંગો પશુ-પંખીઓને ચેતવણી આપી દે છે. દરિયા માર્ગે લાંબી મુસાફરી કરતાં જહાજોના ચાલકો દ્વારા આધુનિક યંત્રોની સાથોસાથ કેટલાક દેશી ઉપાયો દ્વારા પણ જાણકારી મેળવવાના પ્રયાસ થાય છે, જેમ કે કોઈ તોફાન આવવાનું હોય ત્યારે વહાણ કે મોટી સ્ટીમરમાં રહેતા ઉંદરોની હલચલના આધારે આવો સંકેત મેળવવા પ્રયાસ થાય છે. જો ઉંદર એકાએક સક્રિય બની જાય અને દરમાંથી બહાર આવી દોડાદોડી કરવા લાગે તો ટૂંક સમયમાં દરિયામાં તોફાન આવવાની આગાહી થતી હોય છે. વરસાદ આવવાનો હોય તેના થોડા સમય અગાઉ કાળી કીડીઓ પોતાનાં ઈંડાં ઊંચા સ્થાન ઉપર ફેરવવા માંડે છે. દેડકાઓ સામૂહિક ગાન કરવા લાગે ત્યારે પણ વરસાદ આવે છે. ચકલી પાણી અથવા ધૂળમાં આળોટવા લાગે તેને વરસાદના આગમનના સંકેતરૂપ માનવામાં આવે છે? મધમાખીઓને પણ વરસાદના આગમનની પૂર્વ જાણ આપોઆપ થઈ જાય છે અને વરસાદ આવવાના થોડા કલાકો પહેલાં જ સમૂહમાં બધી મધમાખી ભેગી થઈને વર્તુળાકારે ઊડવા લાગે છે. ધીરે ધીરે મોટું વર્તુળ બનાવી કયાંય દૂર ચાલી જાય છે અને વર્ષાઋતુ પૂરી થતાં પાછી પોતાના મધપૂડામાં આવી જાય છે. તિબેટ અને દાર્જીલિંગના પહાડી પ્રદેશમાં ભારે વરસાદ થવાનો હોય તેની જાણકારી સારસને પહેલેથી થઈ જાય છે. વધારે વરસાદ થવાનો હોય તો તેનો માળો ગુફા અથવા પહાડની ચટ્ટાનો વચ્ચે સલામત જગ્યા જોઈને બાંધે છે. એવી જ રીતે દરિયામાં જ્યારે ઓટ આવવાની હોય ત્યારે અમુક માછલી દરિયાની રેતમાં ચોક્કસ સમય જાણીને જ ઈંડાં મૂકી આવે છે. જાપાનમાં કાચિંડાની જેમ એક રંગ બદલતી માછલી થાય છે. તેના શરીરનો રંગ લાલ બની જાય ત્યારે વરસાદ આવવાની શકયતા એકદમ વધી જાય છે. તેનો રંગ લીલો બની જાય તો સમજવાનું કે ઠંડી વધારે પડશે, જ્યારે સફેદ રંગ હોય ત્યારે ગરમી વધારે પડે છે. આથી જાપાનીઓ મોસમની જાણકારી માટે આ માછલીને પોતાના ઘરમાં એકવેરિયમમાં રાખે છે. ચીનમાં કેટલાંક પાલતુ પશુઓ ભૂંકપની આગોતરી જાણ પોતાના અસામાન્ય વર્તન દ્વારા કરી દે છે. સૂર્ય કે ચંદ્રગ્રહણ સમયે પણ આ પશુઓના વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ચંચળ પ્રકૃતિના અને સતત ઊછળકૂદ કરતા વાંદરા પણ ગ્રહણ સમયે ચૂપચાપ એક જગ્યાએ બેસી જાય છે. પોપટમાં અવાજની નકલ કરવાની અદ્ભુત શકિત હોય છે, પરંતુ કોઈ અસામાન્ય ઘટના થવાની હોય ત્યારે પોપટનો સ્વર બદલાઈ જાય છે અને અશુભ સંકેતની જાણ કરી દે છે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એફિલટાવર ઉપર પોપટો રાખવામાં આવતા હતા, જેથી હવાઈહુમલાની પૂર્વ જાણકારી પોપટના વર્તન ઉપરથી આવી જતી હતી. મનુષ્ય બધાં પ્રાણીઓમાં પોતાને સૌથી વધુ બુદ્ધિશાળી ગણાવે છે, પરંતુ કુદરતે તેના અન્ય જીવોમાં પણ આવી ગુપ્ત શકિતઓ મૂકેલી છે. કુદરતી આપત્તિની જાણકારી અન્ય પશુઓને કેવી રીતે મળી જાય છે તેનું વિસ્મય વિજ્ઞાનીઓ જાણી શકયા નથી. આપણે કુદરતથી દૂર જતા ગયા આથી સંવેદનશીલતા ગુમાવી રહ્યાં છીએ. પ્રકૃતિની જેટલા નજીક રહીએ તેટલો તેની શકિતઓનો લાભ આપણને મળી રહે.
Trending
- ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
- Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
- કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
- Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
- Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
- Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
- Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
- આજનું રાશિફળ