Rajkot,તા.04
અબતક મીડિયા હાઉસમાં ગત રવિવારે રાત્રે પોણા વાગ્યે તસ્કરે હાથફેરો કરી રૂ. 76.90 લાખની મતા ઉઠાવી લીધી હતી. ઘટનાને પગલે પોલીસની અલગ અલગ ટીમોએ રાત-દિવસ એક બનાવસ્થળથી માંડી રૈયા સુધીના સીસીટીવી કેમેરા ચકાસી ફક્ત 30 કલાકમાં તસ્કર ત્રિપુટીને દબોચી લઇ મોટાભાગનો મુદ્દામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તસ્કર બેલડી વિનોદ અને સંતોષ નેપાળીને ઝડપી લીધા હતા જયારે એ ડિવિઝન અને એલસીબીએ મુખ્ય કાવતરાખોર રસોયા અર્જુનને ઉઠાવી લેતાં સ્થાનિક પોલીસ પણ બ્રાન્ચની લગોલગ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તસ્કરો નેપાળ નાસી જાય તે પૂર્વે પોલીસ દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર યાજ્ઞિક રોડ નજીક રાષ્ટ્રીય શાળાની બાજુમાં આવેલ અબતક મીડિયા હાઉસ કાર્યાલયમાં ગત રવિવારે રાત્રે પોણા વાગ્યે બુકાનીધારી તસ્કર ત્રાટક્યો હતો. કાર્યાલયની દરેક ઓફિસના ટેબના ખાના, ડ્રોવર ફિંદી, પ્રેસના માલિક સતિષભાઈ મહેતાની ચેમ્બરના કાચના દરવાજાના બાકોરું પાડી લોકર ઉઠાવી રૂ. 63 લાખનું સોનુ-ચાંદી અને રૂ. 13.90 લાખની રોકડ મળી કુલ રૂ. 76.90 લાખની મતાની ચોરી કરી લેવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી ટીમે તસ્કરનું પગેરું મેળવવા બનાવસ્થળથી માંડી અલગ અલગ વિસ્તાર, શહેરના એન્ટ્રી-એકઝીટ પોઇન્ટ સુધીના તમામ ખાનગી અને સરકારી કેમેરાની ચકાસણી શરૂ કરી હતી.
દરમિયાન તસ્કરનું પગેરું રૈયા તરફ મળી આવતા પોલીસની તમામ ટીમોએ તસ્કરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ કોઈ કર્મચારીએ જ ટીપ આપ્યાની આશંકાએ કુનેહપૂર્વક પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે સંતોષ શંકર થાપા(ઉ.વ.30 રહે. રૈયાધાર, મણિનગર, નંદનવન વિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલો રૂમમાંમાં, રાજકોટ મૂળ રહે. ઓડા, નેપાળ) અને વિનોદ શંકર થાપા(ઉ.વ.25 રહે. તુલસીબાગ એપાર્ટમેન્ટના રૂમમાં, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, રાજકોટ અને મૂળ રહે.ઓડા, નેપાળ)ની ધરપકડ કરી લીધી હતી. એ ડિવિઝન અને એલસીબી ઝોન-2 ટીમે હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ સોર્સના આધારે મુખ્ય કાવતરાખોર અને અબતક પ્રેસમાં રસોયા તરીકે નોકરી કરતા અર્જુનસીંગ માનસિંગ પરીયાગ(ઉ.વ.30 રહે.યાજ્ઞિક રોડ, ઇમ્પિરિયલ હોટેલની સામેની શેરીના ખૂણે આવેલ એપાર્ટમેન્ટમાં, રાજકોટ અને મૂળ રહે.ઓડા, નેપાળ)ને ઉઠાવી લઇ આકરી પૂછપરછ કરતા તેણે પોતે જ આખું કાવતરું ઘડી તેના બંને મિત્રોને ચોરી અંગે ટીપ આપ્યાની કબૂલાત આપી હતી.પોલીસે તસ્કર ત્રિપુટી પાસેથી રૂ. 46.86 લાખનું સોનુ, રૂ. 19700 ની ચાંદી, 10.75 લાખની રોકડ, પાઉન્ડના સિક્કા, વાહન, મોબાઈલ મળી રૂ. 58.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિનોદ થાપા વિરુદ્ધ અગાઉ રાજસ્થાનના આદર્શનગર પોલીસમાં અને અર્જુન પરીયાગ વિરુદ્ધ રાજસ્થાનના ભીમ પોલીસમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
જાણભેદુની ભૂમિકા હોવાનીપોલીસની શંકા અંતે સાચે ઠરી
ચોરીના બનાવને પગલે અલગ અલગ ટીમોએ તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન શંકા હતી કે, કોઈ જાણભેદુની સંડોવણી હોવી જ જોઈએ. જે શંકાને પગલે પોલીસે અલગ અલગ રીતે સાથે રહીને તપાસ શરૂ કરી હતી. મસમોટી ચોરીની ટીપ સ્ટાફ અથવા પૂર્વ કર્મચારીએ આપી હોય તેવી આશંકાએ પોલીસે બાજ નજર રાખી પૂછપરછ શરૂ કર્તા રસોયા અર્જુનની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી હતી. જે બાદ એક પછી એક કડી મળી હતી અને ગુનાનો ભેદ ઉકેલાયો હતો.