અપહરણ કરાયેલ આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે
New Delhi, તા.૨૮
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ થયુ છે. તેમના પરિવારજનો પાસે રૂ.૧ કરોડની ખંડણી માગવામાં આવી છે.
આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેય યુવકો દિલ્હીથી વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં. એજન્ટ મારફત ઈરાન થઈ તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી રહ્યા હતાં. તેઓ ૧ મેથી ગુમ થયા હતાં.
ઈરાનમાં ભારતની એમ્બેસીએ સ્થાનિક પોલીસ અને સત્તાધીશોની મદદ લઈ આ ત્રણેય ગુમ યુવકોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. ઈરાન પહોંચ્યા બાદ આ યુવકો ગુમ થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ૧૧ દિવસ સુધી તેમની કોઈ ભાળ મળી ન હતી. બાદમાં તેમનો એક વીડિયો આવ્યો હતો. જેમાં તેમના હાથ-પગ બાંધેલા હતા. અને અપહરણકર્તાએ રૂ. ૧ કરોડની ખંડણીની માગ કરી હતી. વીડિયોમાં યુવકોના શરીર પર ઈજાના નિશાન છે. તેમજ તેમના ગળા પર ચપ્પુ મુકી ખંડણીની માગ કરવામાં આવી હતી. તેહરાનમાં ઈન્ડિયન એમ્બેસીએ આ મુદ્દે ઈરાન ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ધ્યાન આપી શોધ કરવા માગ કરી છે.
ગુમ એક યુવક હુસ્નપ્રીતની માતા બલવિંદર કૌરે સરકાર પાસે દિકરાને ઝડપથી પાછો લાવવા મદદ માગી છે. તેમણે કહ્યું કે, મારા પુત્રની સાથે ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે છેતરપિંડી થઈ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે, ગુમ તમામ યુવકોને સુરક્ષિત પાછા લાવવામાં આવે. કેન્દ્ર સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા અરજી કરી છે.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પંજાબમાં એક એજન્ટે ત્રણેય યુવકને દુબઈ-ઈરાન રૂટ મારફત ઓસ્ટ્રેલિયા પહોંચાડવાનું વચન આપ્યું હતું. તેણે ખાતરી આપી હતી કે, તેમને ઈરાનમાં એક સ્ટે લેવો પડશે, બાદમાં ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં બેસવાનું રહેશે. પરંતુ આ ત્રણેય યુવક ૧ મેના રોજ ઈરાનમાં ઉતર્યા બાદ ગુમ થયા હતાં. બાદમાં જાણ થઈ કે, ત્રણેયનું અપહરણ કરવામાં આવ્યા છે. ત્રણેયનો લોહીલુહાણ હાલતમાં વીડિયો મોકલી ખંડણી માગવામાં આવી રહી છે. હોશિયારપુરનો એજન્ટ આ ઘટના જાહેર થતાં ફરાર થયો છે.