America,તા.12
અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ માઈકલ કુરિલાએ પાકિસ્તાનને આતંકવાદ વિરોધી કામગીરીમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો છે. તેમણે ISIS-ખુરાસાન (ISIS-K) સામેના ઓપરેશનમાં પાકિસ્તાનની પ્રશંસા કરી. કુરિલાએ ભારપૂર્વક કહ્યું કે, ‘વોશિંગ્ટનને ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધો જાળવી રાખવા પડશે અને આ બાબતમાં કોઈ એકની પસંદગી કરવાનો વિકલ્પ નથી. એટલે કે, જો વોશિંગ્ટનના નવી દિલ્હી સાથે સંબંધો હોય તો તે ઇસ્લામાબાદ સાથે સંબંધો નહીં રાખી શકે તેવું નથી.’
કુરિલાએ કહ્યું કે, ‘પાકિસ્તાન સાથેની અભૂતપૂર્વ ભાગીદારી દ્વારા તેમણે ISIS-K સામે કાર્યવાહી કરી છે અને તેના ડઝનબંધ સભ્યોને મારી નાખ્યા છે. ગુપ્ત માહિતીની વહેંચણી માટેના અમારા સંબંધો દ્વારા, તેઓએ ISIS-Kના ઓછામાં ઓછા પાંચ ટોચના કમાન્ડરોને પકડવામાં સફળતા મેળવી છે.’
અમેરિકાના ટોપ જનરલ કુરિલાએ કહ્યું કે, ‘અમે જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાન અમારી તરફથી ઉપલબ્ધ કરાવાતી સીમિત ગુપ્ત માહિતીના આધારે પોતાના સાધનોનો ઉપયોગ કરીને ISIS-K વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે, અને અમે ISIS-K પર તેની અસર જોઈ રહ્યા છીએ.’ અમેરિકાના સૈન્ય અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે ઘણી વાર સીઝફાયરમાં ટ્રમ્પની ભૂમિકાને નકારી કાઢી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચેતવણી આપતા કહ્યું કે, ‘હું તમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે ઓસામા બિન લાદેન પાકિસ્તાની સૈન્ય શહેરમાં વર્ષો સુધી સુરક્ષિત કેમ અનુભવતો હતો? હું ઈચ્છું છું કે દુનિયા સમજે કે આ ફક્ત ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી. આ આતંકવાદનો મુદ્દો છે અને તે તમને પરેશાન કરવા પાછો આવશે.’
કુરિલાએ જણાવ્યું કે, ‘ISIS-Kનો આતંકવાદી મોહમ્મદ શરીફુલ્લાહ, જે ઝફર તરીકે પણ ઓળખાય છે, તેને 26 ઓગસ્ટ 2021ના રોજ કાબુલના હામિદ કરઝાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગેટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેની ભૂમિકા માટે પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. આ હુમલામાં અમેરિકન સેનાના 13 સભ્યો અને લગભગ 160 નાગરિકો માર્યા ગયા હતા.
કુરિલાએ વધુમાં કહ્યું, ‘શરીફુલ્લાહ એ પહેલો વ્યક્તિ હતો જેના વિશે પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરે ફોન કરીને કહ્યું હતું કે મેં તેને પકડ્યો છે. હું તેને અમેરિકાને સોંપવા તૈયાર છું. કૃપા કરીને સંરક્ષણ મંત્રી અને પ્રમુખને જાણ કરો.’
અમેરિકાના ટોપ જનરલ કુરિલાએ જણાવ્યું કે, ‘ISIS-K કદાચ વૈશ્વિક સ્તરે અમેરિકા સહિત અન્ય દેશો સામે ષડયંત્ર રચનારી સૌથી સક્રિય સંસ્થાઓમાંની એક છે. તાલિબાન ISIS-K સામે કાર્યવાહી કરી રહ્યું છે અને આ બંને સંગઠનો એકબીજાને ધિક્કારે છે. આ સંઘર્ષને કારણે ISIS-Kના ઘણા સભ્યોને અફઘાન-પાકિસ્તાન સરહદ પર આવેલા કબીલાઈ વિસ્તારોમાં ધકેલી દેવામાં આવ્યા છે.’