Israel,તા.16
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આજે ચોથા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયા છે. આ બંને ભારતીય વિદ્યાર્થી કાશ્મીરના રહેવાસી છે. આ બંને વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરતાં રામસરમાં ટ્રાન્સફર કર્યા છે.
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ બંને દેશોને થોડા સમય માટે યુદ્ધ રોકવા અપીલ કરી છે. જેથી તેઓ પોતાના વતન પરત જઈ શકે. વધુમાં ભારતીય વિદ્યાર્થીઓએ ભારતને પણ પોતાને સુરક્ષિત વતન લઈ જવા અરજ કરી છે. હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઈઝરાયલના બેલેસ્ટિક મિસાઈલ હુમલાના કારણે છેલ્લા ત્રણ દિવસથી ઊંઘી શક્યા નથી.એક ભારતીય વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 2.30 વાગ્યે બેઝમેન્ટમાં મોટો જોરદાર ધડાકો થયો હતો. ત્યારથી અમે સૂઈ શક્યા નથી.
ભારતીય દૂતાવાસે ઈરાનમાં ભારતીયોની સુરક્ષા માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં જણાવ્યું છે કે, ‘અમે 24/7 હેલ્પલાઇન સ્થાપિત કરી છે. ભારતીય સમુદાયના સભ્યો સાથે અમે સતત સંપર્કમાં છીએ. ભારતીયોએ ગભરાવાની જરૂર નથી બસ સાવચેત રહે અને ઈન્ટરનેટ મીડિયા દ્વારા ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહે. ભારતીયોની સલામતી અમારા માટે સર્વોપરી છે. ભારતીયોને સતર્ક રહેવા, કોઈપણ બિનજરૂરી હિલચાલ ટાળવા અને ઇઝરાયલી અધિકારીઓ તથા હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ ઇઝરાયલમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે, જેમાં કેર વર્કર્સ, કામદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાય અને પ્રવાસી જૂથો સમાવિષ્ટ છે.’
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલુ ભીષણ યુદ્ધમાં ભારતીયોને બચાવવા કામગીરી હાથ ધરાઈ છે. કેન્દ્ર સરકાર તેના માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવા જઈ રહ્યું છે. બીજી બાજુ ઈરાન સરકારે પણ ભારતીયો સહિત વિદેશી નાગરિકોને સુરક્ષિત પોતાના વતન મોકલવા સહમતિ દર્શાવી છે. ઈરાનમાં હાલ લગભગ 10,000 ભારતીયો છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. જે ઈરાનની વિવિધ મેડિકલ અને ધાર્મિક સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા છે. આ તમામને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડરના રસ્તેથી ભારત લાવવામાં આવશે.