New Delhi,તા.30
દેશમાં અપરાધના મામલે ઉતરપ્રદેશ ટોપ પર રહ્યું છે, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્યારબાદ કેરળનો નંબર રહ્યો છે. જયારે ટોપ-5માં ચોથા નંબરે ગુજરાત અને તામિલનાડુ રાજય છે. આ રાજયોમાં દેશના તમામ રાજયોની તુલનામાં સૌથી વધુ અપરાધના કેસ નોંધવામાં આવ્યા છે.
આંકડા મુજબ હત્યા અને અપહરણના કેસમાં ઉતર પ્રદેશ અને બિહાર ટોપ પર રહ્યા છે. હત્યાના નોંધાયેલા કેસોમાં દેશભરમાં સૌથી વધુ હત્યાઓ ઉતરપ્રદેશમાં થઈ છે, જયારે બીજા નંબરે બિહાર રહ્યું છે. એ પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો નંબર છે. કેન્દ્રશાસીત રાજયોમાં હત્યાની સૌથી વધુ ઘટના દિલ્હીમાં થઈ છે.
બીજા નંબરે જમ્મુ-કાશ્મીર અને ત્રીજા નંબરે પુુંડુચેરી છે. હત્યાની સાથે સાથે અપહરણના કેસમાં પણ ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર ટોપ પર છે. ઉતરપ્રદેશમાં સૌથી વધુ અપહરણની ઘટનાઓ બની છે, જયારે મહિલાઓ સામે થયેલા હુમલામાં રાજસ્થાન સૌથી આગળ છે. ઓરિસ્સા બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે રહ્યું છે. અહીં મહિલાઓ સામે સૌથી વધુ હુમલા થયા છે.
રોડ એકસીડેન્ટમાં પણ યુપી ટોપ પર રહ્યું છે. અહીં બીજા નંબર પર રહેલા તામિલનાડુની તુલનામાં રોડ એકસીડેન્ટના 5 હજાર કેસો વધુ બહાર આવ્યા છે. એકસીડેન્ટનું કારણ કોઈને કોઈ પ્રકારની લાપરવાહી રહી છે. રેપના સૌથી વધુ કેસ રાજસ્થાનમાંથી બહાર આવ્યા છે, જયારે ઉત્તરપ્રદેશ બીજા નંબરે રહ્યું છે.
આ ઉપરાંત ખંડણી માટે કરવામાં આવેલ અપહરણના કેસમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ કર્ણાટક અને રાજસ્થાન અને બિહારમાં આવા કેસ સૌથી વધુ બહાર આવ્યા છે.દેશમાં 1981થી 2023 સુધીમાં થયેલ તમામ અપરાધનો તુલનાત્મક આંકડા રજુ કરવામાં આવ્યા છે. કોરોનાકાળ 2020માં દેશમાં સૌથી વધુ 42,54,356 કેસ નોંધાયા હતા, જે 1981થી 2023 સુધીમા સૌથી વધુ હતા, 2020ને છોડીએ તો દેશમાં 2023માં અપરાધની સૌથી વધુ રેકોર્ડબ્રેક ઘટનાઓ બની હતી.
તેમાં સાઈબર ક્રાઈમ, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધોમાં ઘણો વધારો થયો છે. આ ઉપરાંત કિડનેપીંગ એકસીડેન્ટ અને હિટ એન્ડ રનના મામલા પણ વધ્યા. જો કે આંકડા મુજબ હત્યાના કેસમાં ઘટાડો થયો છે.દેશમાં તમામ રાજયોમાં મળીને 2023માંથી કુલ 62 લાખ 41 હજાર 569 કેસ રજીસ્ટર થયા હતા. જે વર્ષ 2022માં 58,24,946ની તુલનામાં 7.2 ટકા વધુ છે. સૌથી વધુ વધારો સાઈબર અપરાધોમાં થયો છે. જેમાં 2022ની તુલનામાં રેકોર્ડબ્રેક 31 ટકાથી વધુ વધારો થયો છે.
લોકો સાથે સાઈબર ફ્રોડ, ડિઝીટલ એરેસ્ટ, સેકસટોર્શન, એકસટોર્શન જેવી ઘટનાઓમાં સૌથી વધુ વધારો થયો છે. ચોરીના મામલામાં પણ વધારો નોંધાયો છે.અપહરણના કેસમાં પણ 5 ટકાથી વધુનો વધારો થયો છે. સગીર અને પુખ્તના અપહરણના 1,16,404 કેસોમાં 92 હજારથી વધુ મહિલાઓના અપહરણ થયા છે. મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોમાં પણ વધારો નોંધાયો છે.
બાળકો વિરુદ્ધના અપરાધોમાં પણ 9 ટકાનો વધારો નોંધાયો છે. જો કે, હત્યાના કેસોમાં લગભગ 3 ટકા અને વરિષ્ઠ નાગરિકો સામે થતા અપરાધોમાં બે ટકાથી વધુનો ઘટાડો થયો છે.સીબીઆઈ અને એસીબી સહિત ભ્રષ્ટાચાર સામે દેશમાં અવારનવાર એકશનો લેવાથી દેશમાં ભ્રષ્ટાચારના કેસમાં લગભગ 2 ટકાની ઘટ આવી છે. એકિસડેન્ટ અને હિટ એન્ડ રનના કેસમાં ખાસ્સો વધારો થયો છે.