Pune,તા,12
મહારાષ્ટ્રના પુણેમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. એક પહાડી વિસ્તારમાં એક પિકઅપ વાન રસ્તા પરથી પડી જતાં મંદિર જઈ રહેલી દસ મહિલાઓના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખની સહાયની જાહેરાત કરી.
પ્રાથમિક માહિતી આપતાં, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વાનમાં લગભગ 40 મુસાફરો હતા, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ ડ્રાઇવરે કાબુ ગુમાવ્યા બાદ વાહન રસ્તા પરથી ઉતરી ગયું અને 25 થી 30 ફૂટ નીચે પડી ગયું.
પીડિતો પાપલવાડી ગામના રહેવાસી હતા અને શ્રાવણ મહિનાના શુભ સોમવારની ઉજવણી માટે ખેડ તાલુકાના શ્રી ક્ષેત્ર મહાદેવ કુંડેશ્ર્વર મંદિરમાં જઈ રહ્યા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, “10 મહિલાઓના મોત થયા છે અને 29 અન્ય ઘાયલ થયા છે.” તેમણે જણાવ્યું હતું કે 10 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે પુણે અકસ્માતમાં થયેલા જાનહાનિથી તેઓ ખૂબ જ દુ:ખી છે. “આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે,” પીએમઓએ જણાવ્યું.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.