New Delhi, તા.૮
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી ભાજપના પ્રવેશ વર્માએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને કરારી ધોબીપછાડ આપી છે. પ્રવેશ વર્માએ આ સીટ પર ભવ્ય જીત મેળવતા ભગવો લહેરાવી દીધો છે. પ્રવેશ વર્મા અવારનવાર તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે પણ ભાજપની જીત પર તેમણે એક મોટુ નિવેદન આપ્યુ છે.
પ્રવેશ વર્માએ દિલ્હીમાં ભાજપની જીત પર જણાવ્યુ છે કે દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનશે. ગુજરાત મોડલ દિલ્હીમાં લાગુ કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો દિલ્હીમાં પણ યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. વર્ષ ૨૦૧૩માં પ્રવેશ વર્માએ મહરૌલી વિધાનસભા સીટથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા યોગાનંદ શાસ્ત્રીને પરાજિત કર્યા હતા. ત્યારબાદ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી જીતી સંસદ સભ્ય બન્યા. વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મહાબલ મિશ્રાને ૫,૭૮,૪૮૯ મતોથી હરાવ્યા. જે દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ અંતર છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં પણ તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને કરારી હાર આપી મોટો ઉલટફેર સર્જી દીધો છે.
૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યાં તેમનો સામનો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે થયો. પ્રવેશ વર્માએ આ સીટ પર શાનદાર જીત નોંધાવી છે અને અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.