મુચુકુંદ હિંદુ પૌરાણિક કથાઓમાં ઇક્ષ્વાકુવંશના મહારાજા માંધાતાના પુત્ર હતા.તેઓ પરમ ભક્ત,સત્ય વાદી,સંગ્રામવિજ્યી અને મહાપુરૂષ હતા.એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ભયભીત થયા હતા.તેમને પોતાની રક્ષા માટે રાજા મુચુકુંદને પ્રાર્થના કરી અને તેમને ઘણા સમય સુધી દેવતાઓની રક્ષા કરી.જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તિકસ્વામી મળી ગયા ત્યારે દેવતાઓએ મુચુકુંદને કહ્યું કે તમે અમારી રક્ષા માટે બહુ પરીશ્રમ અને કષ્ટ વેઠ્યાં છે હવે તમે વિશ્રામ કરો.હવે તમારા પૂત્રો,રાણીઓ, ભાઇ-બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઇ રહ્યું નથી.બધા જ કાળનો કોળિયો બની ગયા છે.બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે.તમારી જે ઇચ્છા હોય તે અમારી પાસે માંગી લો.અમે કૈવલ્ય-મોક્ષ સિવાય આપ જે માંગો તે આપી શકીએ છીએ.કૈવલ્ય-મોક્ષ આપવાનું સામર્થ્ય ફક્ત અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે.દેવતાઓની આ વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુચુકુંદે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિંદ્રાનું વરદાન માગ્યું અને વરદાન મેળવીને તેઓ નિંદ્રાધિન થઇને પર્વતની ગુફામાં સૂઇ ગયા.તે સમયે દેવતાઓએ કહ્યું કે નિંદ્રાધીન અવસ્થામાં જો કોઇ મૂર્ખ તમોને જગાડી દે તો તે આપની દ્રષ્ટિ પડતાં જ તે જ ક્ષણે બળીને ભસ્મ થઇ જશે.
કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા તેથી તેમનું નામ પડ્યું “રણછોડ” દોડતાં દોડતાં શ્રીકૃષ્ણ ગિરનારની ગુફામાં આવે છે કે જ્યાં આગળ રહીને મુચુકુન્દ રાજા તપશ્ચર્યા કરતા હતા.ધોલપુરની નજીક રાજા મુચુકુંદના નામની એક પ્રખ્યાત ગુફા છે જે ગંધમાદન ટેકરીની અંદર હોવાનું કહેવાય છે.રણછોડ ધામ અને મુચકુંદ ગુફાનો ઈતિહાસ દ્વાપર યુગ સાથે સંબંધિત છે.શ્રીકૃષ્ણ જયારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે મુચુકુંદ નિંદ્રામાં હતા.શ્રીકૃષ્ણે પોતાનું પીતાંબર મુચુકુંદ પર ઓઢાડી અને પોતે સંતાઈ ગયા.કાળ-યવન શ્રીકૃષ્ણની પાછળ પાછળ ગુફામાં આવ્યો અને આ શ્રીકૃષ્ણ સૂતા છે એમ સમજી મુચુકુંદને લાત મારી.કાળ-યવનની લાતથી મુચુકુંદ જાગે છે અને કાળ-યવન પર તેમની દૃષ્ટિ પડતાં જ તે રાખ થઇ ગયો.મુચુકુંદને ખબર પડી કે શ્રીકૃષ્ણ આવ્યા છે એટલે તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે.
પ્રભુ ! જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઇ રહ્યાં છે.જેઓ આપનાથી વિમુખ થઇને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતા નથી,તેઓ સુખ માટે ઘર-ગૃહસ્થોની ઝંઝટમાં ફસાઇ જાય છે કે જે તમામ દુઃખોની જડ છે.આમ સ્ત્રી અને પુરૂષ બધાં જ ઠગાઇ રહ્યાં છે.પાપરૂપી સંસારથી સર્વથા અતિત પ્રભુ ! આ ભૂમિ અત્યંત કર્મભૂમિ છે,આમાં મનુષ્ય જન્મ થવો બહુ દુર્લભ છે.મનુષ્ય જન્મ એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઇપ્ણ અસુવિધા નથી.પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ-ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષય સુખના માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર-ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે,ભગવાનના ચરણકમળોની ઉપાસના કરતા નથી તે પશુ જેવા છે.છે.જેની તૃષ્ણા અપાર છે તે ક્યારેય સુખી થઇ શકતો નથી.જીવ અનાદિકાળથી જન્મ-મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકી રહ્યો છે.
ભગવાન કહે છે કે મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી.તમે તમારૂં મન અને મનના બધા ભાવો મને અર્પણ કરી દો,મારામાં જોડી દો આમ કરવાથી મારામાં તમારી નિર્મળ ભક્તિ અખંડ રહેશે.
જીવને આ મનુષ્ય દેહ મળ્યો હોવાં છતાં વિષયોમાં પ્રીતિ હોવાથી તે આપનાં ચરણારવિંદની સેવા કરતો નથી.મનુષ્ય કેવો પ્રમાદી છે?સર્પ દેડકાને ગળે છે,અર્ધું શરીર સર્પના પેટમાં ગયું છે પણ તેનું મોઢું બહાર છે,બે મિનિટમાં તો તે સર્પનો કોળિયો થવાનો છે,તેવામાં માખ ઉડતી ઉડતી આવે તો દેડકો માખ પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે,તે પોતાના મરણનો વિચાર કરતો નથી.સર્પના મુખમાં રહેલા દેડકા જેવી મનુષ્યની સ્થિતિ છે,નાથ..! કૃપા કરો, સંસારના જડ પદાર્થોમાં મારું મન ના જાય.મને અનન્ય ભક્તિ આપો. મનુષ્યને બહારગામ જવાનું હોય તો બે-ચાર દિવસથી તૈયારી કરે છે.ઘરમાં લગ્ન હોય તો બે-ચાર મહિનાથી તૈયારી કરે છે પરંતુ જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી તેની તૈયારી કોઈ કરતુ નથી.
કાળ ક્યારે કોળિયો કરે તે કહી શકાતું નથી. પચાસ પૂરાં થાય એટલે સમજવું કે અડધું શરીર પેલા દેડકાની જેમ કાળના મુખમાં ગયું છે.ફક્ત મોઢું બહાર છે.માણસ ગાફેલ રહે છે તેથી તેનું મરણ બગડે છે. શ્રીકૃષ્ણ મુચુકુન્દને કહે છે કે આ જન્મમાં તને તેવી અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.જુવાનીમાં તે ઘણું વિલાસી જીવન ગાળ્યું છે.કામનો માર ખાય તેને કાળનો માર અવશ્ય ખાવો જ પડે છે.હજુ તારે એક જન્મ લેવો પડશે.તે જન્મમાં તને બ્રાહ્મણ શરીર પ્રાપ્ત થશે અને તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે.મારા હાથે તમારાં અનેક કાર્યો થશે.
મુચુકુંદે તે પછી તપશ્ચર્યા કરી અને બીજા જન્મમાં બ્રાહ્મણ શરીર મેળવ્યું.કહેવાય છે કે દ્વાપર યુગનો મુચુકુન્દ રાજા તે કળિયુગમાં નરસિંહ મહેતા તરીકે આવ્યા છે.નરસિંહ મહેતા દ્વારકાધીશના લાડીલા છે, તેમનાં બાવન કામ પ્રભુએ કર્યા છે.મુચુકુન્દ રાજાની કથા સ્પષ્ટ બતાવે છે કે યુવાનીમાં વિલાસપૂર્વક જીવન ગળ્યું હોય તો તેવા મનુષ્યને આ જીવનમાં ભક્તિ કે અનન્ય ભક્તિ મળવી મુશ્કેલ છે.તેણે ધીરે ધીરે સંયમને વધારીને ભગવદ-મય જીવન ગાળીને તથા સતત ઈશ્વરનું સ્મરણ કરવાથી તેનો આવતો જન્મ સુધરે છે.(આ જન્મ નહિ) પણ જે યુવાનીમાં જ સંયમ વધારી ભક્તિમય જીવન ગાળે તેને તે જ જન્મમાં મુક્તિ મળે છે.વૃદ્ધાવસ્થામાં ઈશ્વરભજન કરવાથી આવતો જન્મ સુધરે છે.(શ્રીમદ ભાગવતમાંથી સાભાર)
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
શ્રીકૃષ્ણને મારવા કંસ ધનુષ્યયજ્ઞમાં નંદબાબાને આમંત્રણ આપવા અક્રૂરને મોકલે છે.જે ક્રૂર છે તે કૃષ્ણને લાવી ના શકે.કાળ નજીક આવે,મૃત્યુની છાયા પડે એટલે સ્વભાવ બદલાય છે.પુણ્યશાળી અતિપુણ્ય કરે છે અને પાપીનો સ્વભાવ અતિક્રોધી બને છે.વિચાર કરવા એ મનુષ્યના હાથની વાત છે પણ તે સફળ થાય કે નહી એ ઇશ્વરાધિન છે.પ્રારબ્ધ અનુકૂળ હોય,પરમાત્માની કૃપા થાય,પવિત્ર વિચારો અને હ્રદય શુદ્ધ બને તેનું જીવન સફળ થાય છે.જીવ ધારે તે થતું નથી પણ ઇશ્વર જે ધારે તે થાય છે.વેદાંત કહે છે કે કોઇપણ વિચાર કર્યા વિના મનને સંકલ્પ વિનાનું બનાવો તો શાંતિ મળે છે.જીવમાત્રને માનની ભૂખ છે.જેને બહુ માન મળે તો તે રાજી થાય છે તેનામાં અહમ્ આવે છે અને પુણ્યનો નાશ થાય છે.માન-અપમાનની જેના ઉપર અસર થાય તે ભક્તિ કરી શકતો નથી.જગત સાથે સબંધ જોડશો તો અંતકાળે ગભરામણ થાય છે.જે ભાવથી જીવ ઇશ્વરનું સ્મરણ કરે છે તે જ ભાવથી ઇશ્વર તેને અપનાવે છે.સંસારમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી.
મથુરામાં સુદામામાળીએ પ્રભુને ફુલની માળા પહેરાવી.કંસની દાસી કુબ્જા જે ત્રણ ઠેકાણે વાંકી હતી તે પ્રભુને ચંદન આપે છે તો શ્રીકૃષ્ણે પ્રસન્ન થઇ તેની હડપચી પકડી એવી દબાવી કે તે સીધી થઇ ગઇ.કુબ્જા એટલે બુદ્ધિ.બુદ્ધિ ત્રણ ઠેકાણે વાંકી છેઃકામ-ક્રોધ અને લોભ.તે વિષયો પાછળ વાંકી બને છે પણ તે બુદ્ધિ ઇશ્વર સન્મુખ થાય તો તે સરળ અને સીધી થાય છે.શ્રીકૃષ્ણ કંસની યજ્ઞશાળામાં આવી ત્યાં રાખેલું ધનુષ્ય ઉઠાવી નમાવ્યું તો તેના બે ટુકડા થઇ ગયા.કંસે બીજા દિવસે મોટો અખાડો બનાવ્યો જેમાં ચાણુર મુષ્ટિક જેવા પહેલવાનોને મદિરા પીવડાવી તૈયાર કર્યા જેમને શ્રીકૃષ્ણએ મોતને ઘાટ ઉતાર્યા.કંસ સિંહાસન ઉપર બેઠો છે પણ તેને મૃત્યુના ચિહ્નો દેખાવા લાગ્યા. સંસાર એ અખાડો છે,ચાણુર એ કામ અને મુષ્ટિક એ ક્રોધ છે એ મોટા પહેલવાનો અનાદિકાળથી જીવને મારતા આવ્યા છે.તેમની સામે ગાફેલ રહ્યા સિવાય સાવધાનીથી કુસ્તી કરી તેમનો વિનાશ કરવાનો છે.કંસ ક્રોધમાં આવી ગાળો બોલે છે ત્યારે કૃષ્ણએ તેના વાળ પકડી રંગભૂમિમાં પછાડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા.કંસએ અભિમાનનું સ્વરૂપ છે.
ભાગવતમાં કંસ મર્યા પછી કંસ કોણ છે? તે બતાવ્યું છે.અસ્તિ અને પ્રાપ્તિ આ બે રાણીઓનો પતિ તે કંસ છે.અસ્તિ એટલે “છે”.બેંકમાં આટલા રૂપિયા છે અને આ વર્ષે આટલો નફો થાય તે માટે નીતિ-અનીતિથી કેવળ પૈસાની પ્રાપ્તિ કરવાના વિચાર કરે છે તે કંસ છે.કળિયુગનો માણસ અસ્તિ-પ્રાપ્તિનો પતિ થયો છે.તેને ગમે તે રીતે સુખ ભોગવવું છે,બધા લૌકિક સુખમાં ફસાયા છે.સાચું સુખ શું છે તે કોઈને ખબર નથી અને ખોટું સુખ ભોગવવામાં જીવન પુરૂં થઇ જાય છે.બધા જાણે છે કે મરીશ એટલે આ સાથે આવવાનું નથી,છતાં પાપ કર્યે જાય છે અને માને છે કે હું મરવાનો નથી.મજામાં સહુ સાથ આપે છે પણ સજા એકલા જીવને થાય છે. જ્યારથી લોકો માનવા માંડ્યા કે પૈસાથી જ સુખ છે ત્યારથી પાપ વધ્યું છે.પૈસાથી કાંક થોડું સુખ મળતું હશે પણ શાંતિ મળતી નથી.પૈસો શાંતિ આપી શકતો નથી.તમે શરીર-ઇન્દ્રિયોથી જુદા છે,તમારો આનંદ પણ શરીર-ઇન્દ્રિયોથી જુદો છે.તમે શુદ્ધ ચેતન આત્મા છો,શરીરનું,ઇન્દ્રિયોનું સુખ એ તમારૂં સુખ નથી.
જરાસંઘ મથુરા પર ચડાઈ કરે છે અને તેને ઘેરી લે છે.જીવનના ઉત્તરાર્ધમાં પણ પચાસમા વર્ષથી મનુષ્ય ઉપર જરા-સંઘ એટલે વૃદ્ધાવસ્થા ચડી આવીને ઘેરો ઘાલે છે.ઉત્તરાવસ્થામાં જરા-સંઘ એટલે કે વૃદ્ધાવસ્થા સાથે યુદ્ધ શરૂ થાય છે.સાંધા દુખવા માંડે ત્યારે સમજવું કે જરાસંઘ આવ્યો છે.જરાસંઘ આવે એટલે શરીરના દરવાજા તૂટવા લાગે છે,દાંત પડવા લાગે,આંખેથી ઓછું દેખાય,કાનેથી ઓછું સંભળાય,ખાધેલું પચે નહિ આ બધી જરાસંઘની પલટણની અસર છે.શ્રીકૃષ્ણે સત્તર વખત જરાસંઘને હરાવ્યો.અઢારમી વખત તે કાળ-યવનની સાથે આવ્યો.જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા લડવા આવે પણ જો કાળ-યવન એટલે મૃત્યુને સાથે લઈને આવે ત્યારે કોઈ ઉગારો નથી ત્યારે શ્રીકૃષ્ણને પણ મથુરા છોડવું પડ્યું અને દ્વારકા(બ્રહ્મ-વિદ્યા)નો આશરો લેવો પડ્યો.શરીર પર કાળ ચડાઈ કરે,શરીર છોડવું પડે તે પહેલાં બ્રહ્મ-વિદ્યાનો આશરો લેવાથી બ્રહ્મ-વિદ્યામાં કાળ-યવન અને વૃદ્ધાવસ્થા પ્રવેશ કરી શકતા નહિ હોવાથી કાળ-યવન તેને મારી શકે નહિ પણ વૃદ્ધાવસ્થામાં ડોસો સત્તર વખત માંદો પડે છે પણ અઢારમી વાર કાળ આવે એટલે મરે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)