જેમ ધુમાડાથી અગ્નિ,મેલથી દર્પણ અને ગર્ભાશયથી ગર્ભ ઢંકાયેલો રહે છે એવી જ રીતે કામના વડે જ્ઞાન (એટલે કે વિવેક) ઢંકાયેલું રહે છે.(ગીતાઃ૩/૩૯) વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે. કામના ઉત્પન્ન થતાં જ વિચાર કરવો કે આપણે જે વસ્તુની કામના કરીએ છીએ તે વસ્તુ આપણી સાથે હંમેશાં રહેવાવાળી નથી. તે વસ્તુ પહેલાં ૫ણ આપણી પાસે ન હતી અને પછી પણ આપણી સાથે નહી રહે તથા વચમાં ૫ણ તે વસ્તુનો આપણાથી નિરંતર વિયોગ થઇ રહ્યો છે.આવો વિચાર કરવાથી કામના રહેતી નથી.
શાસ્ત્રો અનુસાર પરમાત્માની પ્રાપ્તિમાં ત્રણ દોષ બાધક છેઃમળ-વિક્ષેપ અને આવરણ. આ દોષો અસત (સંસાર)ના સબંધથી જ ઉત્પન્ન થાય છે.અસતનો સબંધ કામનાથી થાય છે.આથી મૂળ દોષ કામનાનો જ છે. કામનાનો નાશ થતાં જ અસત સાથે સબંધ વિચ્છેદ થઇ જાય છે અને વિવેક પ્રગટ થઇ જાય છે. ભગવાન કહે છે કેઃ આ અગ્નિની સમાન કદી તૃપ્ત ન થવાવાળો અવિવેકીઓના નિત્ય વૈરી આ કામ દ્વારા મનુષ્યનો વિવેક ઢંકાયેલો છે. જેવી રીતે અગ્નિમાં અનુકૂળ આહૂતિ આપતા રહેવાથી અગ્નિ ક્યારેય તૃપ્ત થતો નથી ઉલ્ટાનો વધતો જ જાય છે તેવી જ રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના ક્યારેય તૃપ્ત થતી નથી,ઉલ્ટાની વધતી જ રહે છે.ભોગ અને સંગ્રહની કામના ક્યારેય પુરી થતી નથી.જેટલા ૫ણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ તેમની ભૂખ વધે છે,કારણ કેઃ કામના જડની હોય છે એટલા માટે જડના સબંધથી તે ક્યારેય દૂર થતી જ નથી.
જેટલું ધન મળે છે તેટલી જ દરીદ્રતા (ધનની ભૂખ) વધે છે. વાસ્તવમાં દરીદ્રતા તેની જ દૂર થાય છે જેને ધનની ભૂખ નથી. “ચાહ ગઇ ચિન્તા મિટી મનુઆ બેપરવાહ, જિનકો કછું ન ચાહિએ સો શાહન કા સાહું..” વાસ્તવમાં ધન એટલું બાધક નથી,જેટલી બાધક તેની કામના છે.જડના સબંધથી થવાવાળી સુખની ઇચ્છાને કામ કહે છે. અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની ઇચ્છાએ કામના છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતી દેખાવી એ આસક્તિ છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ કે તૃષ્ણા છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી યાચના થાય છે.આ બધા કામ ના જ રૂ૫ છે.કોઇપણ શત્રુનો નાશ કરવા માટે તેના રહેવાના સ્થાનોની જાણકારી હોવી આવશ્યક છે. કામ પાંચ સ્થાનોમાં દેખાય છે.પદાર્થોમાં,ઇન્દ્રિયોમાં,મનમાં,બુધ્ધિમાં તથા માનેલા અહમમાં જ રહે છે.આ કામના જીવને બાંધવાવાળી છે.
ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપતાં કહે છે કેઃ “તૂં સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ.” ઇન્દ્રિયોને (સ્થુળ શરીર)થી ૫ર(શ્રેષ્ઠ) સબળ પ્રકાશક વ્યાપક તથા સુક્ષ્મ) કહે છે. ઇન્દ્રિયોથી પર મન છે,મનથી ૫ર બુધ્ધિ છે અને જે બુધ્ધિથી ૫ણ ૫ર છે તે આત્મા છે. આ રીતે બુધ્ધિથી પર આત્માને જાણીને પોતાના દ્વારા પોતાની જાતને વશ કરીને તું કામરૂપી દુર્જેય શત્રુને મારી નાખ. ભગવાનથી વિમુખ થઇને સંસારની કામના કરવી એ જ બધા પાપોનું મુખ્ય કારણ છે.કામના આસક્તિથી ઉત્પન્ન થાય છે.કામના ના હોય તો પાપ થવાની સંભાવના જ રહેતી નથી.
આ શ્ર્લોકમાં દ્રશ્યમાન છે તે કરતાં ઘણો ગૂઢાર્થ છે.વિશ્વની નાશવંત વસ્તુઓ સાથેની આસક્તિના કારણે મનુષ્યનું વિવેચન સામર્થ્ય આચ્છાદિત થઇ જાય છે અને તેના ઉપયોગમાં અવરોધ ઊભો થાય છે. આપણે જાણીએ છીએ કે પદાર્થો પ્રત્યેની આપણી આસક્તિને ત્રણ વિશિષ્ટ કોટિમાં મૂકી શકાય.આપણી ઇચ્છાઓ ક્યાં તો (૧) સ્થૂળ ભોગોની..મુખ્યત્વે જાતીય સુખ માટેની અધમ અને દુષ્ટ હોઈ શકે અથવા (૨) આપણી મહત્વાકાંક્ષાઓ, સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવા, શક્તિ મેળવવા, કીર્તિ અને ગૌરવ અર્જિત કરવા માટેના સક્રિય પ્રયત્નો માટે હોઈ શકે અથવા (૩) દિવ્ય સિદ્ધિ અને આત્મસાક્ષાત્કાર માટે સાધના કરી તે પ્રાપ્ત કરવા માટેની ઉત્કટ અભિલાષા પણ હોઈ શકે.આમ આપણી ઇચ્છાઓ આસક્તિની ગુણવત્તા અનુસાર ત્રણ કોટીમાં વર્ગીકૃત થઇ શકે છે. જડ (તામસિક), સક્રિય (રાજસિક) અને ઉદાત્ત કે દિવ્ય (સાત્વિક). આ ત્રણ વિવિધ ગુણો આપણી વિવેકશક્તિ માટે જે આવરણ સર્જે છે તે ત્રણ ભિન્ન ભિન્ન દ્રષ્ટાંતો દ્વારા અહીં દર્શાવવામાં આવ્યા છે.
(૧) ધુમાડાથી ઘેરાયેલા અગ્નિની જ્વાળાઓ પૂરી અથવા તો અંશતઃ ઢંકાઈ જતી હોય છે. ચીમની વગરનો દીવો ચીમનીવાળા દીવા કરતાં ઓછો પ્રકાશિત હોય છે એથી દ્રષ્ટાંતનું તથ્ય પુરવાર થાય છે. સાત્વિક કામનાઓ પણ આત્માના અનંત પ્રકાશને ઢાંકી દે છે.
(૨) દર્પણ ઉપરના ધૂળના આવરણની જેમ કીર્તિ અને સત્તા માટેની આપણી ઉત્કટ (રાજસિક) ઇચ્છાઓને કારણે ઉત્પન્ન થતો વિક્ષેપ એ શુદ્ધ બુદ્ધિ ઉપર જે આવરણ સર્જે છે તેનું આ દ્રષ્ટાંત છે. આપણે ચોખ્ખા અને સૂકા કપડા વડે જાતે જ લૂછીએ, ઝાટકીએ ત્યારે જ દર્પણ સાફ કરી શકાય. ધુમાડો ગમે તેટલો ગાઢ હોય છતાં પણ એમાંથી અગ્નિ જોઈ શકાય છે જ્યારે ધૂળનું પડ જાડું હોય તો દર્પણમાં કોઈ પણ પ્રતિબિંબ જોઈ શકાય નહીં અને જો દેખાય તો પણ બહુ ઝાંખું દેખાય.
(૩) ગર્ભાશયમાંના ગર્ભની જેમ આપણામાં રહેલ દિવ્ય અંશ અધમ પાશવી આવેગો અને ઇન્દ્રિય ઉપભોગની હીન વાસનાઓથી કેવો ઢંકાઈ જતો હોય છે તે દર્શાવતું આ દ્રષ્ટાંત છે. ગર્ભ પરિપકવ ન થાય ત્યાં સુધી ગર્ભાશયમાં પૂરાયેલ હોય છે અને ગર્ભાશયમાં હોય ત્યાં સુધી તેને નરી આંખે જોઈ શકાય તેવી કોઈ રીત નથી.આવરણ પૂરેપૂરું હોય છે અને સમયની નિશ્ચિત અવધિ પછી જ ગર્ભ એ આવરણમાંથી મુક્ત થાય છે એવી જ રીતે સ્થૂળ વિષયભોગ માણવાની તૃષ્ણા આપણામાં રહેલી વિવેકશક્તિની આસપાસ જાણે ગર્ભાશય જેવું ઘેરૂં આવરણ રચી દે છે અને ભ્રમિત થયેલા મન-બુદ્ધિ ઉત્ક્રાંતિના ઉચ્ચ સોપાન ભણી દોરી જતા વિકાસના માર્ગ પર અત્યંત લાંબા કાળ માટે પસાર થાય તે પછી જ મનમાં ઘોળાતી આવી અધમ (તામસિક) ઇચ્છાઓનું વિસર્જન થાય છે.
આ શ્ર્લોકમાં આપણને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે વિવેક (જ્ઞાન) કે જે સત અને અસત, નિત્ય અને અનિત્ય, સત્ય અને મિથ્યા વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ છે અને જે મનુષ્યને ઉત્ક્રાંતિ શ્રેણીના ઉચ્ચ સોપાન પર બિરાજમાન કરે છે તે એક દિવ્ય શક્તિ છે. જે આપણી તૃપ્ત ન કરી શકાય તેવી લોલુપ કામનાઓને લીધે આવૃત થઈ જાય છે.જેવી રીતે હવિષ્ય નાખવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે તેમ વિષયોના ઉપભોગથી કામ ક્યારેય શમતો નથી.
જ્ઞાની પહેલેથી જ જાણે છે કે આ દ્વારા હું પાપોમાં નિયુક્ત છું.તેનાથી તે હંમેશા દુ: ખી રહે છે એટલા માટે જ આ જ્ઞાનીનો વેરી છે, મૂર્ખનો નહીં કારણ કે મૂર્ખ તો તૃષ્ણા સમયે તેને મિત્ર માને છે પછી જ્યારે તેના પરિણામે દુ:ખ પ્રાપ્ત થાય છે ત્યારે તે સમજે છે કે હું તૃષ્ણા દ્વારા દુખી થયો છું જેની મને પહેલા ખબર નહોતી તેથી આ કાર્ય જ્ઞાનીનું જ નિત્ય વેરી છે.
હવે તેઓ “કામ” કે જે “જ્ઞાન”ને આચ્છાદિત કરી સમગ્ર જગતનો શત્રુ બને છે તેના નિવાસ્થાન ક્યાં ક્યાં છે તેની વાત કરે છે.શત્રુનો નિવાસ ક્યાં છે તે જાણી લઇએ એટલે તેને હણવાનું સુગમ બને છે.
ઇન્દ્રિયો-મન અને બુદ્ધિ..આ સર્વ કામનાનાં નિવાસસ્થાન કહેવાય છે.આ કામના ઇન્દ્રિયો-મન અને બુદ્ધિ દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઇને દેહાભિમાની મનુષ્યને મોહિત કરે છે.(ગીતાઃ૩/૪૦)
“કામ”ને માનસિક શાંતિ અને સંતોષને લૂંટનારા શત્રુ તરીકે ઓળખાવાથી, રાજકુમાર અર્જુનને પણ સૈનિકની જેમ તેના દુશ્મનના ગુપ્ત આશ્રયસ્થાન વિશે જાણવાની ઇચ્છા હતી.ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાત્મિક ગુરૂ છે એટલે તેમણે પોતાના સાહસી શિષ્યને જણાવવું જોઈએ કે આ શેતાનનો અડ્ડો ક્યાં છે જ્યાંથી તે પોતાની અધમ પ્રવૃત્તિઓની યોજના કરે છે.આંતરિક શત્રુ “કામ”ના ગુપ્ત આશ્રયસ્થાનનો નિર્દેશ કરતાં ભગવાન કહે છે કે “ઇન્દ્રિયો-મન અને બુદ્ધિને તેના નિવાસસ્થાન કહેવાય છે”. કોઈ રીઢો ગુંડો જેની પાસે ગુંડાઓની ટોળકી છે તે જ્યારે કોઈ મોટા વિસ્તારમાં પોતાનું રાજ્ય જમાવે ત્યારે એક કરતાં વધુ સ્થાનમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.આપણા આંતરજીવનમાં સુખ-શાંતિનો નાશ કરવા માટે “કામ” જે ત્રણ સ્થાનોમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે તેનો અહીં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે.
વિષયોના જગતમાં સ્વછંદપણે વિચરતી ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિ માટે એક અત્યંત અનુકૂળ ક્ષેત્ર છે. બાહ્ય વિષયોના ઉદ્દીપનો જ્યારે ઇન્દ્રિયો દ્વારા મન સુધી પહોંચે છે ત્યારે મન પણ ઇચ્છાઓમાંથી જન્મતા શોકનું ઉત્પત્તિ સ્થાન બને છે. અંતમાં બુદ્ધિ જે ભૂતકાળમાં અનુભવેલા ભોગોની સ્મૃતિમાં અને પોતે સેવેલી આસક્તિમાં રાચે છે તે પણ કામની પ્રવૃત્તિ માટેનો સલામત અડ્ડો બની જાય છે. ભ્રમિત થયેલો અહંકાર મૂઢતાથી દેહ સાથે તાદાત્મ્ય સેવવાથી ઈન્દ્રિયોના ભોગ ભોગવવા લલચાય છે. અવિચારીપણે પોતે મન સાથે તાદાત્મ્ય સાધીને વધુ ને વધુ ભાવાત્મક તૃપ્તિ અનુભવવા આતુર રહે છે અને છેલ્લે બુદ્ધિ સાથેના તાદાત્મ્યથી તે ઇન્દ્રિયભોગોના અને માનસિક આનંદના અનુભવોનું સ્મરણ કરી તેમાં પુનઃ રાચવાનું આયોજન કરે છે.કામના આ ત્રણ આશ્રયસ્થાનો શોધી વળીએ તો અંતે પ્રત્યક્ષ મુકાબલો થાય છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)