Wadwanતા 19
પાનવા ખાતે આવેલા શ્રી પાર્શ્વનાથ જૈન તીર્થ ગૌશાળામાં ગુજરાતમાં પ્રથમ પુંગનુર ગાયનું આગમન થતાં પૂજન વિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લેખેન્દ્ર શેખર વિજય મહારાજ સહીત દસાડાના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.
દસાડા તાલુકાના પાનવા ગામે આવેલા સુપ્રસિદ્ધ 1008 પાર્શ્વનાથ જૈન તીર્થ નાગેશ્વર ધામ પાર્શ્વ પદમાવતી ગૌ શાળા ખાતે લેખેન્દ્ર શેખર વિજય મહારાજના સાનિધ્યમાં ગૌમાતામાં અતિ પૂજનીય એવી પુંગનુર ગાયનું ગુજરાત માં પ્રથમ આગમન થતાં તેમના પૂજન વિધિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દસાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, ખેંગારભાઈ ડોડીયા, જેસિંગભાઈ ચાવડા, સુરાભાઈ રબારી, રાજુભાઈ પંડ્યા, રમેશભાઈ ચાવડા, પ્રકાશભાઈ ડોડીયા સહિત મોટી સંખ્યામાં તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
માત્ર બે ફૂટ જેટલું કદ ધરાવતી આ પુંગનૂર ગાયની પૂજાનું ખૂબ મહત્વ છે. લેખેન્દ્ર શેખર વિજય મહારાજ દ્વારા તમામ લોકોને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. એમાંય આ પુંગનુર ગાયની ઊંચાઈ લગભગ માત્ર અઢીથી ત્રણ ફૂટ જેટલી હોય છે, જે વિશ્વની સૌથી નાની ગાયમાં સ્થાન ધરાવે છે. પરંતુ પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, આથી તેનું સંરક્ષણ જરૂરી છે.