New Delhi, તા.9
કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે અને નાણાં મંત્રી નિર્મલા સિતારામન હવે સીધા કરવેરામાં આ બજેટમાં સૌથી મહત્વ પૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતા છે. ખાસ કરીને નાણાંમંત્રી કરવેરાના કાનૂનમાં મોટા ફેરફાર લાવી રહ્યા છે.
ખાસ કરીને સમગ્ર ટેક્સ ફાઇલીંગ પ્રક્રિયા સરળ બનાવવા માટે હવે નાણાંમંત્રી આગળ વધી રહ્યા છે. ભારતીય ઇન્કમટેક્સ એક્ટ 1961માં તૈયાર કરાયો હતો. સમય જતાં તેમાં ફેરફાર કરાયા પરંતુ ધરમુળથી ફેરફારથી મોટાભાગની સરકારો દુર રહી હતી પણ હવે ખાસ કરીને જે રીતે કરદાતાઓ વધી રહ્યા છે અને આવક અને ખર્ચના સ્ત્રોત પણ વધી રહયા છે.
તે જોતા હવે આવકવેરા કાયદાને નવું સ્વરુપ આપવું જરુરી છે અને નાણાં મંત્રીએ આ માટે એક ખાસ પેનલ રચી હતી અને તેની ભલામણો તેમના ટેબલ પર આવી જતા હવે તેમના અમલ માટે તૈયારી કરી છે. ખાસ કરીને આવકવેરામાં જે રીતે અદાલતી સહિતના વિવાદ વધી રહ્યા છે તેમાં અંદાજો મુજબ છેલ્લા એક દસકામાં 120 બીલીયનની રકમ ફસાઇ હતી.
હાલમાં જ અલગ-અલગ વિવાદોમાં ખાતા દ્વારા જે રીતે ટ્રીબ્યુનલ અને અદાલતો પાસે જવાય છે તેમાં પણ પ્રક્રિયામાં કાપ મુકાશે અને ખાસ કરીને જ્યાં સતત ફક્ત કાનૂની વ્યાખ્યાની ગુંચવણો ઉભી થાય છે ત્યાં સ્પષ્ટ સમજૂતી મુકાશે જેના કારણે તેના વિવાદો પણ અટકશે.