લીસ્ટેડ થયેલા રૂા.1000 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતી કંપનીની સ્ક્રીપમાં ઓલટાઈમહાઈથી 20 ટકાનો ઘટાડો
જાહેર ક્ષેત્રની બેંકોની સ્ક્રીપમાં વર્ષનો સૌથી મોટો ઘટાડોઃ નિફટીના 50માંથી 42 શેરમાં નેગેટીવ રિટર્ન
Mumbai તા.7
ભારતીય શેરબજાર યુદ્ધની ખુવારી ભોગવી રહ્યું છે અને તે રીતે દલાલ સ્ટ્રીટમાં આ સપ્તાહે પાંચ દિવસના ટ્રેડીંગમાં મંદી જોવા મળી તેના કારણે રોકાણકારોએ રૂા.19 લાખ કરોડની મુડી ગુમાવી છે. સેન્સેકસ પુરા સપ્તાહમાં એકંદરે 3300 પોઈન્ટ જેટલો ઘટયો છે અને તમામ સેકટર એટલે કે બેંકો, ટુરીઝમ, એરલાઈન્સ, રિયલ એસ્ટેટ, ઓટો સેકટરને અસર થઈ રહી છે.
હવે ગેસ સપ્લાયમાં કાપ મુકાતા જ મોટાભાગના ઔદ્યોગીક ક્ષેત્રમાં ઉત્પાદન લગભગ ઠપ્પ જેવી સ્થિતિ બની જશે. જીયો પોલીટીકલ ટેન્શનના કારણે ક્રુડતેલ પણ મોંઘુ થઈ રહ્યું છે અને રૂા.1000 કરોડથી વધુનું માર્કેટ કેપ ધરાવતા 80 ટકા શેર તેની ઓલટાઈમ હાઈ કિંમતમાં 20 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
જે રીતે સરકાર હવે પેટ્રોલિયમ ભાવવધારાના માર્ગે છે તે જોતા આગામી દિવસોમાં આ ઘટાડો વધુ તીવ્ર બને તેવી શકયતા પણ નકારાતી નથી. એટલું જ નહી યુદ્ધ કેટલો સમય ભારતીય શેરબજારને મુશ્કેલીમાં મુકશે તે હજુ પ્રશ્ન છે.
નિફટી બેંકમાં 14 મહિનાનું સૌથી વધુ વેચાણ ઘટયુ છે જયારે જાહેર ક્ષેત્રની બેંકોમાં વર્ષની સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નિફટીના 50 માંથી 42 શેર નેગેટીવ ઝોનમાં ચાલ્યા ગયા છે અને સપ્તાહના અંતે જાહેર ક્ષેત્ર સિવાય તમામ સેકટરમાં રેડ નિશાની જોવા મળી હતી.
યુદ્ધ અને બજાર પર અસરઃ માર્કેટમાં કડાકા અને રિકવરીઃ 2001 થી 2025
ભારતીય શેરબજારે ભૂતકાળમાં પણ અનેક યુદ્ધ સમયે અને ખાસ કરીને 9/11ના અમેરિકા પરના હુમલા સમયે પણ મોટી નુકશાની કરી છે જેમાં 2001માં જે ટવીટ ટાવર ધ્વંશ થયા તે પછી શેરબજાર 22.4 ટકા તૂટયુ હતું અને 48 દિવસ બાદ રિકવરી ચાલુ થઈ હતી.
2003માં ઈરાક યુદ્ધ સમયે ભારતીય શેરબજારમાં 9.4 ટકાનો ઘટાડો થયો અને રિકવરી આવતા 49 દિવસ થયા હતા. 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયુ અને શેરબજારમાં 8 ટકાનો ઘટાડો થયો અને રિકવરી આવતા 15 દિવસ લાગ્યા હતા. 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર સર્જાયુ તે સમયે શેરબજારમાં બે ટકા ઘટય હતું. જો કે ફકત સાત દિવસમાં જ રિકવરી આવી ગઈ હતી.

