New Delhi,તા.26
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા હાઈવે પર મુસાફરી કરનારાઓ અને વેપારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ, ફૂડ કોર્ટ કે અન્ય સુવિધાઓ શરૂ કરવા માટે હવે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ‘રાજમાર્ગ પ્રવેશ'(Rajmarg Pravesh) પોર્ટલનું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી હવે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે, જેનાથી સામાન્ય નાગરિકો અને ઉદ્યોગસાહસિકોના સમય અને શક્તિની બચત થશે.
વેપારીઓ ઉપરાંત ટેલિકોમ કંપનીઓ ઓપ્ટિકલ ફાઈબર કેબલ માટે તેમજ પાણી, ગેસ અને વીજળીની પાઈપલાઈન નાખવા માટે પણ આ પોર્ટલ દ્વારા અરજી કરી શકશે. પહેલા આ તમામ કાર્યો માટે અલગ-અલગ વિભાગોમાં જઈને દસ્તાવેજો જમા કરાવવા પડતા હતા, પરંતુ હવે અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ ઓનલાઇન જોઈ શકશે અને નિયત સમય મર્યાદામાં તેનો જવાબ પણ મેળવી શકશે. 1.45 લાખ કિલોમીટરથી વધુ લાંબું ભારતનું નેશનલ હાઈવે નેટવર્ક હવે માત્ર રસ્તો જ નહીં, પરંતુ લોજિસ્ટિક્સ, રીટેલ અને હોસ્પિટાલિટીનું મોટું હબ બની રહ્યું છે, ત્યારે આ પોર્ટલ નાના વેપારીઓ અને મોટા પ્રોજેક્ટ્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પોર્ટલ ખાસ કરીને એવા લોકો અને સંસ્થાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમને નેશનલ હાઈવે સાથે જોડાયેલા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) અથવા અન્ય પરવાનગીઓની જરૂર હોય છે. ભલે તમારે હાઈવેના કિનારે પેટ્રોલ પંપ ખોલવો હોય, ફૂડ કોર્ટ બનાવવો હોય કે કનેક્ટિંગ રોડ અને રેસ્ટ એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવી હોય, હવે આ તમામ પ્રક્રિયાઓ એક જ પ્લેટફોર્મ પર ઓનલાઇન પૂર્ણ કરી શકાશે. આ સુવિધાનો લાભ સામાન્ય નાગરિકો, ખાનગી કંપનીઓ અને સરકારી વિભાગો એમ તમામ લઈ શકશે.

