New Delhi,તા.07
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2026ની રોમાંચક સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ ઐતિહાસિક જીતનો સૌથી મોટો હીરો રહ્યો કેરળનો સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન. જેણે માત્ર 42 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં સેમસન માટે રસ્તો ખુબ જ સંઘર્ષપૂર્ણ રહ્યો હતો. શરૂઆતની મેચોમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહોતી મળી અને તે લાંબો સમય બેન્ચ પર બેસી રહ્યો હતો. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 97 રનની અણનમ ઇનિંગ બાદ તેને સેમિ ફાઈનલમાં તક મળી અને તેણે સાબિત કરી દીધું કે તે શા માટે ખાસ છે.મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થયેલા સંજુએ જણાવ્યું હતું કે, “છેલ્લા નવ મહિના મારા માટે ખૂબ જ પડકારજનક હતા. હું હંમેશા ટીમ માટે યોગદાન આપવા માંગતો હતો, પણ ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં જ્યારે મને તક મળી ત્યારે હું રન બનાવી શક્યો નહોતો. તે સમયે હું ઘણું દબાણ અનુભવી રહ્યો હતો.”આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે સંજુએ એક મોટો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું, “મેં બહારનો અવાજ સાંભળવાનું બંધ કરી દીધું હતું. મેં મારો ફોન બંધ કરી દીધો હતો અને સોશિયલ મીડિયાથી પણ અંતર જાળવી રાખ્યું હતું. હું માત્ર મારા નજીકના લોકો સાથે જ વાત કરતો હતો. આનાથી મને મારા બેઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી.”
સંજુની આ આકરી તપસ્યા અને મહેનત આખરે સેમિ ફાઈનલમાં રંગ લાવી. દબાણ હેઠળની મેચમાં તેણે ઈંગ્લેન્ડના બોલરોની બરાબરની ધોલાઈ કરી 89 રન ફટકાર્યા, જે ભારતની જીતનો પાયો બન્યો. તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.ભારત હવે ફાઈનલમાં પહોંચી ગયું છે અને સંજુ સેમસનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. જો ફાઈનલમાં પણ તેનું બેટ આ રીતે જ ચાલશે, તો ભારતને વિશ્વવિજેતા બનતા કોઈ રોકી શકશે નહીં.

