New Delhi,તા.02
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝને તેની અડધી સફર પૂર્ણ કરી લીધી છે અને આ દરમિયાન રોમાંચ ઘણી વખત તેની ચરમસીમાએ પહોંચ્યો છે. લીગનો કાફલો આગળ વધે તે પહેલા, અત્યાર સુધીની સફરની કેટલીક ખાસ પળો, ખાસ વાતો અને ખાસ આંકડાઓ પર નજર કરીએ.
ચાલું છે ’વિરાટ શો’
જ્યારે વિરાટ કોહલીએ ટી-20 માંથી નિવૃત્તિ લીધી ત્યારે લાગતું હતું કે આઈપીએલમાં પણ તેનો સમય જલ્દી પૂરો થઈ જશે, પરંતુ તેણે જે રીતે આ રમતની બદલાતી પ્રકૃતિ મુજબ પોતાને ઢાળ્યા છે તે અદભૂત છે. આ જ સીઝનમાં વિરાટ આઈપીએલમાં 9000 રન અને 800+ ચોગ્ગા મારનાર પ્રથમ બેટર પણ બન્યો છે. સીઝનમાં ત્રણ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ સાથે તે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટર્સમાં સામેલ છે.
મેચ : 9, રન : 379, હાઈએસ્ટ : 81,
સ્ટ્રાઈક રેટ : 165.50, ચોગ્ગા/છગ્ગા : 42/15
હાઈએસ્ટ ચેઝનો રેકોર્ડ
પંજાબ કિંગ્સે આ સીઝનમાં ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ તેમણે દિલ્હી સામે કર્યું. મેચમાં દિલ્હીએ બે વિકેટે 264 રન બનાવ્યા, જેના જવાબમાં પંજાબે ચાર વિકેટે 265 રન બનાવી લીધા. આ પહેલા પણ આ રેકોર્ડ પંજાબના નામે હતો, જ્યારે ટીમે 2024માં KKR સામે 262 રન ચેઝ કર્યા હતા.
વૈભવ સૂર્યવંશીનો વધતો પ્રભાવ
ગયા વર્ષે માત્ર 14 વર્ષની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી પર આ વર્ષે પણ સૌની નજર હતી. જોવાનું એ હતું કે ગત સીઝનમાં માત્ર 35 બોલમાં સદી ફટકારનાર વૈભવ ખરેખર ’વન્ડર કિડ’ છે કે પછી ’વન સીઝન વન્ડર’. વૈભવે સતત મેચોમાં જોરદાર ઇનિંગ્સ રમીને પોતાને સાબિત કર્યો અને હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં પોતાની આઈપીએલની બીજી સદી ફટકારીને એવો સંદેશ પણ આપ્યો કે તે લાંબી રેસનો ઘોડો છે.
મેચ : 9, રન : 400, હાઈએસ્ટ : 103, સ્ટ્રાઈક રેટ : 238.09, ચોગ્ગા : 34, છગ્ગા : 37
વિકેટ માટે તરસી રહ્યો છે બુમરાહ
દુનિયાનાં સૌથી ખતરનાક ફાસ્ટ બોલરોમાં સામેલ જસપ્રીત બુમરાહની બોલિંગની ધાર મેચ દર મેચ ઓછી થતી દેખાઈ રહી છે. થોડા મહિના પહેલા રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ટાઇટલ જીતના નાયકોમાં સામેલ રહેલો બુમરાહ આ આઈપીએલ સીઝનમાં વિકેટ માટે તરસી ગયો છે. તેની આ સ્થિતિ ચિંતાનો વિષય છે. વૈભવ સૂર્યવંશી હોય કે સલિલ અરોરા જેવા નવા બેટ્સમેનો, બધા બુમરાહના બોલને સરળતાથી સમજી રહ્યાં છે.
મેચ : 8, વિકેટ : 2, બેસ્ટ : 1/15, ઇકોનોમી : 8.80, એવરેજ : 132.00
રોહિત-ધોનીએ આપ્યાં સંકેત!
મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ હવે માત્ર આઈપીએલમાં જ તેને રમતાં જોઈ શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આઈપીએલમાંથી નિવૃત્તિની અટકળોને ટાળતાં રહેલાં ધોની, આ વખતે ઈજાગ્રસ્ત હોવાને કારણે હજુ સુધી એક પણ મેચ રમી શક્યાં નથી. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સના દિગ્ગજ રોહિત શર્મા પણ માત્ર ચાર મેચ રમીને ઈજાના કારણે મેદાનની બહાર છે. પાંચ-પાંચ આઈપીએલ ટાઇટલ જીતનારા આ બંને દિગ્ગજોની ઈજાએ એવો સંકેત આપી દીધો છે કે કદાચ હવે આ લીગમાં તેમની પાસે વધુ મેચો બાકી નથી.

