Morbi. તા.9
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘર પાસે સાફ-સફાઈ કર્યા બાદ કચરો સળગાવતી હોય તે બાબતે દંપતી સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વીસીપરાના રોહીદાસપરામાં રેલ્વે સ્ટેશનની પાછળ કબીર આશ્રમ નજીક રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા (26)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મૂળજીભાઈ પરમાર, ડેનિશભાઈ દેવજીભાઈ પરમાર અને ઋષિભાઈ દેવજીભાઈ પરમાર રહે. બધા રોહીદાસપરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘર પાસે ઘાસ અને કચરો સાફ કરીને સળગાવતા હતા જે બાબતે ગીતાબેન અને દેવજીભાઈએ તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો.
અને ત્યારે ગીતાબેનએ ગાળો આપીને લાકડી વડે ફરિયાદીને મારમાર્યો હતો જ્યારે દેવજીભાઈ અને ડેનિસભાઈએ ફરિયાદી મહિલાને પકડી રાખતા ઋષિભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ફરિયાદી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા જયસુખભાઈ દુદાભાઈ વિઠલાપરા (45) રણજીતગઢ ગામે હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ અશ્વશક્તિ રોટાવેટરના કારખાનાની પાછળના ભાગમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.
ગોર ખીજડીયા ગામેથી મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મળી
મોરબી નજીકના ગોર ખીજડીયા ગામે આવેલ તળાવ પાસેથી શનિવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ગામના લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી ત્યાર બાદ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ ઉપરથી મૃતક વ્યક્તિના મૃતદેહ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને મૃતક યુવાન મોરબી તાલુકાના વીરપરડા ગામનો મુસાભાઇ આહમદભાઈ સુમરા (35) વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની વનાળીયા ગામે રહેતા ઈમ્તિયાઝભાઈ ઓસમાણભાઈ સુમરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટેન્કર ચાલકે ટક્કર મારતા એસટી બસમાં નુકશાન
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે અરવિંદભાઈ સવાભાઈ હુંબલ (39) એ ટેન્કર નંબર જીજે 36 ટી 6789 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે માળિયા જામનગર હાઇવે રોડ સરવડ ગામના નાલા પાસે ફરિયાદીના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5986 ને ટેન્કરના ચાલકે ડ્રાઇવર સાઈડમાં પાછળના ભાગે હડફેટ લીધી હતી.
જેથી કરીને એસટીની બસ રોડ સાઈડની ગટરમાં નીચે ઉતરી ગઈ હતી અને તેના કારણે બસમાં આગળ તથા પાછળના ભાગે નુકસાન થયું છે આ બનાવ સંદર્ભે એસટીના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જુદાજુદા ગુનામાં નાસતા ફરતા એક-એક આરોપી પકડાયા
મોરબી એલસીબીના પીઆઇ ની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં ખાનગી રાહે હકીકત મળેલ હતી કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતો ફરતો આરોપી સીકંદર ગફાર સંધવાણી રહે. માળીયા (મીં) વાળો હાલે માળીયા વાગડીયા ઝાપા પાસે છે જેથી એલસીબીની ટીમે ત્યાંથી નાસતા ફરતા આરોપી સીકંદર ગફાર સંધવાણી (31) રહે. માળીયા વાળો મળી આવેલ હતો જેથી તેને પકડીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાની મોલડી (આણંદપુર) પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી ઇમરાન મામદ પલેજા (35) રહે કાલિકા પ્લોટ મોરબી વાળો હાલ મોરબી કાલિકા પ્લોટમાં હોવાની બાતમી મળી હતી જેથી એ ડીવીઝન પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી અર્થે નાની મોલડી પોલીસ મથકને સોપવામાં આવેલ છે.
એકટીવા રીક્ષા સાથે અથડાતા ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબી સામાકાંઠે શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે રહેતો યોગેશભાઈ સુરજભાઈ મકવાણા (27)ને શોભેશ્વર રોડ ખાતે એકટીવા- રીક્ષા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. જયારે પંચાસર રોડ ખાતે બાઈક આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થવાથી ઉદય વિનોદભાઈ સોનગ્રા (27) રહે. રાજનગર પંચાસર રોડને અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
જયારે ટંકારાના વીરપર ગામના લીજોરા નામના કારખાના નજીક મારામારીમાં ઈજા થતા રોહિત કૈલાષભાઈ (33) નામના યુવાનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વૃધ્ધા સારવારમાં
હળવદના ભવાનીનગરમાં રહેતા શારદાબેન નજીમભાઈ હળવદીયા નામના 55 વર્ષના વૃધ્ધાને ઘરે પુત્રએ માર મારતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જયારે ચુંપણી ગામના કરમણભાઈ મેઘાભાઈ સેફાત્રા (67) નામના આધેડ તેમના ભાણેજ સાથે બાઈકમાં જતા હતા ત્યારે વાહનમાંથી પડી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. મુળી પાસેના ભલગામડાના પ્રવીણભાઈ અરજણભાઈ કોળી (59) બાઈકમાં બેસીને જતા હતા ત્યારે છારા ગામ પાસે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયા હતા.
મહિલા સારવારમાં
નવલખી ફાટકથી નેકસસ સિનેમા જતા રસ્તે રહેતા હિનાબેન દિનેશભાઈ દેવીપૂજક (25)ને પતિ-સાસુએ માર મારતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે હળવદની હરીદર્શન હોટલ પાસે અકસ્માતે ઈજા થતા દેવેન્દ્રસિંહ ભવાનસિંહ રાજપુત (45) રહે. અમદાવાદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. રાયસંગપર ગામે અજાણ્યા વાહનની હડફેટે ઈજા થતા દિલશાન શરીફખાન (19) રહે. મચ્છીપીઠ માળીયા (મીં)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
કચ્છના રાપરના બાવળા-જાસલપર રોડે બાઈક સ્લીપ થતા હરીભાઈ લખમણભાઈ દેવીપૂજક (43) રહે. રાપરને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ઢુવા (વાંકાનેર)ના ખુશાલીબા બળવંતસિંહ સિંધવ (19) નામની યુવતી કોઈ કારણોસર એસીડ પી જતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
વાંકાનેરના ગારીયા ગામે સાપ કરડી જતા વિશાલ ગોરધનભાઈ માલકીયા (20)ને સારવારમાં મોરબી લવાયો હતો. જયારે ટંકારા ખાતે મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા મુકેશભાઈ હરીભાઈ પરમાર (45)ને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા છે.
જયારે બોરીયાપાટીમાં રહેતા પરીવારનો દિવ્યેશ સુરેશભાઈ જાદવ (8) નામનો બાઈકમાંય બેસીને જતો હતો ત્યારે વાહન આડે કુતરૂ આડુ ઉતરતા ઈજા પામતા અહીંની ઓમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વાંકાનેર વઘાસીયા ગામે મારામારીમાં ઈજા થતા અખિલેશ સુનિલભાઈ નિસર (18)ને સારવાર માટે મોરબી લવાયો હતો. જયારે વાંકાનેરના હસનપર ગામે મારામારીમાં ઈજા થતા વિપુલ મધુભાઈ વિંજુવાડીયા (26)ને સારવાર માટે મોરબી લવાયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

