New Delhi, તા.૨૩
ભારતીય સંસદમાં પશ્ચિમ એશિયાની વણસતી સ્થિતિ અને ઈરાન જંગ પર સંબોધન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ બાદ હવે પીએમ મોદીએ પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં અંદાજે ૧ કરોડ ભારતીયો વસે છે, જેમની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ૩,૭૫,૦૦૦થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે, જેમાં ઈરાનથી આવેલા ૧,૦૦૦ જેટલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ભારત સરકાર તમામ પ્રભાવિત દેશોમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે તમામ પ્રયાસો કરી રહી છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ વિશે પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે, આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોઈપણ પ્રકારની અડચણ સ્વીકાર્ય નથી. ભારતની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આ માર્ગેથી આવે છે. હોર્મુઝમાં જહાજોની અવરજવર મુશ્કેલ બની હોવા છતાં, ભારત સરકારે રાજદ્વારી વાતચીત દ્વારા ત્યાં ફસાયેલા અનેક ભારતીય જહાજોને સુરક્ષિત બહાર કઢાવ્યા છે. પીએમ મોદીએ ખાતરી આપી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પર અસર ન પડે તે માટે સરકાર સતત કાર્યરત છે. ખાસ કરીને ભારત પોતાની જરૂરિયાતનો ૬૦% ન્ઁય્ આયાત કરે છે, તેથી હાલમાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપીને સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, નાગરિકો, ઊર્જા અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા હુમલાનો ભારત વિરોધ કરે છે. તેમણે પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાતચીત કરી તણાવ ઓછો કરવા અપીલ કરી છે. પીએમએ દેશવાસીઓને ચેતવણી આપતા કહ્યું કે આ જંગની અસર લાંબા સમય સુધી રહેશે, તેથી આપણે એકજૂથ રહેવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક લોકો આવી ગંભીર સ્થિતિનો ફાયદો ઉઠાવીને જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આપણે તેમને સફળ થવા દેવાના નથી. ભારત પોતાની વ્યૂહનીતિ મુજબ તમામ હિતધારકો સાથે સંપર્કમાં રહીને ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.

