New Delhi તા.20
ભારતીય ચોમાસા અંગે પહેલા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બાદમાં હવામાનખાતાએ પણ આ વર્ષે નૈઋત્યના ચોમાસા પર અલનીનોની અસર હશે અને આઠ ટકા જેટલો ઓછો વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે હવે યુરોપીયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એ પણ જાહેર કર્યુ છે કે આ વર્ષે સુપર અલનીનો ચોમાસા પર પ્રભાવ પાડશે.
હવામાનખાતાએ હિન્દ મહાસાગરમાં હવામાન અંગેના વધુ એક માપદંડ ડાયકોલ કે જે સમુદ્રી તાપમાન ને અનુલક્ષીને માપવામાં આવે છે તે પણ દર્શાવે છે કે આ સ્થિતિ અલનીનોની અસરને થોડી મધ્યમ કરી શકે છે. પણ અલનીનો એ ચોકકસપણે ભારતના ચોમાસાને નબળુ કરશે અને ભારતે તે માટે તૈયાર રહેવું પડશે.
હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેમાં અને સ્કાયમેટની આગાહીમાં બહુ મોટો ફર્ક નથી પણ ખાસ કરીને ચિંતા એ વાતની છે કે ઈરાન યુદ્ધના કારણે ભારતમાં ફયુલથી લઈ ફર્ટીલાઈઝરના પુરવઠા પર અસર છે અને ખાસ કરીને ફર્ટીલાઈઝર એટલે કે ખાતરની સ્થિતિ વણસે તો ચોમાસાની નબળાઈ વધુ અસરકારક બનશે.
છેલ્લા બે દશકામાં જીડીપીમાં કૃષિનો ફાળો આઠ ટકા જેવો ઘટયો છે. અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધાઈ છે તેના કારણે આ ઘટાડો વધુ નજરે ચડે છે. પરંતુ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રનું અર્થતંત્ર હજુ મુખ્યત્વે ચોમાસા પર આધારિત છે અને તેમાં કોઈપણ નબળી સ્થિતિ એ ગ્રામીણ આવક અને માંગને અસર કરશે.
રોજગારને પણ અસર કરશે અને તેમાં પણ સરકારે મનરેગાને નબળી બનાવી છે અને રાજયનો ફાળો વધાર્યો છે જેનાથી આ યોજના અમલમાં મુકવા રાજયો કેટલા ઉત્સાહી હશે તે પણ પ્રશ્ન છે.
જો કે કેન્દ્ર સરકારે નબળા ચોમાસા અંગે તૈયારીઓ શરુ કરી દીધી છે અને ટુંક સમયમાં ખેડુતો માટે બિયારણથી લઈ વાવણી સુધીની એડવાઈઝરી બહાર પાડશે. પાણીની ઉપલબ્ધતા અંગે પણ રિપોર્ટ મંગાવાઈ રહ્યો છે અને ખાતરની આવશ્યકતા અને પુરવઠા ઉપરાંત ભાવની સ્થિતિ પણ ચકાસાઈ રહી છે.
એટલું જ નહી અપુરતુ ચોમાસુ એ પીવાના પાણીની પરીસ્થિતિને અસર કરશે અને ઉદ્યોગ ક્ષેત્રને પણ અસર થશે. એટલું જ નહી નબળા ચોમાસાની માનસીકતા એ અર્થતંત્રને પણ અસર કરી શકે છે.

