(મિલાપ રૂપારેલ) Amreli તા.10
અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ આવી રહયાં હોય જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકો ભયભીત બની ઊઠ્યા હતા.
અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપીય હલચલ યથાવત્ રહેતા લોકોમાં ચિંતા વધતી જવા પામી છે. છેલ્લા બે દિવસથી સાવરકુંડલા પંથકમાં અનુભવાયેલા આંચકાઓ બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા વિસ્તારમાં ફરી એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, રાજુલા પંથકમાં આજે વહેલી સવારે રાત્રિના આશરે 2:24 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાની અસર રાજુલા, જાફરાબાદ, ખાંભા તથા સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાંઓમાં અનુભવાઈ હતી. ભર નિંદ્રામાં સૂતેલા લોકો અચાનક જાગી જતા ગભરાટ ફેલાયો હતો.
આ અંગે સિસ્મોલોજી વિભાગે પણ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહુવાથી અંદાજે 32 કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં પણ વારંવાર આંચકાઓ નોંધાયા હતા, જેના પગલે સમગ્ર જિલ્લામાં ભૂકંપીય પ્રવૃત્તિ અંગે ચિંતા વધી રહી છે.
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા બાદ હવે રાજુલા-ખાંભા પંથકમાં પણ આંચકાની અનુભૂતિ થતા અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે, અત્યાર સુધી કોઈપણ સ્થળે કોઈ જાનહાની કે મોટાપાયે નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

