Mumbai,તા.23
અક્ષય કુમાર અને રાજપાલ યાદવ સ્ટારર ફિલ્મ ‘ભૂત બંગલા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયા પછી રાજપાલ યાદવે તેમના જીવનના સૌથી વિવાદાસ્પદ કિસ્સા વિશે ખુલાસો કર્યો હતો. રૂ.5 કરોડના લોન વિવાદને લઈને રાજપાલ યાદવને 12 દિવસ જેલમાં વિતાવવું પડ્યું હતું. રાજપાલે કેસ અને તેને લગતી કાનૂની મુશ્કેલીઓ લગતી વિવિધ ગેરસમજો સહિતની દરેક બાબત પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કર્યો છે.
એક પોડકાસ્ટમાં રાજપાલ યાદવે જણાવ્યું હતું કે, ‘આ મામલો ફક્ત પૈસા કરતાં ઘણો ઊંડો હતો. તેમાં સિદ્ધાંતો, ઈન્ડસ્ટ્રીનું રાજકારણ અને કાનૂની ગૂંચવણો સામેલ હતી. લોકોનું માનુવ છે કે આટલી બધી ફિલ્મ કરનાર એક્ટર સરળતાથી 5 કરોડનું દેવું ચૂકવી શકે છે. પરંતુ સાચા મુદ્દાને સમજવા માટે વ્યક્તિએ આંકડાઓથી આગળ જોવું જોઈએ. આ ક્યારેય પૈસાના અભાવનો પ્રશ્ન નહોતો, પરંતુ સિદ્ધાંતનો હતો.’
જેલ બાબતે વાત કરતાં રાજપાલે કહ્યું કે, ‘હું પૈસા ન હોવાના કારણે જેલ નથી ગયો. આ એક મોટો મુદ્દો હતો, જે સિદ્ધાંતો અને પરિસ્થિતિ સાથે જોડાયેલો હતો અને ધીરે-ધીરે વધતો ગયો. જો આ ફક્ત રૂ.5 કરોડનો મામલો હોત તો વર્ષ 2012માં જ પૂર્ણ કરી નાખત. આ 5 કરોડે 17 કરોડ ડૂબાવવાનું કામ કર્યું છે.’
રાજપાલે પોતાની દિગ્દર્શિત ફિલ્મ ‘અતા પતા લપતા’ વિશે ખુલાસો કર્યો કે, ફિલ્મ મુશ્કેલીઓનો સામનો કરે તે પહેલાં જ લગભગ રૂ.12 કરોડ ખર્ચ થઈ ગયા હતા અને પ્રોજેક્ટનો ખર્ચ આખરે રૂ.22 કરોડ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ફિલ્મની રિલીઝને લગતા મુદ્દાઓ બહાર આવવા લાગ્યા, ત્યારે નાણાકીય નુકસાન અને કાનૂની ગૂંચવણો શરૂ થઈ ગઈ હતી.રાજપાલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિષ્ફળતા અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ‘દરેક અસફળ પ્રોજેક્ટને છેતરપિંડી સાથે સરખાવવો જોઈએ નહીં. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજપાલે 5 કરોડનું કૌભાંડ કર્યું છે. ફિલ્મો, ફંડ, ફાઇનાન્સ… મેં ખરેખર શું ગુનો કર્યો? આ બાબતે વેગ પકડ્યો જાણે 50 કરોડનું કૌભાંડ થયું હોય. સેંકડો ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. વિશ્વભરમાં વીસ ફિલ્મો બની રહી છે. તેમાંથી 80 ફિલ્મો નિષ્ફળ જાય છે. છતાં રાજપાલે કૌભાંડ કર્યું, રાજપાલે એક ઉદ્યોગપતિને છેતર્યા હોવાની વાત પ્રસરી. આમ, ઘણી મુશ્કેલીઓ છતાં હું સિસ્ટમ પર ભરોસો રાખતો હતો.’

