Bengal,તા.23
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં ‘પરિવર્તન’નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ‘ઝાલમુરી’ના કિસ્સાનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં કહ્યું કે, ‘મેં બંગાળમાં ઝાલમુરી ખાધી હતી, પરંતુ એવું લાગે છે કે તેના મરચાંનો તીખો સ્વાદ ટીએમસીના નેતાઓને લાગ્યો છે. 4 મેના રોજ ભાજપની જીત નક્કી છે અને તે દિવસે બંગાળમાં મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચવામાં આવશે.’વડાપ્રધાન મોદીએ તૃણમૂલ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, 15 વર્ષ પહેલા લોકો સામ્યવાદીઓ વિરુદ્ધ હતા અને આજે તેઓ ટીએમસીના ‘જંગલરાજ’ વિરુદ્ધ ઊભા છે.વડાપ્રધાન મોદીએ ઘૂસણખોરીના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું કે, ‘ભાજપનો મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’ છે, જ્યારે ટીએમસી ‘ઘૂસણખોરોનો સાથ અને ઘૂસણખોરોનો વિકાસ’માં માને છે. ચૂંટણી દરમિયાન ઓછી હિંસા ખૂબ જ સારી બાબત છે. છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં આ વખતે હિંસા નહીંવત છે. જ્યાં પણ રેકોર્ડબ્રેક મતદાન થાય છે, ત્યાં ભાજપને મજબૂત જનાદેશ મળે છે.’નાગરિકતા સંશોધન કાયદા(CAA) અંગે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા પીએમ મોદીએ મતુઆ અને નમશૂદ્ર સમુદાય સહિતના શરણાર્થી પરિવારોને ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, ‘આ મોદીની ગેરંટી છે કે ભાજપ સરકાર બનતા જ CAA હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયાને વધુ વેગ આપવામાં આવશે અને દરેક લાભાર્થીને ભારતીય નાગરિક તરીકેના તમામ અધિકારો મળશે.’

