Alwar,તા.30
રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.
ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે રાત્રે 1 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ હતી.
આ અકસ્માતમાં મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી 3 મહિલાઓ, એક બાળકી અને એક પુરુષ સહિત કુલ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. કાર ચાલક વિનોદ કુમાર મેહરે કારમાંથી કૂદીને મહામુશ્કેલીએ પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે 80% જેટલો દાઝી ગયો છે.
દુર્ઘટનાની જાણ થતા જ પેટ્રોલિંગ ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

