જન્મતાની દિવ્યતાનું વર્ણન થઇ ગયું,હવે કર્મોની દિવ્યતા શું હોય છે? એ વિષયનો આરંભ શ્ર્લોક(૪/૧૧)થી કરતાં ભગવાન કહે છે કે..
યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ
(પાર્થ-હે પૃથા નંદન ! યે-જે ભક્તો, મામ્-મારૂં, યથા-જેવા ભાવથી, પ્રપદ્યન્તે-શરણ લે છે, અહમ્-હું, તાન્-તેમને, તથા એવ-એવા જ ભાવથી, ભજામિ-આશ્રય આપું છું કેમકે, મનુષ્યાઃ-સૌ મનુષ્યો, સર્વશઃ-સર્વ રીતે, મમ-મારા, વર્ત્મ-માર્ગનું, અનુવર્તન્તે-અનુસરણ કરે છે.)
હે પૃથા નંદન ! જે ભક્તો મારૂં જેવા ભાવથી શરણ લે છે હું તેમને એવા જ ભાવથી આશ્રય આપું છું કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા માર્ગનું અનુસરણ કરે છે. પૃથા(કુંતી)ના પૂત્ર હોવાથી અર્જુનનું એક નામ પાર્થ પણ છે.પાર્થ સંબોધન ભગવાનની અર્જુન સાથેની આત્મિયતા અને નિકટતા બતાવે છે.ગીતામાં ભગવાને આડત્રીસ વખત પાર્થ સંબોધનનો પ્રયોગ કર્યો છે.
‘યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્’-ભક્ત ભગવાનનું જે ભાવથી,જે સબંધથી,જે રીતે શરણ લે છે,ભગવાન પણ તેને તે જ ભાવથી,તે જ સબંધથી,તે જ રીતે આશ્રય આપે છે.જેવી રીતે ભક્ત ભગવાનને પોતાના ગુરૂ માને છે તો તેઓ શ્રેષ્ઠ ગુરૂ બની જાય છે,શિષ્ય માને છે તો તેઓ શ્રેષ્ઠ શિષ્ય બની જાય છે,માતા-પિતા માને છે તો તેઓ શ્રેષ્ઠ માતા-પિતા બની જાય છે,પૂત્ર માને છે તો તેઓ શ્રેષ્ઠ પૂત્ર બની જાય છે,ભાઇ માને છે તો તેઓ શ્રેષ્ઠ ભાઇ બની જાય છે,સખા માને છે તો તેઓ શ્રેષ્ઠ સખા બની જાય છે, નોકર માને છે તો તેઓ શ્રેષ્ઠ નોકર બની જાય છે.ભક્ત ભગવાન વિના વ્યાકુળ થઇ જાય છે તો ભગવાન પણ ભક્ત વિના વ્યાકુળ થઇ જાય છે.
અર્જુનનો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવ હતો તથા તેઓ એમને પોતાના સારથી બનાવવા માંગતા હતા આથી ભગવાન સખાભાવથી તેમના સારથી બની ગયા.આ રીતે ભક્તોના શ્રદ્ધાભાવ અનુસાર ભગવાનનો તેવા જ બનવાનો સ્વભાવ છે.અનંત બ્રહ્માંડોના સ્વામી ભગવાન પણ પોતાના જ બનાવેલા સાધારણ મનુષ્યોના ભાવ અનુસાર વર્તાવ કરે છે,આ એમની કેટલી વિલક્ષણ ઉદારતા,દયાળુતા અને પોતાપણું છે ! ભગવાન વિશેષરૂપે ભક્તોના માટે જ અવતાર લે છે-એવું પ્રસ્તુત પ્રકરણથી સિદ્ધ થાય છે. ભક્તો જે ભાવથી,જે રૂપમાં ભગવાનની સેવા કરવા ઇચ્છે છે,ભગવાનને તેમને માટે એ જ રૂપમાં આવવું પડે છે.
ભગવાન સર્વત્ર વિદ્યમાન,સર્વસમર્થ,સર્વજ્ઞ,પરમ સુહ્રદ અને સત્ય સંકલ્પ છે.ભક્તે ફક્ત પોતાની પુરી શક્તિ લગાડી દેવાની છે પછી ભગવાન પણ પોતાની પુરી શક્તિથી તેને પ્રાપ્ત થઇ જાય છે.સાધક પોતે ભગવત્પ્રાપ્તિમાં વિઘ્ન નાખે છે કેમકે ભગવત્પ્રાપ્તિના માટે તે સમજ,સામગ્રી,સમય અને સામર્થ્યને પોતાનાં માનીને તેમને પુરી રીતે નથી યોજતો પરંતુ પોતાની પાસે બચાવીને રાખી મૂકે છે.જો તે તેમને પોતાનાં નહી માનીને તેમને પુરી રીતે યોજી દે તો તેને તરત જ ભગવત્પ્રાપ્તિ થઇ જાય છે કારણ કે આ સમજ,સામગ્રી વગેરે તેનાં પોતાનાં નથી પરંતુ ભગવાન પાસેથી મળેલાં છે,ભગવાનનાં છે.આથી તેને પોતાનાં માનવાં એ જ વિઘ્ન છે.સાધક પોતે પણ ભગવાનનો અંશ છે.તેને પોતે પોતાને ભગવાનથી અલગ માન્યો છે,ભગવાને નહી.
ભક્તિ(પ્રેમ) કર્મજન્ય એટલે કે કોઇ સાધન વિશેષનું ફળ નથી.ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.દાસ્ય,સખ્ય,વાત્સલ્ય,માધુર્ય વગેરે ભાવોમાં સર્વથી શ્રેષ્ઠ શરણાગતિ ભાવ છે.અહી ભગવાન જાણે એ વાત કહી રહ્યા છે કે તમે પોતાનું સર્વ કંઇ મને અર્પી દેશો તો હું પણ પોતાનું સર્વ કંઇ તમને આપી દઇશ અને તમે પોતાની જાતને મને દઇ દેશો તો હું પણ પોતાની જાતને તમને આપી દઇશ.ભગવત્પ્રાપ્તિનો કેટલો સરળ અને સસ્તો સોદો છે ! પોતાની જાતને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા બાદ ભગવાન ભક્તની પુરાણી ત્રુટિઓને યાદ સુદ્ધાં કરતા નથી.તેઓ તો વર્તમાનમાં સાધકના હ્રદયનો દ્રઢ ભાવ જુવે છે.
આ શ્ર્લોકમાં દ્વેત-અદ્વેત,સગુણ-નિર્ગુણ,સાયુજ્ય-સામીપ્ય વગેરે શાસ્ત્રીય વિષયનું વર્ણન નથી પરંતુ ભગવાન સાથેના પોતાનાપણાનું જ વર્ણન છે.જેમકે નવમા શ્ર્લોકમાં ભગવાનના જન્મકર્મની દિવ્યતાને જાણવાથી ભગવત્પ્રાપ્તિ થવાનું વર્ણન છે.‘કેવળ ભગવાન જ મારા છે અને હું ભગવાનનો જ છું,બીજું કોઇ પણ મારૂં નથી અને હું કોઇનો પણ નથી’-આ રીતે ભગવાનમાં પોતાનાપણું કરવાથી એમની પ્રાપ્તિ શીઘ્ર અને સુગમતાથી થઇ જાય છે.આથી સાધકે ફક્ત ભગવાનમાં જ પોતાનાપણું માની લેવું જોઇએ,જે વાસ્તવમાં છે.
‘મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ’ શ્રેષ્ઠ પુરૂષ જેવું આચરણ કરે છે,બીજા લોકો પણ તેના જ અનુસાર આચરણ કરવા લાગી જાય છે.શ્રેષ્ઠ પુરૂષ તેને કહેવાય છે કે જે સંસાર એટલે કે શરીર વગેરે પદાર્થોને અને સ્વયંને એટલે કે પોતાના સ્વરૂપને તત્વથી જાણે છે.જે સમાજ,સંપ્રદાય,જાતિ,વર્ણ,આશ્રમ વગેરેમાં જે મનુષ્ય શ્રેષ્ઠ કહેવાય છે અને જેમને લોકો શ્રેષ્ઠ માનીને આદરની દ્રષ્ટિએ જુવે છે તેઓ જેવું આચરણ કરે છે તે સમાજ,સંપ્રદાય, જાતિ વગેરેના લોકો પણ તેવું આચરણ કરવા લાગી જાય છે.સંસારમાં પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ માનવામાં આવતા બધા પુરૂષોએ પોતાનાં આચરણો ઉપર વિશેષ ધ્યાન રાખવાની ઘણી જ આવશ્યકતા છે.
સાધક ભગવાનની સાથે જે પ્રકારનો સબંધ માને છે ભગવાન તેની સાથે તેવો જ સબંધ માનવાને માટે તૈયાર રહે છે.ભગવાન પોતાનાં આચરણોથી એ શિક્ષણ આપે છે કે જે જેવો સબંધ મારી સાથે માને છે તેને માટે હું પણ તેવો જ બની જાઉં છું,તેવી જ રીતે તમારી સાથે જે જેઓ સબંધ માને છે,તમે પણ તેના માટે તેવા જ બની જાઓ,જેમકે માતા-પિતાના માટે તમે સુપૂત્ર બની જાઓ,પત્ની માટે સુયોગ્ય પતિ બની જાઓ,બેન માટે શ્રેષ્ઠ ભાઇ બની જાઓ..પરંતુ બદલામાં તેમની પાસેથી કંઇ ઇચ્છો નહી,એવું માનવું એ જ ભગવાનના માર્ગનું અનુસરણ કરવું છે.અભિમાનરહિત થઇને નિસ્વાર્થભાવથી બીજાઓની સેવા કરવાથી શીઘ્ર જ બીજાની મમતા છુટીને ભગવાનમાં પ્રેમ થઇ જશે,જેનાથી ભગવાનની પ્રાપ્તિ થઇ જશે.
અહંકાર રહિત થઇને નિસ્વાર્થભાવથી ક્યાંય પણ પ્રેમ કરવામાં આવે તો તે પ્રેમ આપમેળે પ્રેમમય ભગવાન તરફ ચાલ્યો જાય છે કારણ કે પોતાનો અહંકાર અને સ્વાર્થ જ ભગવત્પ્રેમમાં વિઘ્નરૂપ છે. જીવમાત્રનો પરમાત્માની સાથે આપમેળે નિત્ય સબંધ છે પરંતુ જ્યાં સુધી જીવ આ સબંધને ઓળખતો નથી અને બીજો સબંધ જોડી લે છે ત્યાં સુધી તે જન્મમરણના બંધનમાં પડ્યો રહે છે.તેનું આ બંધન બે બાજુથી હોય છેઃએક તો તે ભગવાનની સાથે પોતાના નિત્ય સબંધને ઓળખતો નથી અને બીજું તેની સાથે વાસ્તવમાં પોતાનો સબંધ નથી,તેના સબંધને નિત્ય માની લે છે.જ્યારે જીવ પોતાનો સબંધ ફક્ત ભગવાન સાથે માની લે છે એટલે કે ઓળખી લે છે ત્યારે તેને ભગવાન સાથે પોતાના નિત્ય સબંધનો અનુભવ થઇ જાય છે.ભગવાનના નિત્ય સબંધને ઓળખવો એ જ ભગવાનને શરણે થવું કહેવાય.ભગવાનના શરણે થવાથી ભક્ત ચિંતા,ભય,શોક અને શંકા-કુશંકાથી રહિત થઇ જાય છે અને પછી તેના દ્વારા ભગવાનની આજ્ઞાની વિરૂદ્ધ કોઇ ક્રિયા કેવી રીતે થઇ શકે? તેની તમામ ક્રિયાઓ ભગવાનની આજ્ઞા અનુસાર જ થાય છે-‘મમ વર્ત્માનુવર્તન્તે.’
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

