Bharuch,તા.૨૨
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના દાવાઓ વચ્ચે હવે સત્તાધારી પક્ષના જ એક સાંસદે પોતાની સરકાર સામે ગંભીર આક્ષેપો કરતાં રાજકીય માહોલ ગરમાવી દીધો છે. મનસુખ વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
સાંસદે પોતાના પત્રમાં નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી આ સમગ્ર કાળો કારોબાર ચાલતો હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે. આ પત્ર જાહેર થતાં જ રાજકીય તેમજ પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મનસુખ વસાવાએ પોતાના પત્રમાં દારૂની હેરાફેરીનો આખો રૂટ અને મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું છે કે, પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે.સાંસદના દાવા અનુસાર, મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના રૂટમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોના પીએસઆઇ સ્તરના અધિકારીઓ આ સમગ્ર નેટવર્કમાં સીધા સંકળાયેલા છે.
પત્રમાં ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મનસુખ વસાવાએ લખ્યું છે કે, નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ ત્યાંથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક પહોંચાડવામાં આવે છે.આટલું મોટું નેટવર્ક પોલીસ અને રાજકીય છત્રછાયા વિના શક્ય નથી એવો પણ સાંસદે સીધો ઈશારો કર્યો છે.
મનસુખ વસાવા માત્ર સામાન્ય આક્ષેપો સુધી સીમિત રહ્યા નથી. તેમણે પોતાના પત્રમાં નર્મદા પોલીસના કેટલાક કર્મચારીઓના નામજોગ ઉલ્લેખ પણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત તેમણે આ મામલે એક અલગ પત્ર નર્મદા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સાંસદે દાવો કર્યો છે કે તેમની પાસે આ નેટવર્ક અંગેના પુરાવા પણ ઉપલબ્ધ છે.
પત્રના અંતમાં સાંસદે ભાવુક અપીલ કરતાં લખ્યું છે કે, “નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેમને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ.”ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા પોતાની જ પોલીસ વ્યવસ્થા સામે આટલા ગંભીર આક્ષેપો કરાતા હવે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પર સવાલો ઉઠી રહ્યા છે.ગુજરાત પ્રવાસ ગાઈડ
આ ‘લેટર બોમ્બ’ બહાર આવ્યા બાદ નર્મદા પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. હવે સૌની નજર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ટકેલી છે કે તેઓ આ મામલે કેવી કાર્યવાહી કરે છે.રાજકીય વર્તુળોમાં પણ આ મામલો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, કારણ કે ભાજપના જ સાંસદે પોતાની જ સરકાર અને પોલીસ તંત્ર સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

