ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઉતારો આરતી શ્રી ક્રિષ્ન ઘરે આવ્યા! માતા યશોદા કુંવર કાન ઘરે આવ્યાં.. આવાં ભક્તિ સભર ભજનો ગાતાં ગાતાં પરમ પુરષોત્તમ માસની અગિયારસ ગઈ! ભલી ભોળી બહેનો ભક્તિમાં તલ્લીન થઈ ગઈ છે, અને આમપણ સાધક, સાધના, યોગ યોગી કે પછી જ્ઞાન, વૈરાગ્ય, જેવાં શબ્દો આપણાં ભોગીઓ માટે કેવળ એક શબ્દનાં અર્થની જાણકારી બની રહે છે! આજનાં આ યુગમાં એટલુ બધુ ઈશ્વર ઈચ્છતો પણ નથી! કાંતો ઈશ્વરને એવી ઉમ્મીદ હશે કે છેવટે આખી જીવનયાત્રામાં કંઈક તો સારું કરશે! એટલે મનુષ્ય જન્મ મળ્યો, અથવા તો આપણાં પૂર્વજો નાં કંઈક પુણ્ય હશે, એટલે મનુષ્ય જન્મ મળ્યો. આ પુણ્ય શબ્દ આવે એટલે સામે ત્રાજવું દેખાય, જેમાં એક બાજુ પુણ્ય અને એક બાજુ પાપ! શુદ્ધ હ્રદયે નથી એટલું ભજન થતું કે નથી સ્વાર્થ ને છોડી પરમાર્થ થતો! એટલે પાપ પુણ્યનાં લેખાંજોખાં થાય તો પુણ્યને નામે ખાસ કંઈ થતું નથી, એટલે સ્વાભાવિક પાપનું પલ્લું ભારે રહે. પણ છતાં થોડી ભાવ જાગૃતિ અને થોડી ભાવ શુદ્ધિથી પુણ્ય ન થાય તો કંઈ નહીં પાપ થતાં અટકી જશે! ભારતીય અધ્યાત્મમાં ભગવાન સુધી પહોંચવાં માટે ઘણાં માર્ગ છે! પરંતુ આપણી જેવાં સંસારીઓ માટે ભક્તિ એક એવું માધ્યમ છે, જેમાં ભક્ત દાસ થઈને પણ સ્વામી જેવું સુખ ભોગવે છે, અને નરસૈંયાના સ્વામી એ કાયમ એની આશા પૂરી છે. શૃંગારમાં જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિની પરાકાષ્ઠા સુધીની યાત્રા કરનાર અને કરાવનાર નરસિંહ તો એક અવતાર પુરુષ હતાં, પરંતુ આપણી માટે એમની રચનાઓ આજે પણ પ્રેરણા આપતી રહે છે, તો આવા કંઈક ભાવનાં સંદર્ભ વાળી રચનાનું ચિંતન કરીએ.
** નરસિંહ મહેતા**
**કોણ પુણ્યે કરી નાર હું અવતરી,
શ્રીહરિ દીન થઈ માન માગે;
અમર અવગતિ કહે, અકલ કો નવ લહે,
તે કમલાવર કંઠ લાગે.(૧)
નરસિંહ પોતાની જાતને નારીને સ્થાને રાખી ધન્યતાં આપતાં કહે છે કે, કયા પુણ્ય કર્યા એ અક્કલ સ્વીકારી શકતી નથી, કમલાપતિ દીન થઈ મારું સાનિધ્ય ઝંખે છે, અને ગળે લગાવે છે, એટલે આલિંગન આપે છે.
**યજ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી,
બહુ વ્રત આદરી દેહ કષ્ટે;
તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ,
તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.(૨)
પરમ તત્વની પ્રતિતિ કે આત્મ સાક્ષાત્કાર માટે સાધક મોટા યજ્ઞ કરે, યોગી થઈ ધ્યાન ધરે, કે પછી દેહને કષ્ટ આપતાં વ્રતો કરે તોય શ્રીહરિ જેને સ્વપ્નમાં પણ દેખાય નહીં! એ હરિ અને હું અરસપરસ પ્રેમ દ્રષ્ટિથી નીરખીએ છીએ.
**શેષ સુખાસન શેજ સદા સહી,
ભુવન જસં વૈકુંઠ કાહાવે;
તે પેં અધિક જે મંદિર માહરૂં,
પ્રેમે પીતાંબર પલંગ આવે. (૩)
જેને શેષનાગની શૈયા નું સુખ કે પછી વૈકુંઠ જેવું ભવન સિવાય ક્યાંય ગોઠતું નથી! એ હરિ મારાં મંદિરને એનાથી પણ વધુ મહત્વનું ગણી મારું સાનિધ્ય પામવા મારા પલંગ સુધી આવે છે.
**ભગતવત્સલતણું બિરદ પોતે વહે,
વેદ પુરાણ એમ શાસ્ત્ર વાણી;
નરસિંહાચો સ્વામી ભલેરે મળિયો,
કીધી કૃપા મુને દીન જાણી.(૪)
વેદ પુરાણ અને શાસ્ત્રની વાણી સાચી ઠેરવવાં માટે, ભગવાન તો ભક્તવત્સલ છે, એવા બિરુદ ને પાળી બતાવ્યું. ભગવાને ભક્ત પર દિન જાણી કૃપા કરી, અને નરસૈંયાનો સ્વામી મુજને આવી મળીયો.
સ્થૂળ અર્થ જોઇએ તો એક સામાન્ય ભક્તિ કરતી નારી ની વાત કરે છે, પણ પોતાની જાતને અહીં મુકી છે, એટલે ગોકુળ વૃંદાવનની સૌથી શ્રેષ્ઠ ગોપી એટલે કે રાધિકાના મનોભાવ હ્રદયમાં ધરાવી ધન્યતા અનુભવે છે, પણ આધ્યાત્મિક અર્થમાં તો ભક્તિ ને જ નારી કહી છે, અને કહે છે કે કેટલાં પુણ્ય કરીને હું જન્મી છું કે મને મળવાં સ્વયં શ્રીહરિ દીન હોય એમ વિનવે છે! મારી તો અક્કલ જ બહેર મારી ગઈ છે. પણ અહીં ભગવાન માટે કમલાવર એવું ઉપનામ શું કામ મુક્યું? શ્રીકૃષ્ણ વિષ્ણુ અવતાર છે! એ તો બરોબર પણ, કમલાવર એટલે લક્ષ્મીપતિ પણ કહી શક્યાં હોત! કમળ ને અસંગ નું પ્રતિક માનવામાં આવે છે. એટલે ભગવાન તો કમળ જેમ આ બધાંથી અસંગ છે છતાં, ભક્તિનો ભાવ ભીંજવી ગયો, મારી પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રસન્ન થઈ મને ગળે વળગાડે છે. શ્રીહરિ શબ્દ પ્રયોગ કરીને કહે છે કે, ભક્તોનાં દુઃખ હરી લેનારા છે, પછી યજ્ઞ કરનારાં,યોગીઓ, કે વ્રતી માટે દેહને કસવા ની શી જરૂર છે, અને દેહ કષ્ટી કરવાં છતાં જેને ઝાંખી પણ નથી થતી, અને અહીં તો હું સાક્ષાતને પ્રેમે નીરખુ છું. શેષની શૈયા નો ઉલ્લેખ કરીને મૂળમાં તો નરસિંહ કહેવાં માંગે છે, કે મને જે આત્મ સાક્ષાત્કાર થયો છે, એ સ્વયં વિષ્ણુ જ છે. કેમકે જે શેષની શૈયા વગર સૂતા નથી, અને વૈકુંઠ સિવાય રહેતાં નથી! એ મારા દેહ દેવળને એનાથી પણ વધુ પવિત્ર ગણી ત્યાં નિવાસ કરે છે. પલંગે આવે એમ કહીને બહું મોટી વાત કરી કે કામ અકામની મારી પ્રત્યેક ક્રીડામાં એની હાજરી છે, માટે કામ કે કામના પણ સતાવતી નથી.આ ઉપરાંત પલંગને વિશ્રામનું પ્રતિક માનવામાં આવે છે, તો એ રીતે મને પરમ વિશ્રામ પ્રાપ્ત થયો. છેલ્લી પંક્તિમાં કહે છે કે, રાધાને મળવા જે શ્રીકૃષ્ણ આવે છે, એ જ વેદ પુરાણ અને શાસ્ત્રની વાણી જેને ગાય છે, એ બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ છે! અને એ ભક્ત વત્સલનું બિરુદ ધરાવતું બીજું કોઈ નથી નરસિંહનો સ્વામી છે, અને એણે મને દીન જાણી કૃપા કરી મને દર્શન આપ્યાં.
આ રચનાનો મુખ્ય બોધ તો એ છે કે, સાકાર થી નિરાકાર, અને નિરાકાર થી બ્રહ્મની વ્યાપકતા નું દર્શન જ, આપણને મનુષ્ય માંથી માનવી બનાવી શકે છે! એટલે કે જડ ચેતન એક એકમાં ઈશ્વરનું દર્શન કરાવે, અને શક્ય છે નરસિંહને આવું દર્શન થયું હશે! જેમ જશોદા ને કાનુડાનાં મુખમાં ચૌદ બ્રહ્માંડનાં દર્શન થયાં. નરસિંહને મહારાસ ની લીલાનું દર્શન તો થયું જ હતું! અને એમાં મશાલ વાળો હાથ સળગ્યાનું પ્રમાણ પણ છે. પણ એ સમયમાં જ્યાં જવાં પર પ્રતિબંધ હતો, એવાં અછૂત વાસમાં ભજન કીર્તન કરવાં જવું એ શું બતાવે છે! એ બ્રહ્મની વ્યાપકતાનું દર્શન થયું હોય તો જ શક્ય બને. સંસારીઓ માટે બીજી રીતે ઈશ્વર સાક્ષાત્કાર કરવો એ બહુ અઘરું છે! એટલે ભક્તિ એક એવું માધ્યમ છે કે, જેમાં આપણી દૈનિક ક્રિયાઓનાં સાક્ષી સ્વયં ઈશ્વરને બનાવી જીવવાનું હોય છે! અને આ રીતે જ ધીરેધીરે ભાવ શુદ્ધિ થશે અને આ રીતે જ સામેવાળા માં આપણી અંદર જે ઈશ્વર અંશ છે એ જ છે! એવું પ્રતિત કરાવી શકે. આપણે સૌ બ્રહ્મની વ્યાપકતાનું દર્શન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

